૧ . સવારે નદીકિનારે જાપ
વૈશાખ સુદ દશમનો દિવસ યાદગાર રહ્યો હતો . ઘણા સાધુ ભગવંતો હતા . ઘણા ઘણા સાધ્વીજી ભગવંતો હતા . જીવનમાં પહેલીવાર સૌ પ્રભુવીરની કૈવલ્યભૂમિ પર , પ્રભુવીરના કૈવલ્યદિવસે ઉપસ્થિત હતા . વહેલી સવારે ૫.૩૦ વાગે સૌ ઋજુવાલિકાના તટ પર બેઠા હતા . નદીને પેલે પાર દૂર શિખ૨જી સન્મુખ જોતાં જોતાં ૨પ૮૦ વરસ પૂર્વેના સમયની યાદમાં સરી પડ્યા હતા . પ્રભુ પધારેલા . નદીના ઉત્તરી કિનારે તપ અને ધ્યાન સાધ્યું . એ ધ્યાન કેવું હશે ? એ ધ્યાન મુદ્રા કેવી હશે ? એ ધ્યાનનો ધારક કેવો હશે ? જિજ્ઞાસાઓ જાગતી જ રહી , જાગતી જ રહી .
આતમરામને નડી રહેલી ચાર સમસ્યાઓનો સતત અફસોસ અનુભવ્યો . પહેલી સમસ્યા જ્ઞાનાવરણમાંથી આવી છે . ધાર્મિક જ્ઞાન ઓછું છે . આત્મજ્ઞાનનું ઠેકાણું નથી . જે અભ્યાસ કર્યો છે એનાથી અનેકગણો અભ્યાસ બાકી છે. . વિધિઅવિધિની પૂરી સમજણ નથી કેળવાઈ . ભણવાનું થાય છે ઓછું અને ભણેલું ભૂલાય છે વધુ . કેટલાબધા ગ્રંથો વાંચવાના બાકી છે ? કેટલાબધા પદાર્થોને સમજવાના બાકી રહ્યા છે ? કેટકેટલી ક્રિયાઓથી વંચિત રહ્યા છીએ ? અમુક તત્ત્વજ્ઞાન અઘરું અઘરું લાગે છે . નવું શીખવાનો કંટાળો આવે છે . જૂનું શીખેલું છે એનું પુનરાવર્તન કરવામાં આળસ બને છે . પ્રભુએ ઋજુવાહિની ઋજુવાલિકાના તીરે વૈશાખ સુદ દશમના દિવસે જ્ઞાનાવરણનો પૂર્ણ નાશ કર્યો હતો . પ્રભુનાં ગોદોહિકા આસનને યાદ કરીકરીને પ્રાર્થના કરી હતી કે મારું જ્ઞાનાવરણ કર્મ કમજોર પડે એવી કૃપા કરજો . પ્રભુને કેવલજ્ઞાન થયું એ ક્ષણ કેવી હશે એની કલ્પના મનમાં ચાલતી રહી હતી .
આતમરામને નડી રહેલી બીજી સમસ્યા દર્શનાવરણમાંથી આવી છે . આંખો થોડું વાંચે છે અને થાકે છે , એ થાક ગમતો નથી . આંખો પ્રભુને જોતાં જોતાં પલક ઝપકાવે છે એ નથી ગમતું . એમ થાય છે આંખો અપલક કેમ નથી રહેતી ? બપોરે અને રાત્રે ઊંઘ ચડે છે . નાકના નસકોરા ગાજતા રહે એવી રીતે નિદ્રા માણવામાં કેટલો બધો સમય જાય છે ? એ ઊંઘવાના સમયમાં ન તો સ્વાધ્યાય થાય છે , ન તો સાધના થાય છે . ચોવીસ કલાકમાં ઊંઘ જ ના આવે તો કામ કરવાનો અનુપાત કેટલોબધો વધી જાય ? આ વિચાર ઘણો મોટો છે . જોકે , આ વિચાર સાકાર થવાનો નથી , એનું દુઃખ મનમાં રહે છે . ક્યારેક તો બેઠા બેઠા ઝોકાં આવે છે અને બગાસાં ચડે છે . દર્શનાવરણને લીધે આ પ્રમાદભાવ આવે છે. પ્રભુની અખંડ કાર્યોત્સર્ગ સાધનાને યાદ કરતાં કરતાં પ્રભુને પ્રાર્થના કરી હતી કે મારા નિદ્રાસંબંધી પ્રમાદભાવનો નાશ થાય એવા આશિષ વરસાવજો .
