૨ . કલ્યાણક ભૂમિ
કલ્યાણક ભૂમિ એટલે શું ? આકાશમાંથી તીર્થંકરના આત્માનું અવતરણ થાય , માતાને ચૌદ મહાસ્વપ્ન દેખાય , નિવાસમાં અભિવૃદ્ધિ જોવા મળે , ત્રણ લોકમાં આનંદની લહેરો પસરે , છપ્પન દિક્ કુમારી આવે , ઇન્દ્ર એક રૂપે આવે અને પ્રભુને લઈ પાંચ રૂપે મેરૂ પર્વત સિધાવે , ઘરે પુનરાગમન થતાવેંત બત્રીસ કોડી કનક મણિ માણેક વસ્ત્રની વૃષ્ટિ થાય , કુલ મર્યાદા મહોત્સવ પ્રવર્તે , મંત્ર સ્વરૂપ નામકરણ થાય , શૈશવ વીતે અને બાળપણ પણ વીતી જાય . તારૂણ્ય પ્રગટે અને પછી યૌવનના ઉન્મેષ પ્રગટે . વિવાહ મંડાય , રાજ્ય અભિષેક થાય . દશે દિશામાં આણા પ્રવર્તે . સંતાન અવતરે . એક દિવસ નવ લોકાંતિક આવે અને જય જય નંદાનો ઘોષ ગાજે . વર્ષીદાન મંડાય . સૌના દુઃખ દારિદ્રનું નિવારણ થાય . એક દી’ દીક્ષાભિષેક થાય , દીક્ષા કલ્યાણકનો વરઘોડો નીકળે . નગર બહાર વનમાં દીક્ષા થાય . નગરની નજીકમાં દીક્ષા પછીનું સર્વપ્રથમ પારણું થાય . પ્રભુ ગામોગામ વિહરે. પુનઃ નગર સમીપે પધારે . ક્ષપક શ્રેણી મંડાય અને કેવળજ્ઞાન થાય .
૨ . ચંદનબાળાના હાથે પ્રભુનો અભિગ્રહ પૂર્ણ થયો અને એકસો પંચોતેર ઉપવાસનું પારણું થયું . આંખોમાં આંસુ , આંગળીમાં સૂપડી અને એમાં બાકળા .
૩ . મહાસાધ્વી શ્રી ચંદનબાળા સમક્ષ મિચ્છામિ દુક્કડં કહેતાં કહેતાં સાધ્વી શ્રી મૃગાવતીજીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને ક્ષમાયાચનાનો મહિમા ઉજાગર થાય છે .
૪ . સવા લાખ જિનાલયનું નિર્માણ કરાવનાર મહારાજા સંપ્રતિ , પૂર્વભવમાં ભીખારી હતા એ આપણને ખબર છે પણ એ ભીખારી કૌશાંંબી નગરીમાં રહેતો એ આપણને નથી ખબર . કૌશાંંબી નગરીના ભીખારીએ જૈન ગુરુ પાસે દીક્ષા લીધી અને એ જ ભીખારી આગામી ભવમાં સમ્રાટ સંપતિ બન્યો. શું ગજબનાક વાત છે ભાઈ .
૫ . કૌશાંંબીની મહારાણી મૃગાવતીની કથા ઇતિહાસ પ્રસિદ્ધ છે . એક ચિત્રકાર કૌશાંંબીના રાજદરબારમાં આવ્યો . એણે રાણીનું ચિત્ર બનાવ્યું . ચિત્રના અમુક અંશને જોઈને રાજા શતાનીક નારાજ થયા . એમણે ચિત્રકારને જેલમાં પૂર્યો . ગુસ્સે ભરાયેલો ચિત્રકાર જેલમાંથી છૂટ્યા બાદ ચંડપ્રદ્યોત પાસે ગયો અને એને મૃગાવતીનું ચિત્ર બતાવ્યું . ચંડપ્રદ્યોતે મૃગાવતીને મેળવવા આ નગરી ઉપર આક્રમણ કર્યું . રાજા શતાનીક મરણ પામ્યો . મૃગાવતીએ કટોકટીનો સમય સંભાળી લીધો .ચંડપ્રદ્યોતને તેણીએ મૂર્ખ બનાવ્યો . અને છેવટે મહાવીર સ્વામી ભગવાન પાસે મૃગાવતીએ દીક્ષા સ્વીકારે છે . એની સાથે જ ચંડપ્રદ્યોતની અવંતિકા આદિ આઠ રાણીઓએ પણ દીક્ષા સ્વીકારી . કોઈ રોમાંચક નવલકથા બની શકે એવો સંપૂર્ણ ઘટનાક્રમ કૌશાંંબી નગરીમાં આકાર પામ્યો હતો .
