Home Gujaratiઅંતિમ દેશનાના પહેલા દિવસે પ્રભુ વીર પુણ્ય અને પાપના વિષયમાં જે બોલ્યા હતા તે વિષય વિપાકસૂત્રમાં વાંચવા મળે છે

અંતિમ દેશનાના પહેલા દિવસે પ્રભુ વીર પુણ્ય અને પાપના વિષયમાં જે બોલ્યા હતા તે વિષય વિપાકસૂત્રમાં વાંચવા મળે છે

by Devardhi
0 comments

દિવાળીના દિવસો શ્રી મહાવીર સ્વામી ભગવાનનાં નામે લખાયેલા હોય છે . આયુષ્યના છેલ્લા બે દિવસોમાં પ્રભુએ છઠનો તપ કર્યો હતો . આ બે દિવસોમાં ભગવાને અંતિમ દેશના ફરમાવી હતી . ભગવાને મોક્ષમાં જતાં પહેલાં જે જે વિષયનું પ્રતિપાદન કર્યું તેનાં નામ આ મુજબ છે : એક , પુણ્ય અને પાપના વિપાકનું વર્ણન . બે , ઉત્તરાધ્યયન સૂત્રનાં ૩૬ વિષય . ત્રણ , પુણ્યપાલ રાજાને આવેલ સ્વપ્નનાં અર્થઘટન સ્વરૂપે ભવિષ્ય કથન . ચાર , પ્રધાન અધ્યયનની વિભાવના . આજકાલ પ્રભુની અંતિમ દેશના સ્વરૂપે ક્યાંક ઉત્તરાધ્યયન સૂત્ર અને ક્યાંક સ્વપ્નનો ફલાદેશ આ બે વિષય ઉપર દિવાળીનાં વ્યાખ્યાનો થતાં હોય છે .

આ વ્યાખ્યાનો ખરેખર , પ્રભુ સાથે જોડાયેલા જ ગણાય પરંતુ બીજા બે વિષયને મોટે ભાગે કોઈ અડતું નથી . આ બે વિષય સંબંધી જાણકારી આપણને હોવી જોઈએ . પ્રધાન અધ્યયન શું હતું આ વિશે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ તો ફક્ત એટલું જાણવા મળે છે કે પ્રભુએ પ્રધાન અધ્યયનની વિભાવના કરી હતી , એ વિભાવના ચાલુ હતી એ દરમિયાન જ પ્રભુનું મોક્ષગમન થયું એટલે પ્રધાન અધ્યયનનું વિષય નિરૂપણ પૂરું થયું નહીં . પ્રધાન અધ્યયનનો વિષય અધૂરો રહ્યો તેથી એ પ્રધાન અધ્યયન સંબંધી વિષયનું સંકલન કરતી રચના તત્કાલીન અતિશય જ્ઞાનીપુરુષોએ પણ કરી નહીં . આ કારણે પ્રધાન અધ્યયનમાં વિષય શું હતો ? એની જાણકારી આપણને મળતી નથી .

હવે પુણ્ય અને પાપના વિપાકની વાત કરીએ તો પુણ્ય શું ફળ આપે અને પાપ શું ફળ આપે એનું વિષયનિરૂપણ ભગવાને કર્યું છે એ સમજાય છે . પ્રશ્ન એ છે કે આ વિષય નિરૂપણ કરનારું કોઈ આગમસૂત્ર આજે ઉપલબ્ધ છે ખરું ? આ પ્રશ્નના બે જવાબ  છે . પહેલો જવાબ એ છે કે જે રીતે ઉત્તરાધ્યયન સૂત્ર ,  પ્રભુએ અંતિમ દેશના ફરમાવી એના આધારે રચાયું એ રીતે પુણ્ય અને પાપનાં ફળનું નિરૂપણ કરનારું કોઈ શાસ્ત્ર અંતિમ દેશનાના આધારે રચાયું એવો ઉલ્લેખ મળતો નથી . પરંતુ પુણ્ય અને પાપનાં ફળનું નિરૂપણ કરનારું એક આગમસૂત્ર પહેલેથી જ રચાયેલું હતું એ જાણવા મળે છે . એ આગમસૂત્રનું નામ છે : વિપાકસૂત્ર . વિપાકસૂત્ર એ , દ્વાદશાંગી અંતર્ગત અગિયારમું અંગશાસ્ત્ર છે . વિપાકસૂત્રમાં જે વિષયનું વર્ણન કરવામાં આવ્યું છે એ જ વિષય ઉપર ભગવાન્ અંતિમ દેશનામાં બોલ્યા છે .

