મેનેજમેન્ટનો એક કાયમી નિયમ છે : બી પ્રિપેર્ડ . કોઈપણ પરિસ્થિતિ માટે પહેલેથી તૈયાર રહો . બધું સમુંસૂતરું ચાલે છે એનો અર્થ એ નથી કે કાયમ બધું સમુંસૂતરું જ ચાલવાનું છે . તકલીફ આવી શકે છે . તકલીફ ગમે ત્યારે આવી શકે છે .તકલીફ કોઈ પણ સ્વરૂપે આવી શકે છે . જે પહેલેથી તૈયાર છે તે સામનો કરી શકે છે . જે બીબાંઢાળ માનસિકતા રાખીને બેઠા છે , તેઓ કશુંક અણધાર્યું થવાનું છે એની કલ્પના કરી શકતા નથી .
માણસ મોટી મોટી મહત્ત્વાકાંક્ષાઓ રાખે છે . માણસ મોટી મોટી હિંમત બનાવે છે . જૂના અનુભવોના આધારે માણસ પ્રચંડ આત્મવિશ્વાસ રાખીને બેઠો હોય છે કે જે ધાર્યું છે એ બધું કરી શકશું . વાત સાચી પણ છે કે હતાશા રાખીને બેઠા રહેવાય નહીં . પરંતુ વધારે પડતો આત્મવિશ્વાસ ઘાતક સાબિત થતો હોય છે . ઓવર કોન્ફિડન્સનાં કારણે ભલભલા ધુરંધરો થાપ ખાઈ ગયા છે . ટાઈટેનિકની સામે હિમખંડ આવી ગયો છે એની ખબર પડી ત્યારે ટાઇટેનિક પાસે બચવા માટે ફક્ત ૩૭ સેકન્ડ્સ જ હતી . પહાડ જેવું જહાજ તરત અટકી શકે કે ટર્ન લઈ શકે એટલો સમય બચ્યો જ નહોતો . અકસ્માત્ થયો જ .
આપણને આદત છે . કોઈપણ પ્રશ્ન આવે એટલે પહેલો પ્રતિભાવ આ જ હોય છે : ઊભા રહો , શાંતિથી વિચારવા દો . ભલાભઈ ! દરવખતે તમે કોઈને ઊભા રાખી ન શકો , દરવખતે તમને વિચારવાનો સમય મળવાનો નથી . પછી કરીશું કે પછી કહીશું એવી ભ્રમણામાં રહેવા જેવું નથી . મુસીબત આવશે ત્યારે , પછી નામની ગલી માટે કોઈ જગ્યા જ નહીં બચે . જે કરવાનું હશે તત્કાળ કરવું પડશે . મોત અને મુસીબત પહેલેથી પૂછીને આવે છે એવું નથી .
મન મજબૂત રાખવું પડશે . મન શાંત રાખવું પડશે . મન પ્રસન્ન રાખવું પડશે . મન ડગી જશે તો મુસીબત માથે ચડી જશે . મન ડરી જશે તો મોત બગડી જશે . નિયતિમાં જે મુસીબત લખેલી હશે એ વેઠવાની જ છે . જે કાળે મરણ લખ્યું છે તે કાળે મરવાનું જ છે . તમારે પોતાની જાતને આદેશ કરવાનો છે એ મનની મજબૂતી , મનની શાંતિ અને મનની પ્રસન્નતા સાથે ક્યારે પણ કોઈ બાંધછોડ નહીં કરીએ . અચાનક મુસીબત આવી જશે ત્યારે મન વિચલિત નહીં થાય એવો સંકલ્પ રાખવાનો છે . અચાનક મૃત્યુ આવી જશે એ વખતે હિંમત ન તૂટે એની માટે જીવનભર ધર્મપ્રવૃત્તિ અને ધર્મભાવના સાથે જોડાયેલા રહેવાનું છે . Titanic પાસે બચવાનો ટાઈમ નહોતો એટલે એ ડૂબી ગયું . તમારી પાસે તૈયારી કરવાનો ટાઈમ છે . રોજેરોજ એવું કશું કે સાંભળો કે વાંચો જેનાથી તમારું મન મજબૂત બનેલું રહે . રોજે રોજ મનમાં એવા વિચારોનું પુનરાવર્તન કરો જેથી તમારું મન શાંતિ સાથે જોડાયેલું રહે . રોજેરોજ એવા લોકોની સંગતમાં રહો જેમના થકી તમારી પ્રસન્નતા અખંડ રહે .
