Home Gujaratiમોક્ષ કોણ આપશે ? ભગવાન્ કે દેવીદેવતા ? તમારો જવાબ શું છે ?

મોક્ષ કોણ આપશે ? ભગવાન્ કે દેવીદેવતા ? તમારો જવાબ શું છે ?

by Devardhi
0 comments

વર્ષો પહેલાં આપણાં દેરાસરોમાં પૂજાઓ ભણાવાતી . પૂજાઓમાં ફક્ત ભગવાનનાં જ પદો હોય . દેવીદેવતાઓનાં નામોનિશાન ન હોય . ફક્ત અને ફક્ત ભગવાનનાં ગુણગાન કરતી પૂજાઓ વર્ષો વર્ષો સુધી દેરાસરમાં ગવાતી રહી અને પૂજાઓ જ જૈનશાસનનાં મુખ્ય અનુષ્ઠાનનું સ્થાન જાળવતી રહી . ધીમે ધીમે પૂજનો આવ્યાં અને વધ્યાં . શરૂઆતમાં પૂજનો એવાં હતાં જેમાં ભગવાન્ હોય અને ભગવાનની સાથે વિવિધ દેવીદેવતા માટેના મંત્રોચ્ચાર પણ હોય . આ પૂજનોને લીધે પૂજાઓ ઓછી થઈ ગઈ . ખરી સમસ્યા હવે આવી . પૂજનોને કારણે પૂજાઓ ઓછી થઈ એ પછી હવે એવું થયું છે કે દેવી-દેવતાઓની મુખ્યતાવાળા પૂજનને કારણે ભગવાનની મુખ્યતાવાળા પૂજનો ઓછા થઈ રહ્યાં છે . સરવાળે આપણે જે અનુષ્ઠાનો કરીએ છીએ એમાં ભગવાન્ પર ફોકસ ઓછું હોય છે અને દેવીદેવતા પર ફોકસ વધારે હોય છે એવી પરિસ્થિતિ બની રહી છે . ભગવાનની ભક્તિનું અનુષ્ઠાન હોય તો અનુષ્ઠાનમાં ભગવાન્ જ મુખ્ય રહે તેનું ધ્યાન આપણે રાખવાનું હોય . નામ ભગવાનનું હોય અને ફોકસ ભગવાનને બદલે દેવી-દેવતા ઉપર વધારે હોય , એ ગડબડ કહેવાય .

આપણે ધર્મ કરીએ છીએ કારણ કે ધર્મ ભગવાને આપ્યો છે . ધર્મ દેવીદેવતાઓએ નથી આપ્યો . ધર્મતીર્થની સ્થાપના ભગવાન્ જ કરે છે . કોઈ દેવીદેવતા ધર્મતીર્થની સ્થાપના કરતા નથી . જો હોવે મુજે શક્તિ ઇસી , સવિ જીવ કરું શાસન રસી , આ ભાવનાનાં સ્પંદનો જે રીતે ભગવાનમાં હોય છે એ રીતે કોઈ દેવીદેવતાઓમાં હોતા નથી . આપણે સામાયિક પ્રતિક્રમણ આદિ આરાધના કરીએ છીએ . એ આરાધના ભગવાને શીખવાડી છે . એ આરાધના કોઈ દેવીદેવતાએ શીખવાડેલી નથી . આપણે તપત્યાગ કરીએ છીએ એ તપત્યાગ આપણા ભગવાને આચરેલા છે , કોઈ દેવીદેવતા તપ ત્યાગ આચરતા નથી . આપણા ધર્મનું લક્ષ્ય મોક્ષ છે . મોક્ષમાં ફક્ત ભગવાન્ વસે છે . મોક્ષમાં કોઈ દેવીદેવતા વસતા નથી . આપણે જે ધર્મ કરીએ છીએ એમાં ભગવાનની પૂજા કરવાની હોય છે અને દેવીદેવતાનું ઔચિત્યભાવે સન્માન કરવાનું હોય છે . જેટલું માન સન્માન ભગવાનને મળે એટલું જ માન સન્માન દેવીદેવતાને મળે એ દૃશ્ય અજુગતું છે . જેટલું માન સન્માન ભગવાનને મળે એના કરતાં વધારે માનસન્માન દેવીદેવતાને મળે એ દૃશ્ય અસ્વીકાર્ય છે . આપણે ચાર ગતિમાંની એક ગતિ તરીકે દેવગતિને સ્વીકારીએ છીએ . દેવીદેવતાઓને વીતરાગ ભગવાન્ માટે ભક્તિ હોય છે એ પણ આપણે સ્વીકારીએ છીએ . આપણી ભક્તિ ભગવાન્ માટે ઓછી હોય અને દેવી દેવતા માટે વધારે હોય એવી માનસિકતા આપણે સ્વીકારતા નથી . જે ધર્મનો સાચો જાણકાર છે તે ભગવાન્ ઉપર જ કેન્દ્રિત હોય છે .