અત્યારે જે વિપાકસૂત્ર ઉપલબ્ધ થાય છે એમાં પુણ્યના વિપાક સંબંધી ૧૦ અધ્યયન મળે છે . જ્યારે ભગવાને પુણ્યના વિભાગ સંબંધી ૫૫ અધ્યયનની વાત કરી હતી . અત્યારે જે વિપાકસૂત્ર મળે છે એમાં પાપનાં ફળ સંબંધી ૧૦ અધ્યયન મળે છે જ્યારે ભગવાને પાપનાં ફળ સંબંધી ૫૫ અધ્યયનની વાત કરી હતી . અંતિમ દેશના સ્વરૂપે ભગવાને પાપના વિપાકની વાત પછી કરી છે . વર્તમાન સમયમાં જે વિપાકસૂત્ર મળે છે . એમાં પાપના વિપાકની વાત પહેલાં છે . અંતિમ દેશના સ્વરૂપે ભગવાને પુણ્યના વિપાકની વાત પહેલાં કરી છે . અત્યારે જે વિપાકસૂત્ર ઉપલબ્ધ થાય છે એમાં પુણ્યના વિપાકની વાત પછી કરવામાં આવી છે . આટલો ફરક જોવા મળે છે . એક ફરક સંખ્યાનો છે . એક ફરક ક્રમનો છે . બાકી વિષયની દૃષ્ટિએ વાત કરીએ તો કોઈ જ ફરક નથી . પુણ્યના વિપાક શું હોય એની વિવિધ વાતો ભગવાને કરી હતી . પુણ્યનો વિપાક શું હોય એની વિવિધ વાતો વિપાકસૂત્રમાં મળે છે . પાપના વિપાક શું હોય એની વિવિધ વાતો ભગવાને કરી હતી . પાપના વિપાક શું હોય એની વિવિધ વાતો વિપાક સૂત્ર કરે છે . પરમાત્મા અંતિમ દેશના સ્વરૂપે વિપાકસૂત્ર જ બોલ્યા હતા એવું આપણે નથી કહી શકતા . કારણ કે વિપાકસૂત્રની રચના વૈશાખ સુદ અગિયારસે દ્વાદશાંગીની રચના થઈ એ વખતે થઈ ચૂકી હતી . વિપાકસૂત્રની રચના થઈ તેનાં ૩૦ વર્ષ પછી ભગવાનનું મોક્ષગમન થયું આથી ભગવાન્ વિપાકસૂત્ર ઉપર બોલ્યા એવું કહી શકાય એમ નથી . પરંતુ ભગવાન્ એ વિષય પર બોલ્યા જે વિષય વિપાકસૂત્રમાં મળે છે એવું તો જરૂર કહી શકાય . આ રીતે અંતિમ દેશના સાથે વિપાકસૂત્રનો સંબંધ બને છે . આથી ઉત્તરાધ્યયન સૂત્રનું શ્રવણ જેમ અંતિમ દેશના રૂપે કરીએ છીએ તેમ વિપાકસૂત્રના વિષયનું સ્મરણ અંતિમ દેશનાનાં સ્મરણ સ્વરૂપે કરીએ તો થોડોક આત્મસંતોષ જરૂર મળે છે .