આતમરામને નડી રહેલી ત્રીજી સમસ્યા મોહનીયમાંથી આવી છે . ગુસ્સો આવે છે . ઘમંડ ચડે છે . જૂઠ અને દંભનું ચડી વાગે છે . લોભલાલચ ખતમ જ નથી થતાં . આ છે ચાર કષાયો . ઠઠ્ઠા મશ્કરી અને હંસીમજાક કરવાની ધૂનમાં બીજાનાં દિલ તૂટી જાય છે તેનો ઉપયોગ રહેતો નથી . સુખ મળે એનો રાજીપો ઘણો થાય છે અને દુ:ખ આવે તેમાં પીડાની સંવેદના તીવ્ર બને છે . ડર લાગે છે . હતાશાઓ અનુભવમાં આવે છે . સૂગ ચડે છે . કામવાસના અંદર ઉકળ્યા જ કરે છે . આ છે નવ નોકષાય . અહીં પ્રભુએ ક્ષપકશ્રેણિ દ્વારા મોહનીયનો નાશ કર્યો એટલે કે ચાર કષાય અને નવ નોકષાયનો નાશ કર્યો અને બારમું ગુણઠાણું મેળવ્યું . શાંત ધારાએ વહેતી નદીનાં નીરને નિરખતાં નિરખતાં પ્રભુની વીતમોહ અવસ્થાનું સ્મરણ કર્યું હતું અને પ્રભુ સમક્ષ અકષાય અવસ્થાનો આનંદ માંગ્યો હતો . મોહનીય કર્મમાંથી પ્રગટનારી એક એક નબળાઈઓનો નાશ માંગ્યો હતો , પ્રભુ પાસે .
આતમરામને નડી રહેલી ચોથી સમસ્યા અંતરાય કર્મમાંથી આવી છે . આપવું જોઈએ એ આપી શકાતું નથી. મળવું જોઈએ મળતું નથી. માણવું છે એ માણવા મળતું નથી. કરવું જોઈએ એ કરી શકાતું નથી. જોશ હોવું જોઈએ એની જગ્યાએ ઢીલાશ રહે છે . સ્ફૂર્તિ હોવી જોઈએ એની બદલે કમજોરી વર્તાય છે . કામ કરવું જોઈએ એના બદલે કામ ન કરવાના બહાનાઓ જ ચાલતા હોય છે . પ્રભુએ સાડાબાર વરસ સુધી ઘોર તપસ્યાનો મહાપુરુષાર્થ કર્યો એનાથી બધાય અંતરાયનો નાશ થઈ ગયો હતો . નદીની રેતીમાં અને શિલાઓમાં પ્રભુનો સ્પર્શ વસેલો છે એને ગદ્ગદભાવે યાદ કરતાં કરતાં પ્રભુને પ્રાર્થના કરી હતી કે મારા સૌ અંતરાયો તૂટે અને મારો ધર્મ પુરુષાર્થ ઉત્કૃષ્ટ બને એવી કૃપા કરજો .
નદીની પ્રશંસા સ્તવના કરાય ? આ પ્રશ્ન પર ચર્ચા કરી હતી . શત્રુંજયમાહાત્મ્ય ગ્રંથમાં શ્રી ધનેશ્વરસૂરીશ્વરજી મહારાજાએ લખ્યું છે કે ઇન્દ્ર મહારાજાએ ભરત ચક્રવર્તી સમક્ષ શત્રુંજય નદીનું મહિમાગાન વિસ્તારથી કર્યું હતું . મહામહોપાધ્યાય શ્રીમેઘવિજયજી મહારાજાએ દિગ્વિજયમહાકાવ્યમાં ગંગા અને યમુના નદીની સ્તવનાનાં અષ્ટકો લખ્યાં છે . નદીની સાથે પ્રભુનું જે કથાનક જોડાયું છે એનું સ્મરણ કરવામાં લાભ જ લાભ છે . એકલી નદીને સુંદર નદી તરીકે જોવામાં આવે ત્યારે અનર્થદંડ લાગે . એ જ નદીને પ્રભુ સાથે જોડાયેલા પ્રસંગોની સાક્ષિનદી તરીકે જોવામાં આવે ત્યારે એ નદી પ્રભુનું સ્મરણ કરાવી આપે છે . પ્રભુનાં સ્મરણથી વધુ સુંદર આ વિશ્વમાં બીજું શું હોય ? આવી સંવેદના પૂર્વક ઋજુવાલિકા નદીનું અષ્ટક ગાયું હતું :
૨ . ૠજુવાલિકા સ્તવના
૩ . ગોદોહિકા આસને જાપ
પ્રભુ પધાર્યા ત્યારે પ્રભુએ પૂર્વ દિશા તરફ જ મુખ રાખ્યું હતું એ યાદ હતું . નદીથી પૂર્વદિશામાં જ કેવળજ્ઞાન કલ્યાણકનું જિનાલય દેખાય છે . પૂરવ સન્મુખ થઈ પ્રભુનાં જિનાલયને ત્રણ ખમાસમણાં આપી લઘુ ચૈત્યવંદન કર્યું હતું . સમય હોત તો મોટું ચૈત્યવંદન કરત પણ નદીની સ્તવનામાં ઘણો સમય વીતી ગયો હતો . બરોબર યાદ હતું કે નદીની પૂજા હોતી નથી . નદીને વંદના કરવાની હોતી નથી . પૂજા અને વંદના માટે તો જિનાલય અને જિનમૂર્તિ જ હોય .
