Home Gujaratiરાજગૃહી શુભ ઠામ

રાજગૃહી શુભ ઠામ

by Devardhi
0 comments

આજે હું સીતારામપુર છું . રાજગૃહીની પહાડીને અડોઅડ ગામ . છતાં રાજગૃહીથી ૧૦ કિલોમીટર દૂર . સ્કૂલમાં ઉતારો . મેદાનમાંથી દૂરદૂરનો ફેલાવો બનાવતો પહાડ . શાંત સન્નાટો . પોષ સુદ એકાદશીની ચાંદની . રાજગૃહીની પહાડીઓનો વર્ણ શામળો નથી . પહાડીના પથ્થર ધોળા છે . બે દિવસમાં લગભગ આઠેક કલાક પહાડ સાથે વીત્યા હશે એટલે પથ્થરનો રંગ યાદ રહી ગયો છે . એટલો ઉજળો પાષાણ છે આ પર્વતનો કે એ પાષાણમાંથી પ્રતિમા કેમ નથી બનાવતા , એવો પ્રશ્ન થાય . શિખરજીની યાત્રા કરી છે , સિદ્ધગિરિની યાત્રા કરી છે પરંતુ રાજગૃહી ? આઠમનાં સ્તવનની પહેલી કડીના પહેલા શબ્દમાં વસે છે રાજગૃહી શુભ ઠામ . સિરિ સિરિવાલ કહા-ના ગૌતમ ગુરુ રાજગૃહી પધારીને નવપદની દેશના ફરમાવે છે : અરિહાઈ નવપયાઈં ઝાઇત્તા , આ ગાથા પર કેટલીય વાર વ્યાખ્યાન આપ્યાં છે . હિયય કમલ મજ્ઝંમિ , આ કડીના આધારે લોટસ મેડિટેશન કર્યું છે , કરાવ્યું છે . ધન્નાજીની સાત માળની હવેલી અને એમની આઠ પત્નીઓની અલગ અલગ સાત માળની હવેલીઓ એમ નવ હવેલીઓમાં રહેનારું કુટુંબ રાજગૃહીએ જોયું છે . શાલિભદ્રજીની નવાણું પેટી અને પુણિયા શ્રાવકની સામાયિક રાજગૃહીએ જોઈ છે . સુધર્મા સ્વામીજીની દેશના અને જંબૂકુમારની રાત્રિકથા રાજગૃહીએ સાંભળી છે . નંદ મણિયારનો મંડૂક અવતાર અને રાજા શ્રેણિકની જેલ રાજગૃહીની નજર સામે બનેલી ઘટના છે . ગૌશાળો પ્રભુ વીરને ગળે પડ્યો રાજગૃહીથી .

રાજગૃહીની કથાઓ અગણિત છે . આખી રાત વીતી જાય તો પણ રાજગૃહીની વાર્તા ખતમ ના થાય . અત્યારે ચાંદનીનું અજવાળું રેલાયેલું છે એમાં લખવા બેઠેલો છું તો દૂર થી શિયાળ રોવાનો અવાજ સંભળાઈ રહ્યો છે . તે સિવાય ભેંકાર એકાંત છે . અડધા ખોબા જેવું સીતારામપુર ધાબળા ર્વીટાળીને પોઢી ગયું છે . રાજગૃહીના પંચ શૈલની સફેદ ચટ્ટાનો ચાંદાના અજવાળે ચમકી રહી છે . મને ત્રણ ચાર પહાડી દેખાઈ રહી છે તે લગભગ સ્વર્ણગિરિની શૃંખલા છે . અત્યારે સાડા દસ થયા છે . હવે વિશ્રામનો સમય થયો .

પાછલા પાંચ દિવસોમાં – ક્ષત્રિયકુંડ , કુંડઘાટ , લછવાડ , પાવાપુરી , ગુણિયાજી , કુંડલપુર , નાલંદા , રાજગૃહીની યાત્રા થઈ છે. આ એક અખવાડિયું સાકાર થયેલું સોનેરી સપનું બની ગયું છે . બધું વિગતે લખીશ . આજે चत्तारि मंगलं ।

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.