વિપાકસૂત્રના બે વિભાગ છે . બંને વિભાગમાં દસ દસ પ્રકરણ છે . પ્રથમ વિભાગને પ્રથમ શ્રુતસ્કંધ કહેવામાં આવે છે અને દસ પ્રકરણને દસ અધ્યયન કહેવામાં આવે છે . દ્વિતીય વિભાગને દ્વિતીય શ્રુતસ્કંધ કહેવામાં આવે છે અને દસ પ્રકરણને દસ અધ્યયન કહેવામાં આવે છે . આ રીતે વિપાક સૂત્રમાં બે શ્રુતસ્કંધ છે અને વીશ અધ્યયન છે .

પ્રથમ શ્રુતસ્કંધમાં પાપનું ફળ કેવું ભયાનક હોય છે એનું વર્ણન કરનારી દસ કથા , દસ અધ્યયનમાં બતાવવામાં આવી છે . દરેક કથામાં એક શહેર છે . ત્યાં કથાનાં મુખ્ય પાત્રને ગૌતમ સ્વામીજી જુએ છે . એનાં જીવનમાં ચાલી રહેલી પીડા જોઈને ગૌતમ સ્વામીજી આશ્ચર્ય અનુભવે છે . ગૌતમ સ્વામીજી પ્રભુ મહાવીર સમક્ષ પ્રશ્ન કરે છે કે એનાં જીવનમાં આવી પીડા શું કામ આવી‌ ? એના જવાબમાં ભગવાન્ ત્રણ વાત કરે છે : એણે પૂર્વમાં શું પાપ કર્યાં હતાં , એ વર્તમાન ભવમાં કેવું કેવું દુઃખ ભોગવી રહ્યો છે અને ભવિષ્યમાં એ કેવું કેવું દુઃખ ભોગવશે ? સમગ્ર કથા કહી દીધા બાદ પ્રભુ એ પણ જણાવે છે કે એ મોક્ષમાં ક્યારે જશે . દસ પાત્ર છે , દસ કથા છે , દસ પાત્ર આગામી ભવોમાં ઘણાબધા દુઃખ ભોગવીને છેલ્લે મોક્ષમાં જશે એવું કથન છે .

પ્રથમ અધ્યયનમાં મૃગાપુત્રની કથા છે . આ કથા ભગવાને મૃગાગ્રામમાં સંભળાવી હતી . દ્વિતીય અધ્યયનમાં ઉજ્ઝિતકની કથા છે . આ કથા ભગવાને વાણિજ્ય ગ્રામમાં સંભળાવી હતી . તૃતીય અધ્યયનમાં અભગ્નસેનની કથા છે . આ કથા ભગવાને પુરિમતાલમાં સંભળાવી હતી . ચતુર્થ અધ્યયનમાં શકટની કથા છે . આ કથા ભગવાને સાહંજની નગરીમાં સંભળાવી હતી . પંચમ અધ્યયનમાં બૃહસ્પતિ દત્તની કથા છે . આ કથા ભગવાને કૌશાંબીમાં સંભળાવી હતી . છઠ્ઠા અધ્યયનમાં નંદિવર્ધનની કથા છે . આ કથા ભગવાને મથુરામાં સંભળાવી હતી . સાતમા અધ્યયનમાં ઉંબરદત્તની કથા છે . આ કથા ભગવાને પાટલિખંડ શહેરમાં સંભળાવી હતી . આઠમા અધ્યયનમાં શૌરિક દત્તની કથા છે . આ કથા ભગવાને નંદિપુર શહેરમાં સંભળાવી હતી . નવમા અધ્યયનમાં દેવદત્તાની કથા છે . આ કથા ભગવાને રોહીતક શહેરમાં સંભળાવી હતી . દશમા અધ્યયનમાં બાલિકા અંજૂની કથા છે . આ કથા ભગવાને વર્ધમાનપુરમાં સંભળાવી હતી .