નદીકિનારે જાપ કર્યો હતો . દીવાળીમાં આપણે બે જાપ કરીએ છીએ . એક , સર્વજ્ઞ અવસ્થાનો જાપ . બીજો , મોક્ષ કલ્યાણકનો જાપ . આ રીતે વૈશાખ સુદ દશમના દિવસે બે જાપ કરી શકાય . એક , દીક્ષા કલ્યાણકના મંત્ર સાથે દીક્ષિત અવસ્થાનો જાપ : ॐ ह्रीं श्रीं महावीर स्वामी नाथाय नमः ….. બે , કેવળજ્ઞાન કલ્યાણકનો જાપ : ॐ ह्रीं श्रीं महावीर स्वामी सर्वज्ञाय नमः ….. . બંને જાપ ભાવપૂર્વક કર્યા હતા . નદી કિનારે સૌ પૂર્વસન્મુખ બેઠા હતા. કોઈએ એક માળા ગણી . કોઈએ પાંચ માળા ગણી . કોઈએ વીશ માળા ગણી . ગોદોહિકા આસનમાં લાંબો સમય બેસવાનું અઘરું પડે છે . જેટલો જાપ ગોદોહિકામાં થયો તેટલો ગોદોહિકામાં કર્યો. બાકીનો જાપ સુખાસને કર્યો .
પ્રભુ જેટલો વખત ઋજુવાલિકાતીરે રહ્યા એ દરમિયાન પ્રભુએ ગોદોહિકામુદ્રામાં જ સ્થિરતા ધરેલી . આસન પાથરીને બેસવાનું કે સંથારો પાથરીને સૂવાનું કે પાટ પર ગોઠવાઈ જવાનું કે પ્લાસ્ટિકના સિંહાસને બિરાજમાન થવાનું કોઈ કામ ભગવાને કર્યું નહોતું . એ આરામનાં કામ આપણે કરીએ છીએ . પ્રભુએ તો ગોદોહિકામાં જ આખો દિવસ વીતાવેલો . સવારનો તડકો આંખો પર આવ્યો ત્યારેય ગોદોહિકા . સૂરજ ઉપર ચડ્યો અને તડકો તીખો થયો ત્યારેય ગોદોહિકા . મધ્ય આકાશમાં સૂરજ આવ્યો ત્યારે તડકો શાલિવૃક્ષે ઝીલી લીધો હતો અને પ્રભુ પર શાલિવૃક્ષનો પડછાયો પથરાયો હતો . એ વખતેય ગોદોહિકા આસન અભંગ હતું. બપોર ઢળી ત્યારે પીઠ પર અને પગના પંજા પર તડકો રેલાયો તે સમયે પણ ગોદોહિકા આસન અવિચલ હતું . જે ક્ષણે કેવળજ્ઞાન થયું એ ક્ષણે પણ ગોદોહિકા આસન અભંગ હતું . કેવો મહિમા આ ગોદોહિકાનો ? નદીકિનારે જે અલ્પકાલીન ગોદોહિકા અમે કર્યું એમાં પ્રભુની ગોદોહિકાનું ભાવુક સ્મરણ સાથે જ રહ્યું .