૬ . શ્રી મહાવીર સ્વામી ભગવાન , પાંચ વાર કૌશાંંબી નગરીમાં પધાર્યા હતા . બે વાર છદ્મસ્થ અવસ્થામાં , ત્રણ વાર તીર્થંકર અવસ્થામાં . તીર્થંકર અવસ્થાનું ત્રીજું ચોમાસું વૈશાલીમાં કરીને પ્રભુ કૌશાંંબી થઈને શ્રાવસ્તી પધાર્યા હતા . એ વખતે પ્રભુએ જયંતી શ્રાવિકા ઉપદેશ આપ્યો હતો . તીર્થંકર અવસ્થાનું સાતમું ચોમાસું રાજગૃહીમાં કરીને પ્રભુ કૌશાંંબી પધાર્યા હતા . આ વખતે મૃગાવતીજીની દીક્ષા થઈ હતી . તીર્થંકર અવસ્થાનું અગિયારમું ચોમાસું વાણિજ્ય ગ્રામમાં કરીને પ્રભુ કૌશાંંબી પધાર્યા હતા . આ વખતે સૂર્ય અને ચંદ્ર મૂળ વિમાન સાથે પ્રભુ દર્શનાર્થે આવ્યા હતા . બૃહત્કલ્પ ભાષ્યમાં એમ જણાવ્યું છે કે ચંદ્રનું અવતરણ જ્યાં થયું ત્યાં ચંદ્રાવતરણ ચૈત્ય બન્યું .
૭. અનાથી મુનિનું કથાનક કોણ નથી જાણતું ? શ્રેણિક રાજાને સમકિતનું બીજ મળ્યું અનાથી મુનિ દ્વારા . આ અનાથી મુનિ કૌશાંંબીના રાજકુમાર હતા . એમની કથા ઉત્તરાધ્યયનમાં મળે છે .
૮ . કપિલ કેવલી એટલે લોભને થોભ નથી એ ઉપદેશના ઉદ્ ગાતા . આ કપિલ કેવલી પણ પૂર્વ અવસ્થામાં કૌશાંંબીવાસી હતા .
૯ . તરંગવતીની કથા પણ કૌશાંંબીની જ કથા છે . બે પંખીડા શિકારીના વેધથી વિખૂટા પડે છે અને બીજા ભવમાં વિલક્ષણ સંયોગોમાં પ્રેમી અને પ્રેમિકા તરીકે ભેગા થાય છે . એમનો વિરોધ થાય છે . બન્ને ઘર છોડીને ભાગી છૂટે છે . જંગલમાં ડાકુઓના હાથમાં સપડાય છે . માંડ બચીને ભાગે છે . કૌશાંંબી આવે છે . પરિવાર સહાનુભૂતિપૂર્વક એમના વિવાહ કરાવે છે . હવે એમને એક મહાત્મા મળે છે . આ મહાત્મા જ પૂર્વભવમાં શિકારી હતા . તેઓ પૂર્વભવની કથા બેયને જણાવે છે . જાતિ સ્મરણ દ્વારા પ્રતિબોધ પામીને તરંગવતી દીક્ષા લે છે . પૂજ્યપાદ શ્રી પાદલિપ્તસૂરિજી મહારાજા દ્વારા લિખિત તરંગવતી કથા સાહિત્યજગતમાં અમર છે .
૧૦ . માન સન્માન પામવાની લાલચ વિના ધર્મ કરવો જોઈએ આવો બોધ સુણાવતી એક કથા બે મહાત્માઓની છે જે શ્રી જંબૂ સ્વામીજીના શિષ્યો હતા . બેય મહાત્માઓ અનશન સ્વીકારે છે . એક મહાત્મા માન સન્માન પામવા માટે કૌશાંંબીમાં સૌને દેખાય એવા સ્થાને બિરાજમાન થાય છે પણ યુદ્ધનું વાતાવરણ બને છે અને એમને માન સન્માન મળતું નથી . બીજા મહાત્મા માળવાની સરહદે વત્સિકા નદીના કિનારે પહાડી પર એકાંતમાં રહીને અનશન આદરે છે . એમણે માન જોઈતું નહોતું . બન્યું એવું કે યુદ્ધમાં સમાધાન થયું એટલે કૌશાંંબીના રાજા મણિપ્રભ અને અવંતિષેણ એ જ પહાડીના માર્ગે ઉજ્જૈન જવા નીકળેલા . એમણે આ મહાત્માને જોયા . તેઓ સેવામાં રોકાઈ ગયા . મહાત્માનું આયુષ્ય પૂરું થયું . રાજાએ એમની માટે ત્યાં વિશાળ સમાધિ સ્તૂપ રચાવ્યો . કથાનો સાર એ છે કે જે માન સન્માન પામવા કૌશાંંબી રોકાયા એમને કોઈ માન ના મળ્યું અને જે માન સન્માનથી બચવા જંગલમાં ગયા તેમને કૌશાંંબીના રાજાએ જીવતેજીવત પણ માન આપ્યું અને મરણોત્તર સન્માન પણ આપ્યું . કૌશાંંબી સાથે કેવી કેવી વાર્તાઓ જોડાયેલી છે ?