દ્વિતીય શ્રુતસ્કંધમાં પુણ્યનું ફળ કેવું ઉત્કૃષ્ટ હોય છે એનું વર્ણન કરનારી દસ કથા , દસ અધ્યયનમાં બતાવવામાં આવી છે . દશ કથાનાં દશ પાત્ર છે . દરેક પાત્ર પ્રભુની સમક્ષ સમવસરણમાં ઉપસ્થિત થાય છે . પ્રભુની દેશના સાંભળે છે . બાર વ્રતનો સ્વીકાર કરે છે . એમને જોઈને ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે આ આટલા સુખી કેવી રીતે ? આમનું ભવિષ્ય શું છે ? જવાબમાં ભગવાન જણાવે છે કે એમણે પૂર્વમાં શું પુણ્ય કર્યું છે ? એ વર્તમાનમાં કેવી કેવી રીતે સુખી છે ? અને શી રીતે ધર્માત્મા બન્યા છે ? એ ભવિષ્યમાં કેટલાં સુખ પામશે ? અને ક્યારે મોક્ષમાં જશે ? દશ પાત્ર છે , દશ કથા છે અને દરેક કથાનું એક શહેર છે .

પ્રથમ અધ્યયનમાં સુબાહુની કથા છે . આ કથા ભગવાને હસ્તીશીર્ષ શહેરમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે દેવલોકમાં ગયા . ભવિષ્યમાં મોક્ષ પામશે . દ્વિતીય અધ્યયનમાં ભદ્રનંદીની કથા છે . આ કથા ભગવાને ઋષભપુર શહેરમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે દેવલોકમાં ગયા . ભવિષ્યમાં મોક્ષ પામશે . તૃતીય અધ્યયનમાં સુજાતકુમારની કથા છે . આ કથા ભગવાને વીરપુરમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે દેવલોકમાં ગયા . ભવિષ્યમાં મોક્ષ પામશે . ચતુર્થ અધ્યયનમાં સુવાસવની કથા છે . આ કથા ભગવાને વિજયપુરમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે મોક્ષમાં ગયા . પંચમ અધ્યયનમાં જિનદાસની કથા છે . આ કથા ભગવાને સૌગંધિકા નગરીમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે મોક્ષમાં ગયા . છઠ્ઠા અધ્યયનમાં ધનપતિની કથા છે . આ કથા ભગવાને કનકપુરમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે મોક્ષમાં ગયા . સાતમા અધ્યયનમાં મહાબલની કથા છે . આ કથા ભગવાને મહાપુરમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે મોક્ષમાં ગયા . આઠમા અધ્યયનમાં ભદ્રનંદીની કથા છે . આ કથા ભગવાને સુઘોષનગરમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે મોક્ષમાં ગયા . નવમા અધ્યયનમાં મહાચંદ્રની કથા છે . આ કથા ભગવાને ચંપાનગરીમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે મોક્ષમાં ગયા . દશમા અધ્યયનમાં વરદત્તની કથા છે . આ કથા ભગવાને સાકેત શહેરમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે દેવલોકમાં ગયા . ભવિષ્યમાં મોક્ષ પામશે .

કોઈ આ ભવમાં દુઃખી છે તો એનો અર્થ એ છે એણે ભૂતકાળમાં પાપ ઘણાં કર્યાં છે . કોઈ આ ભવમાં સુખી છે એનો અર્થ એ છે એણે ભૂતકાળમાં પુણ્ય ઘણાં કર્યાં છે . તમે આ ભવમાં પાપ ઘણાં કરશો તો ભવિષ્યમાં તમને ઘણું દુઃખ મળશે . તમે આ ભવમાં પુણ્ય ઘણાં કરશો તો ભવિષ્યમાં તમને ઉત્તમ અવસ્થા મળશે . પુણ્ય દ્વારા સુખ મળે છે , પુણ્ય દ્વારા દુઃખનું આગમન અટકે છે , પુણ્ય દ્વારા ધર્મ કરવાની લાગણી જાગે છે , પુણ્ય દ્વારા વ્રતનિયમ લેવાની ભાવના થાય છે , પુણ્ય દ્વારા વ્રતનિયમનો સ્વીકાર થાય છે , પુણ્ય દ્વારા વ્રતનિયમનું પાલન થાય છે , પુણ્ય દ્વારા મોક્ષમાર્ગ આસાન બને છે . વિપાક સૂત્રનો આ સારાંશ છે .

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.