૪. કેવળજ્ઞાન કલ્યાણક મંદિરમાં ધ્વજારોહણ
પ્રભુને કેવળજ્ઞાન થાય છે. સમવસરણ રચાય છે . સમવસરણની બહાર ગગનચુંબી ઈન્દ્રધ્વજ ઊભો હોય છે . તેને યાદ કરી શકાય તેવો લાભ વૈશાખ સુદ દશમે મળ્યો હતો . કેવળજ્ઞાન કલ્યાણકમંદિરની વાર્ષિક ધ્વજાનો લાભ . ओम् पुण्याहं पुण्याहंના ઉદ્ઘોષપૂર્વક લાલધવલ ધ્વજા આસમાનમાં લહેરાઈ હતી . કેવળજ્ઞાન કલ્યાણકમંદિરમાં ગર્ભગૃહની દેરી છે એની ઉપર ધ્વજા ચડે છે અને જિનાલયનાં શિખરે પણ ધ્વજા ચડે છે . આઈ સુંદર નાર . કર કર સિગાર . ઠાડી ચૈત્ય દ્વાર . મન મોદ ધાર . પ્રભુ ગુણ વિચાર . અઘ સબ ક્ષય કીનો . શ્રી આત્મારામજી મહારાજ કહે છે કે ભગવાનના ગુણનો વિચાર મનમાં ચાલે છે . મસ્તક પર ધજા ઊંચકી છે એનો આનંદ હૈયામાં છલકાઈ રહ્યો છે . ધજાના સન્માનમાં ઉત્તમ શણગાર સજ્યાં છે . પ્રભુના દરવાજે ઉભા ઉભા વિચાર બને છે કે પ્રભુના શિખરે ધ્વજા લહેરાશે , કેવો ઉત્તમ લાભ મળશે . આ ભાવધારા ઉત્કટ બને છે અને અગણિત પાપોનો ક્ષય થવા લાગે છે . વિધિ ધ્વજાની છે . સંવેદના પ્રભુગુણચિંતનની છે . લક્ષ્ય કર્મનિર્જરાનું છે . નીચેથી ઉપર સરકતી ધ્વજા આત્માનાં ઊર્ધ્વ આરોહણની પ્રેરણા આપે છે . ધ્વજદંડને સ્પર્શીને અટકતી ધ્વજા હવાના ધક્કે લહેરાય છે . એમ લાગે કે જાણે વીતરાગદશાએ બિરાજીત થઈને જીવ અનંત સુખોમાં મહાલે છે .
૫ . નંદપ્રભા જિનાલયમાં કેવલજ્ઞાન કલ્યાણકની પૂજા
+ ચોવીસ તીર્થંકર ભગવંતોનું કેવળજ્ઞાન કલ્યાણક એક જ તીર્થમાં સંપન્ન થયું છે ? ના . દરેક પ્રભુની કૈવલ્યભૂમિ અલગ છે . શ્રી આદિનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી પુરિમતાલ તીર્થ . શ્રી અજિતનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી અયોધ્યા તીર્થ . શ્રી સંભવનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી શ્રાવસ્તી તીર્થ . શ્રી અભિનંદન પ્રભુની અને શ્રી સુમતિનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી અયોધ્યા તીર્થ . શ્રી પદ્મપ્રભ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી કૌશંબી તીર્થ . શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી ભદૈની તીર્થ – બનારસ . શ્રી ચંદ્રપ્રભ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી ચંદ્રપુરી તીર્થ – બનારસ . શ્રી સુવિધિનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી કાકંદી તીર્થ . શ્રી શીતલનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી ભદ્દિલપુર તીર્થ . શ્રી શ્રેયાંસનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી સિંહપુરી તીર્થ – બનારસ . શ્રી વાસુપૂજ્ય પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી ચંપાપુરી તીર્થ . શ્રી વિમલનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી કંપિલપુર તીર્થ . શ્રી અનંતનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી અયોધ્યા તીર્થ . શ્રી ધર્મનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી રત્નપુરી તીર્થ . શ્રી શાંતિનાથ પ્રભુ , શ્રી કુંથુનાથ પ્રભુ અને શ્રી અરનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી હસ્તિનાપુર તીર્થ . શ્રી મલ્લિનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી મિથિલા તીર્થ . શ્રી મુનિસુવ્રત પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી રાજગૃહી તીર્થ . શ્રી નમિનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી મિથિલા તીર્થ . શ્રી નેમિનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી ગિરનાર તીર્થ . શ્રી પાર્શ્વનાથ પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી વારાણસી તીર્થ . શ્રી મહાવીર પ્રભુની કૈવલ્યભૂમિ છે શ્રી ઋજુવાલિકા તીર્થ . કેવલજ્ઞાન કલ્યાણકની પૂજામાં ચોવીસ પ્રભુની કૈવલ્યભૂમિઓનું સ્મરણ કરીને પ્રથમ જલપૂજા થઈ હતી .