તમે ઘણાબધા પૈસા કમાવાના ચક્કરમાં રહો છો , તમે ઘણાબધા લોકોને રાજી રાખવાની વેતરણમાં રહો છો , તમે ઘણું બધું ભેગા કરવાનું મન બનાવતા રહો છો . આમાં તમે એટલા ડૂબેલા રહો છો કે મન ઉપર કામ કરવાનું સાવ જ રહી જાય છે . જે રીતે પૈસા કમાવા માટે અલગ મહેનત કરવી પડે છે , જે રીતે રિલેશનશિપ માટે અલગથી જવાબદારી નિભાવવી પડે છે , જે રીતે સાધન સરંજામ વસાવવા માટે ઘણો પુરુષાર્થ કરવો પડે છે . એ જ રીતે મનને મજબૂત બનાવવા માટે અલગથી મહેનત કરવી પડે છે , મનને શાંત બનાવી રાખવા માટે અલગથી જવાબદારી નિભાવવી પડે છે અને મનને પ્રસન્ન રાખવા માટે અંતરંગ પુરુષાર્થ કરવો પડે છે . તમે ખાઓ પીઓ અને મોજ કરો – એના દ્વારા મનને મજબૂત બનાવી શકતા નથી . મનને મજબૂત બનાવવા માટે અલગથી પ્રક્રિયાઓ રચવી પડે છે .
મન ઢીલું પડી જાય એ મીની મરણ છે . મન અશાંત થઈ જાય એ મીની મરણ છે . મન દુઃખી થઈ જાય એ મીની મરણ છે . તમારી સામે કંઈ ઘડીએ કંઈ મુસીબત આવશે એ નક્કી નથી , કંઈ ઘડીએ મરણ આવશે એ નક્કી નથી . મુસીબત આવે કે મરણ , આપણું મન મજબૂત રહેશે , શાંત રહેશે અને પ્રસન્ન રહેશે એવો સંકલ્પ કરો . એ સંકલ્પને સાકાર કરવા માટે મન ઉપર જે કામ કરવું પડે એ કામ શરૂ કરી દો . ટાઇટેનિક પાસે ફક્ત ૩૭ સેકન્ડ્સ હતી . તમારી પાસે ઘણો સમય છે . આ નાનકડો લેખ જેણે લખ્યો એની પાસે લખવાનો ટાઈમ હતો માટે આ લેખ લખી શકાયો . તમે વાંચવાનું શરૂ કર્યું , તમારી પાસે સમય હતો માટે તમે આ લેખ પૂરો કરી શક્યા . અમુક લોકો પાસે સમય હોતો નથી . એ લોકો બિચારા કાંઈ કરી શકતા નથી .
ટાઈટેનિક લેસન ટુ કહે છે કે તમારી પાસે સમય છે , તમે ઘણું કરી શકો છો . તમારો વર્તમાન સમય , તમારા ભાવિ સમય માટે ઉપયોગી બનવો જોઈએ . જેમની પાસે સમય નથી એ કશું કરી શકતા નથી . જેમની પાસે સમય છે એ ઘણું કરી શકે છે . તમારી પાસે સમય છે એ મોટી વાત છે . તમે તમારા સમયને પ્રોડક્ટિવ બનાવો છો એ ઘણી મોટી વાત છે .