ભગવાન કેન્દ્રમાંથી હટી ગયા એવું જે દિવસે બનશે એ દિવસે દેવીદેવતાઓ આપણી સામે જોવાનું છોડી દેશે . દેવી દેવતાઓ માટે તમે સાધર્મિક છો . સાધર્મિકનું સન્માન સાધર્મિક કરે એ રીતે દેવી દેવતા આપણી માટે આત્મીયતા રાખે છે . દેવી દેવતાઓ સ્વભાવે વત્સલ હોય છે . એમની પાસેથી કશુંક મળતું હોય એવી સંભાવનાને નકારી શકાય નહીં . પરંતુ એમની પાસેથી કશુંક મળે છે એટલે એમની સાથે સ્વાર્થ ભરેલો સંબંધ રાખવો આ દૃષ્ટિકોણ ખોટો . દેવીદેવતાને રાજી રાખવાથી કંઈક મળે છે માટે દેવીદેવતાને રાજી રાખો આવું વિચારવાનું હોય નહીં . દેવીદેવતા જે ભગવાનના ભગત છે એ ભગવાનના ભગત આપણે પણ છીએ આ રીતે વિચારવાનું હોય . જે ચમત્કારી ગણાય છે , જે મહાપ્રભાવશાળી ગણાય છે , જે જાગૃત અને હાજરાહજૂર ગણાય છે એ દેવીદેવતા ભગવાનનાં ચરણોમાં મસ્તક નમાવતા હોય છે . તો ભગવાનનું સ્થાન કેટલું મોટું ગણાય ? સમજાય છે તમને ?

દેવી-દેવતા જેમની પૂજા કરતા હોય છે એ આપણા ભગવાન્ છે . આપણી સમક્ષ ભગવાન્ હોય અને દેવીદેવતા પણ હોય ત્યારે આપણું કર્તવ્ય એ છે કે આપણે ભગવાનને વધારે આદર આપીએ , ભગવાનને વધારે સમય આપીએ . અમુક લોકોની આદત એવી થઈ ગઈ છે કે ભગવાન કરતાં વધારે સમય દેવીદેવતાને આપે છે . ભગવાનની પૂજાને પાંચ મિનિટ મળે અને દેવી-દેવતાનાં અનુષ્ઠાનને ખાસ્સોબધો સમય મળે એવા પૂજાપૂજનોમાં ભગવાન્ હાજર હોવા છતાં ભગવાન્ ગૌણ બની જતા હોય છે . આપણી સામે ભગવાન્ હોય અને ભગવાન્ જ ગૌણ બની જતા હોય એવું થાય ત્યારે વીતરાગ તત્ત્વની આરાધનાને ધક્કો લાગે છે .

મોટાભાગના લોકોને દેવી દેવતામાં જ રસ પડે છે . એમને વીતરાગ તત્ત્વની આરાધના શું છે એ સમજાતું પણ નથી અને સમજવું પણ નથી . દેવી દેવતાને વધારે પડતું મહત્ત્વ આપવાના ચક્કરમાં આપણે જૈન તરીકેનો આપણો દરજ્જો ભૂલી જતાં હોઈએ છીએ . જૈન આત્મા માટે ધર્મ કરે છે . જૈન મોક્ષ પામવા માંગે છે . કોઈ દેવીદેવતા મોક્ષ આપી દેતા હોય એવું ક્યારે બન્યું છે ? વિચારજો . કોઈ દેવી દેવતા ધર્મ કરાવતા હોય એવું બને છે ? વિચારજો . દેવીદેવતાનાં અસ્તિત્વનો ઇનકાર નથી કરવો . દેવીદેવતાની સહાયક શક્તિનો અસ્વીકાર પણ નથી કરવો. વંદિત્તુમાં તો લખ્યું જ છે : સમ્મદ્દિઠ્ઠી દેવા દિન્તુ સમાહિં ચ બોહિં ચ ।