+ ચોવીસ તીર્થંકર ભગવંતોનું કેવળજ્ઞાન કલ્યાણક તપ એક સમાન છે ? ના . દરેક પ્રભુનું કૈવલ્ય તપ અલગ છે . શ્રી આદિનાથ પ્રભુ , શ્રી મલ્લિનાથ પ્રભુ , શ્રી નેમિનાથ પ્રભુ અને શ્રી પાર્શ્વનાથ પ્રભુ – અઠ્ઠમ તપ કરીને કેવળજ્ઞાન પામ્યા હતા . શ્રી વાસુપૂજ્ય પ્રભુ એક ઉપવાસ કરીને કેવળજ્ઞાન પામ્યા હતા . બાકીના ઓગણીસ પ્રભુ છઠ કરીને કેવળજ્ઞાન પામ્યા હતા . આ મુજબ તપ તરંગિણી અનુસાર ચોવીસ તીર્થંકર ભગવંતોનું કેવળજ્ઞાન કલ્યાણક તપ યાદ કરીને ચંદન કેસર પૂજા થઈ હતી .
+ દરેક પ્રભુ વૃક્ષની નીચે જ કેવળજ્ઞાન પામે છે . જે વૃક્ષની નીચે પ્રભુને કેવળજ્ઞાન થાય એને કૈવલ્ય વૃક્ષ કહેવાય છે . પ્રભુનું સમવસરણ રચાય એમાં અશોકવૃક્ષની ઉપર આ કૈવલ્યવૃક્ષ જ , ચૈત્યવૃક્ષ તરીકે બિરાજીત હોય છે . શ્રી આદિનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : વટ વૃક્ષ . શ્રી અજિતનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : સપ્તચ્છદવૃક્ષ ( સપ્તપર્ણ વૃક્ષ ) . શ્રી સંભવનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : સાલ વૃક્ષ . શ્રી અભિનંદન પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : રાયણ વૃક્ષ . શ્રી સુમતિનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : પ્રિયંગુ વૃક્ષ . શ્રી પદ્મપ્રભ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : વટ વૃક્ષ . શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : શિરીષ વૃક્ષ . શ્રી ચંંદ્રપ્રભ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : પુન્નાગ વૃક્ષ . શ્રી સુવિધિ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : માલુર વૃક્ષ . શ્રી શીતલ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : પીપળો વૃક્ષ . શ્રી શ્રેયાંસ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : અશોક વૃક્ષ . શ્રી વાસુપૂજ્ય પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : પાટલ વૃક્ષ . શ્રી વિમલનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : જંબૂ વૃક્ષ . શ્રી અનંતનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : અશોક વૃક્ષ . શ્રી ધર્મનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : દધિપર્ણ વૃક્ષ . શ્રી શાંતિનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : નંદી વૃક્ષ . શ્રી કુંથુનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : તિલક વૃક્ષ . શ્રી અરનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : આમ્ર વૃક્ષ . શ્રી મલ્લિનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : અશોક વૃક્ષ . શ્રી મુનિસુવ્રત પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : ચંપક વૃક્ષ . શ્રી નમિનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : બોરસલ્લી વૃક્ષ . શ્રી નેમિનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : વેતસ વૃક્ષ . શ્રી પાર્શ્વનાથ પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : ધાતકી વૃક્ષ . શ્રી મહાવીર પ્રભુનું કૈવલ્યવૃક્ષ છે : સાલ વૃક્ષ . દરેક પ્રભુનાં કૈવલ્ય વૃક્ષોનું મંગલ સ્મરણ કરીને હજારો ફૂલો દ્વારા પુષ્પ પૂજા થઈ હતી .
