Home Gujaratiવનવગડે વિહરે વીર ( ૪.૧ )

વનવગડે વિહરે વીર ( ૪.૧ )

by Devardhi
0 comments

પ્રકરણ ૪ .
દીક્ષાની રાતે : દેવ , મનુષ્ય , અને પશુ એક સાથે

કારતક વદ દશમની રાત્રિએ આસમાન પર શ્યામરંગી જાળ બિછાવી હતી . અમાસને ચારપાંચ દિવસની જ વાર હતી એટલે ચાંદનીમાં જોશ આવવાનું નહોતું . સાંજ ઢળી ત્યારે જ પ્રગાઢ અંધકારે જંગલના એક એક વૃક્ષને આલિંગનમાં લઈ લીધું હતું . તમરાઓનો કર્કશ સ્વર , એકધારી નીરસતાનું નિર્માણ કરતો હતો કે બીહડની ભયકારિતાને ઉજાગર કરતો હતો તે સમજાતું નહોતું . ગગનમાં ચોમેર વેરાયેલા અગણિત તારલાઓ , જંગલના ઘોર તમસમાં ઊડી રહેલા આગિયાઓની ઈર્ષા અનુભવી રહ્યા હતા . સાપ નીકળ્યા હશે . વીંછી બહાર આવ્યા હશે . વાઘ અને સિંહ , ગુફા છોડીને ચાલવા માંડ્યા હશે . દેવાર્યની દીક્ષાની પહેલી રાતે જંગલ જાગવા લાગ્યું હતું . હવાથી ઝૂલતા પાંદડાંઓમાં જાણે કે ભૂતાવળની ગુસપુસ શરૂ થઈ હતી .

ક્ષત્રિયકુંડ અને બ્રાહ્મણકુંડમાં જ્વાલાસ્તંભો હતા , મશાલો હતી , દીપમાળા હતી જે રાતના અંધકારને દૂર રાખતી હતી . જંગલમાં તો અજવાસ હોય જ શાનો ? જોકે , દેવાર્યની ભીતરનો ઉજાસ સેંકડો ગાઉઓ સુધી ફેલાયેલા અંધકાર પર ભારે પડી રહ્યો હતો . જંગલ તો ડરામણું જ હતું પણ ડરનું વજન જાણે મરી પરવાર્યું હતું . એમ લાગતું હતું અહીં દેવાર્ય ઊભા છે માટે આજે આ જંગલમાં મોત કે પીડાનું તાંડવ રચાશે જ નહીં .

જંગલમાં ઉદ્યાન જેવી શાંતિ બનેલી રહેશે . વનેચરો , પાલતુ પ્રાણી જેવો વહેવાર કરશે . ઘુવડ અને ચીબરીની અવાજમાં મધુરતા નીતરવા લાગશે . અજગર કોઈને ભીંસમાં નહીં લે . સસલાં , હરણ આજે નિરાંતની નીંદર પામશે . પંખીઓના માળાને સાપ સતાવશે નહીં . ભીલ યુવાનો આજની રાતે તીરકાંમઠાં , ભાલો કે કટારીને હાથ નહીં લગાવે . દેવાર્યના શ્વાસ જંગલમાં સુગંધ ફેલાવતા રહ્યા હતા અને જંગલના બેફામ ઝાડવાઓમાં જ્ઞાતવનખંડોનાં વૃક્ષોની નજાકત આવતી ગઈ . આ દેવાર્ય હતા . જ્યાં જતા ત્યાં જાદુ ફેલાવી દેતા .

ખબર નહીં ક્યાંથી અને કેવી રીતે , પણ કોઈક આવી રહ્યું હતું , આવી ચડ્યું હતું . ગોબરની વાસ આવી હતી . ભાંભરવાના અવાજે શાંતિમાં ખલેલ પહોંચાડી હતી . અંધારામાં આંખ તાણીને ચાલી રહેલા એક આદમીએ , દેવાર્યને જોયા હતા અને એ દેવાર્ય પાસે આવી પહોંચ્યો હતો . એની સાથે બળદ હતા . અંધારામાં બળદના નસકોરાંનો અવાજ ફાટફાટ થઈ રહ્યો હતો . જે આદમી આવ્યો તે કોઈ ઉતાવળમાં હતો . દેવાર્યને જોઈને એ રાજી થયો હોય એવું લાગ્યું .

એને એવું લાગ્યું કે દેવાર્યને લીધે એનું કામ સહેલું થઈ ગયું . એ વિના અજવાળેય દેવાર્યના દેહાકારને જોઈ શકતો હતો . એને દેવાર્યની હાજરી જંગલમાં આ સ્થાને હતી તે ગમ્યું હતું . એણે દેવાર્યને પોતાનું એક કામ પકડાવી દીધું . એ બળદને સાથે લાવ્યો હતો તે એણે દેવાર્યની બાજુમાં ઊભા રાખી દીધા .

‘ હું પાસે ગામમાં જઈને થોડીવારમાં આવું છું . તમે આ વૃષભને સાચવજોને . હું હમણાં જ આવ્યો . બરોબર ધ્યાન રાખજો . ‘ એ જતાં જતાં બોલ્યો હતો . 

દેવાર્ય એને જવાબમાં ના કહી શકતા હતા , હા પણ કહી શકતા હતા પણ એને તો જવાબ સાંભળવો જ નહોતો . એ મનમરજીથી મનઘડંત આદેશ ફરમાવીને નીકળી ગયો હતો , શેઠિયાની માફક .

એને જવાબ જોઈતો જ નહોતો . એણે માની લીધું હતું કે દેવાર્ય એની વાત માની જ લેશે . અરે , એ તો દેવાર્યનું નામ પણ જાણતો ન હતો . દેવાર્યની ગરિમા શું છે એનાથી પણ એ અજાણ હતો . એણે માની લીધું કે દેવાર્ય કોઈ પ્રવાસી છે , વૃક્ષની નીચે થોડો સમય એ પ્રવાસી રોકાયેલો રહે તેટલીવારમાં હું પાછો જ આવી જઈશ . દેવાર્યે જવાબ આપ્યો નહોતો . દેવાર્યે જેની વાત સાંભળી જ ન હોય એને દેવાર્ય જવાબ પણ ના જ આપે . સ્વાભાવિક હતું . પેલાને આ સમજાયું નહોતું . ( ક્રમશઃ )

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.