વાત ફક્ત એટલી જ છે કે જે ઊંચાઈ પર ભગવાન્ બેઠા છે એ ઊંચાઈ પર કોઈ દેવી દેવતા પહોંચી શક્યા નથી એ યાદ રહેવું જોઈએ . જે ભગવાન્ પાસેથી મળે છે એ કોઈ દેવીદેવતા પાસેથી મળતું નથી એવો વિશ્વાસ આકંઠ હોવો જોઈએ . લોકો આવે છે પોતાનો સ્વાર્થ લઈને . લોકો આવે છે પોતાની ક્ષુલ્લકતા લઈને . લોકો આવે છે પોતાનું અજ્ઞાન લઈને . દેવીદેવતાઓ આપણને નિઃસ્વાર્થ બનવાનું શીખવતા નથી . દેવીદેવતાઓ આપણને ક્ષુલ્લકતામાંથી બહાર લાવતા નથી . દેવીદેવતાઓ આપણા ખોટા વિચારોને અટકાવતા નથી . નિઃસ્વાર્થ બનવાનું ભગવાન્ શીખવે છે . ક્ષુલ્લકતામાંથી બહાર લાવે છે ભગવાન્ . ખોટા વિચારોને ખતમ કરે છે ભગવાન્ . સ્વાર્થને સિદ્ધ કરવા માટે દેવીદેવતા છે પરંતુ સ્વાર્થથી મુક્ત બનવા માટે ભગવાન્ છે . ભગવાન આપણી માટે સર્વોચ્ચ પદાસીન પરમાત્મા છે . દેવીદેવતા આપણી માટે સાધર્મિક છે .

પરમાત્માની પૂજા હોય . સાધર્મિકનો આદર હોય . પરમાત્મા સર્વજ્ઞ છે . સાધર્મિક સર્વજ્ઞ નથી . પરમાત્મા વીતરાગ છે . સાધર્મિક વીતરાગ નથી . પરમાત્મા વિશ્વવંદનીય છે . સાધર્મિક વિશ્વવંદનીય નથી . પરમાત્માનું પુણ્ય અનંત છે . સાધર્મિકનું પુણ્ય સીમિત છે . પરમાત્મા સાથે જોડાયેલું છે તીર્થંકર નામ કર્મ . સાધર્મિક સાથે તીર્થંકર નામ કર્મ જોડાયેલું નથી , સમજી શકાય છે . આજકાલ ઘણા બધા લોકોને જોડવા માટે દેવીદેવતાઓ ઉપર ફોકસ રાખીને અનુષ્ઠાનો યોજવામાં આવે છે . આ અનુષ્ઠાનમાં દેવી-દેવતાને જે માન સન્માન આપવામાં આપે છે એ જોઈને આપણને આ દેવી-દેવતાઓ ભગવાન્ જેવા જ છે એવી ભ્રમણા થવા લાગે છે . આવી ભ્રમણામાં પડવા જેવું નથી .

સમાજમાં અજ્ઞાની લોકો વધારે હોય છે . અજ્ઞાની લોકોને દેવીદેવતામાં જ વધારે રસ પડતો હોય છે . આપણે અજ્ઞાની બની રહીએ અને દેવીદેવતામાં અટકેલા રહીએ , આ પહેલું ઑપ્શન છે . આપણે અજ્ઞાની બની રહેવાને બદલે જ્ઞાનની દિશામાં આગળ વધીએ અને વીતરાગ ભગવાનની તુલનામાં બીજા કોઈ દેવીદેવતા આવી જ ના શકે એવી સ્પષ્ટ માનસિકતા રાખીએ એ બીજું ઑપ્શન છે . પહેલા ઑપ્શનમાં ભગવાનની ઉપેક્ષાના ચાન્સ બનેલા રહે છે . બીજા ઑપ્શનમાં ભગવાનની ઉપેક્ષાના કોઈ ચાન્સ નથી . જે ભગવાનની ઉપેક્ષા કરે એ ભગવાનનો ભગત નથી . જે ભગવાનની ઉપેક્ષા ન કરે એ જ ભગવાનનો ભગત છે .

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.