+ દરેક તીર્થંકર ભગવાને દીક્ષા લીધા બાદ જ કેવળજ્ઞાન મેળવ્યું છે . દરેક પ્રભુનો પોતપોતાનો છદ્મસ્થ અવસ્થાનો સંયમપર્યાય છે. આ દીક્ષાકાળની સાધના જ પ્રભુને કેવળજ્ઞાન સુધી લઈ ગઈ હતી . શ્રી આદિનાથ ભગવાનનો છદ્મસ્થ અવસ્થાનો સંયમપર્યાય એક હજાર વરસનો હતો . શ્રી અજિતનાથ ભગવાન્ : બાર વરસ . શ્રી સંભવનાથ ભગવાન્ : ચૌદ વરસ . શ્રી અભિનંદન ભગવાન્ : અઢાર વરસ . શ્રી સુમતિનાથ ભગવાન્ : વીશ વરસ . શ્રી પદ્મપ્રભ ભગવાન્ : છ માસ . શ્રી સુપાર્શ્વનાથ ભગવાન્ : નવ માસ . શ્રી ચંંદ્રપ્રભ ભગવાન્ : ત્રણ માસ . શ્રી સુવિધિનાથ ભગવાન્ : ચાર માસ . શ્રી શીતલનાથ ભગવાન્ : ત્રણ વરસ . શ્રી શ્રેયાંસનાથ ભગવાન્ : બે માસ . શ્રી વાસુપૂજ્ય ભગવાન્ : એક માસ . શ્રી વિમલનાથ ભગવાન્ : બે વરસ . શ્રી અનંતનાથ ભગવાન્ : ત્રણ વરસ . શ્રી ધર્મનાથ ભગવાન્ : બે વરસ . શ્રી શાંતિનાથ ભગવાન્ : એક વરસ . શ્રી કુુંથુનાથ ભગવાન્ : સોળ વરસ . શ્રી અરનાથ ભગવાન્ : ત્રણ વરસ . શ્રી મલ્લિનાથ ભગવાન્ : એક દિવસ . શ્રી મુનિસુવ્રત ભગવાન્ : અગિયા૨ માસ . શ્રી નમિનાથ ભગવાન્ : નવ માસ . શ્રી નેમિનાથ ભગવાન્ : ચોપ્પન દિવસ . શ્રી પાર્શ્વનાથ ભગવાન્ : ચોર્યાસી દિવસ . શ્રી મહાવીર ભગવાન્ : સાડા બાર વરસ .દરેક પ્રભુનો છદ્મસ્થ અવસ્થાનો સંયમપર્યાય કેટલો હતો એનું સ્મરણ કરતાં કરતાં મઘમઘતી ધૂપપૂજા થઈ હતી .
+ પ્રભુ ચાર ઘાતી કર્મનો નાશ કરે છે . પ્રભુને ચાર અનંતતા પ્રાપ્ત થાય છે . અનંત જ્ઞાન . અનંત દર્શન . અનંત શાંતિ . અનંત ઉર્જા . આનું સ્મરણ કરવાપૂર્વક ઝગમગતી દીપપૂજા થઈ હતી .
+ પ્રભુ કેવળજ્ઞાન પામ્યા બાદ સર્વપ્રથમ ધર્મતીર્થની સ્થાપના કરે છે . એ મહાન્ ઘટનાને યાદ કરીને એકાવન સ્વસ્તિક રચવાપૂર્વક અક્ષતપૂજા કરી હતી .
+ જે દિવસે પ્રભુ કેવળજ્ઞાન પામે છે એ દિવસે પ્રભુ પ્રથમ દેશના આપે છે . પ્રથમ દેશના સાંભળીને પ્રભુના હાથે જે સર્વપ્રથમ દીક્ષા પામે છે તેમનું અહોભાગ્ય મોટું ગણાય છે . ચોવીશ તીર્થંકરનાં શાસનમાં પ્રભુના હાથે સર્વપ્રથમ કોણે દીક્ષા લીધી અને કેટલાની સાથે લીધી ? સર્વપ્રથમ દીક્ષા ગણધર લે છે . શ્રી આદિનાથ ભગવાનના હાથે સર્વપ્રથમ દીક્ષા ઋષભસેન આદિ ચોર્યાસી ગણધરોએ લીધી . શ્રી અજિતનાથ ભગવાનના હાથે સિંહસેન આદિ પંચાણું ગણધરો . શ્રી સંભવનાથ ભગવાનના હાથે ચારુ આદિ એકસો બૅ ગણધરો . શ્રી અભિનંદન ભગવાનના હાથે વજ્રનાભ આદિ એકસો સોળ ગણધરો . શ્રી સુમતિનાથ ભગવાનના હાથે ચમર આદિ એકસો બે ગણધરો . શ્રી પદ્મપ્રભ ભગવાનના હાથે સુવ્રત આદિ એકસો સાત ગણધરો . શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના હાથે વિદર્ભ આદિ પંચાણું ગણધરો . શ્રી ચંદ્રપ્રભ ભગવાનના હાથે દત્ત આદિ ત્રાણું ગણધરો . શ્રી સુવિધિનાથ ભગવાનના હાથે વરાહ આદિ અઠ્યાસી ગણધરો . શ્રી શીતલનાથ ભગવાનના હાથે આનંદ આદિ એક્યસી ગણધરો . શ્રી શ્રેયાંસનાથ ભગવાનના હાથે ગોશુભ આદિ છોત્તેર ગણધરો . શ્રી વાસુપૂજ્ય ભગવાનના હાથે સૂક્ષ્મ આદિ છાસઠ ગણધરો . શ્રી વિમલનાથ ભગવાનના હાથે મંદર આદિ સત્તાવન ગણધરો . શ્રી અનંતનાથ ભગવાનના હાથે પશ આદિ પચાસ ગણધરો . શ્રી ધર્મનાથ ભગવાનના હાથે અરિષ્ટ આદિ તેતાલીસ ગણધરો . શ્રી શાંતિનાથ ભગવાનના હાથે ચક્રાયુધ આદિ છત્રીસ ગણધરો . શ્રી કુંથુનાથ ભગવાનના હાથે સ્વયંભૂ આદિ પાંત્રીસ ગણધરો . શ્રી અરનાથ ભગવાનના હાથે કુંભ આદિ તેત્રીસ ગણધરો . શ્રી મલ્લિનાથ ભગવાનના હાથે ભિષક આદિ અઠ્યાવીસ ગણધરો . શ્રી મુનિસુવ્રત ભગવાનના હાથે ઈન્દ્ર આદિ અઢાર ગણધરો . શ્રી નમિનાથ ભગવાનના હાથે કુંભ આદિ સત્તર ગણધરો . શ્રી નેમિનાથ ભગવાનના હાથે વરદત્ત આદિ અગિયાર ગણધરો . શ્રી પાર્શ્વનાથ ભગવાનના હાથે આર્યદત્ત આદિ દસ ગણધરો . શ્રી મહાવીર ભગવાનના હાથે ગૌતમ આદિ અગિયાર ગણધરો .પ્રભુ કેવળજ્ઞાની થયા તે પછી પ્રભુના હાથે સર્વપ્રથમ દીક્ષા પામનારા મહાભાગી આત્માઓને યાદ કરીને વિધવિધ એકાવન મીઠાઇઓ દ્વારા નૈવેદ્ય પૂજા થઈ હતી .
+ કેવળજ્ઞાન પ્રભુને મળે છે તે પછી પ્રભુ ચિરકાળ સુધી ધરાતલ પર વિહરમાન રહે છે . સંપૂર્ણ જીવનકાળ દરમ્યાન પ્રભુના હાથે કેટલા આત્માઓ કેવળજ્ઞાન પામે છે ? આંકડાઓ સ્પષ્ટ મળે છે : શ્રી આદિનાથ ભગવાનના હાથે વીશ હજાર આત્માઓ કેવળજ્ઞાન પામ્યા . શ્રી અજિતનાથ ભગવાનના હાથે બાવીશ હજાર આત્માઓ કેવળજ્ઞાન પામ્યા . શ્રી સંભવનાથ ભગવાનના હાથે પંદર હજાર . શ્રી અભિનંદન ભગવાનના હાથે ચૌદ હજાર . શ્રી સુમતિનાથ ભગવાનના હાથે તેર હજાર . શ્રી પદ્મપ્રભ ભગવાનના હાથે બાર હજાર . શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના હાથે અગિયાર હજાર . શ્રી ચંદ્રપ્રભ ભગવાનના હાથે દશ હજાર . શ્રી સુવિધિનાથ ભગવાનના હાથે સાડા સાત હજાર . શ્રી શીતલનાથ ભગવાનના હાથે સાત હજાર . શ્રી શ્રેયાંસનાથ ભગવાનના હાથે સાડા છ હજાર . શ્રી વાસુપૂજ્ય ભગવાનના હાથે છ હજાર . શ્રી વિમલનાથ ભગવાનના હાથે સાડા પાંચ હજાર . શ્રી અનંતનાથ ભગવાનના હાથે પાંચ હજાર . શ્રી ધર્મનાથ ભગવાનના હાથે સાડા ચાર હજાર . શ્રી શાંતિનાથ ભગવાનના હાથે ચાર હજાર . શ્રી કુંથુનાથ ભગવાનના હાથે ત્રણે હજાર બસ્સો . શ્રી અરનાથ ભગવાનના હાથે બે હજાર આઠસો . શ્રી કુંથુ નાથ ભગવાનના હાથે ત્રણ હજાર બસ્સો . શ્રી અરનાથ ભગવાનના હાથે બે હજાર આઠસો . શ્રી મલ્લિનાથ ભગવાનના હાથે બે હજાર બસ્સો . શ્રી મુનિસુવ્રત ભગવાનના હાથે અઢારસો . શ્રી નમિનાથ ભગવાનના હાથે સોળસો . શ્રી નેમિનાથ ભગવાનના હાથે પંદરસો . શ્રી પાર્શ્વનાથ ભગવાનના હાથે એક હજાર . શ્રી મહાવીર ભગવાનના હાથે સાતસો આત્માઓ કેવળજ્ઞાન પામ્યા . પ્રભુ પાસેથી કેવળજ્ઞાન મેળવનારા બડભાગી આત્માઓને યાદ કરીને એકાવન લીલા નાળિયેર દ્વારા ફળપૂજા થઈ હતી . ફળપૂજાની માંગણી આ હતી : ઓ સાહેબજી , આવતા ભવમાં કેવળજ્ઞાન મને આપજો . ઓ જિનવરજી , સિદ્ધશિલા દરબારે સ્થાન મને આપજો .
૬ . કેવળજ્ઞાન સૂત્રવાંચન
વૈશાખ સુદ દશમે ત્રીજા પ્રહરના અંતે પ્રભુને કેવળજ્ઞાન થયું હતું. ત્રીજા પ્રહરના અંતનો સમય અને ચતુર્થ પ્રહરના પ્રારંભનો સમય ઋજુવાલિકામાં સૌથી વધુ અગત્યનો હોય છે . આ સમય સાથે બારસાસૂત્રની વાંચના રાખવામાં આવી હતી . જીર્ણોદ્ધારકેસરી પૂજ્યપાદ આ.શ્રી મુક્તિ પ્રભસૂરીશ્વરજી મહારાજાએ બારસાસૂત્ર અંતર્ગત શ્રી મહાવીર સ્વામી કેવળજ્ઞાન ઉત્પત્તિ સૂત્રનો મંગલ પાઠ સૌને સંભળાવ્યો હતો . પછી એ પાઠનો ભાવાર્થ હિંદી ભાષામાં સૌને સાંભળવા મળ્યો હતો . પ્રભુને કેવળજ્ઞાન થયું એની જાહેરાત થઈ એ સાથે જ શંખ ફૂંકાયા હતા , દુંદુભિનાદ તરીકે મોટું નગારું વાગ્યું હતું , ઘંટનાદ થયો હતો , થાળીએ સત્યાવીસ ડંકા દેવાયા હતા , વારંવાર જયજયકાર થયા હતા . ભક્તો નાચ્યા હતા . આખો દિવસ યાત્રાળુઓની હલચલ બનેલી રહી હતી .
૭ . શાલિવૃક્ષની છાયા
નંદપ્રભા જિનાલયના રંગમંડપમાં ગોદોહિકા આસનધારી પ્રભુ મહાવીરજી શાલિવૃક્ષતળે બિરાજમાન છે એવી રચના કરવામાં આવી હતી . સાચુકલા શાલિવૃક્ષોનું નાનું એવું જંગલ ઊભું હતું. ઋજુવાલિકાની રેત પાથરીને નાનક્ડી નદી રચવામાં આવી હતી . એમાં ઋજુવાલિકાના જ પથ્થરો પાથર્યા હતા . વૈશાખ સુદ દશમનો આખો દિવસ એ શાલિવૃક્ષની પર્ણઘટા ઝૂલતી રહી હતી . શાલિના એક એક પાંદડાં પર ઓજસ આવી ગયું હતું . ગોદોહિકાબદ્ધ દર્શનીય મૂર્તિ વૃક્ષની નીચે હતી . મુખમુદ્રા પર અપરિસીમ આનંદ હતો . વિશાળ આંખોમાં નિઃસ્પૃહદશાનો નશો હતો . મૃદુ સ્મિતરેખાથી અંકિત હોઠો પર મૌનની મધુરતા હતી . વિશાળ ભાલપ્રદેશ પર વિશ્વવિજેતાનું પરમતેજ હતું . સાડા બાર વરસની તપસાધનાની ખુમારી રોમરોમમાં વિલસતી હોય એ રીતે મૂર્તિ દેદીપ્યમાન લાગતી હતી . પ્રભુ પર છાંયડો પાથરી રહેલા શાલિવૃક્ષવનનો લીલોછમ પર્ણવિસ્તાર હવામાં ઝૂમી રહ્યો હતો . ઋજુવાલિકા નદીના સામા કિનારે ઉભેલા અગણિત વૃક્ષો પણ આ દૃશ્ય નિહાળીને હરખના હિલોળા લેતા રહ્યા હતા . જાણે એ કહી રહ્યા હતા : દર વરસે આ જ રીતે વૈશાખ સુદ દશમ ઉજવજો . ( વિ .સં. ૨૦૮૦ )
