૪૧ . એમની કથામાં જાહેર પ્રસંગો દેખાતા નથી પરંતુ અંતરંગ અનુભૂતિ અપરંપાર વર્તાય છે
કાળધર્મ પછીની આખી પરિસ્થિતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ચંદ્રગુપ્ત સૂરીશ્વરજી મહારાજાએ સંભાળી લીધી હતી . પોતાના મેધાવી વિદ્યાર્થી માટે તેઓ વહેલી સવારે નીકળીને આવવાના હતા પરંતુ તેઓ નીકળે તે પૂર્વે કાળદેવતાએ પોતાનો ધર્મ બજાવી દીધો હતો . શ્રી સંવેગરતિવિજયજી મ.ની અંતિમ યાત્રાનુું આયોજન શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાન્ જૈન સંઘ – ટિંબર માર્કેટના ઉપક્રમે થશે એવો નિર્ણય સૂરિ ભગવંતના આદેશ અનુસાર લેવાયો . છત્રીસ વરસના ઈતિહાસમાં પહેલીવાર ટિંબર માર્કેટથી કોઈ મુનિભગવંતની પાલખી નીકળવાની હતી . જોતજોતામાં ચારેકોર સમાચાર ફેલાઈ ગયા હતા . જય જય નંદાના ઉદ્ઘોષ સાથે એમની કાયાનું ઉપાશ્રયમાં આગમન થયું હતું .
વૈશાખ વદ ચોથના દિવસે જ અગ્નિસંસ્કાર કરવાનો હતો . સૂરિભગવંતે મહાપારિષ્ઠાપાનિકાની વિધિ કરીને પાવન દેહ ગૃહસ્થોને સોંપ્યો હતો . શ્રુતભવન પરિવારને અંતિમસ્નાનનો મોટો લાભ મળ્યો હતો . સૂરિભગવંતના નિર્દેશન અનુસાર મુંબઈથી એક સુંદર પાલખી આવી પહોંચી હતી . પાલખીમાં સદ્યઃસ્નાત મુનિકાયાને બિરાજમાન કરવામાં આવી . નિર્ધારિત સમયે અંતિમ યાત્રા નીકળી હતી . પૂનાના માર્ગ પર બેન્ડવાજાનું સંગીત વહેતું થયું હતું . જેમણે પોતાની આગળ બેન્ડ ચાલતું હોય એવી પરિસ્થિતિને વારંવાર ટાળી હતી એમને પૂનાનું બેન્ડ સલામી આપી રહ્યું હતું . પોતાનાં નામની જય બોલાય , એવી પરિસ્થિતિને જેમણે હંમેશા દૂર રાખી હતી એમની આગળ જય જય નંદા અને જય જય ભદ્દાના ઉદ્ઘોષ ગાજી રહ્યા હતા . જેમણે ભક્તોની ભીડથી પોતાની જાતને ખૂબ જ સભાનતાપૂર્વક દૂર રાખી હતી તેમની આસપાસ વિશાળ સંખ્યામાં ભાવિકો ચાલી રહ્યા હતા . જેમણે આત્મોદ્ધાર કાજે પોતાની જનમભૂમિ/કરમભૂમિ સ્વરૂપ પૂનાનો પરિત્યાગ કરી પરમનો પંથ સ્વીકારી લીધો હતો એમને અંતિમ વિદાય આપવા પૂનાનો સંઘ વિશાળ સંખ્યામાં મૌજૂદ હતો . એમના જૂના કલ્યાણમિત્રો પણ આવ્યા હતા . મુક્તિ ધામ ધોબી ઘાટમાં ચંદનચિતા રચાઈ હતી એની પર એમની પાલખી બિરાજીત થઈ હતી . અમદાવાદમાં વરસોવરસો સુધી વિદ્યાર્થી બનીને સેવા કરનારા યુવાનોએ અગ્નિસંસ્કારનો ચડાવો લીધો હતો . ભાયાણી પરિવારના સર્વ સ્વજનોની સાથેસાથે એ યુવાનોએ પાલખીને ત્રણ પ્રદક્ષિણા આપી હતી . અનંત આસમાનની છત્રછાયા હેઠળ સ્વજનોએ અને અમદાવાદના યુવાનોએ , ધ્રુજતા હાથે અને ભીની આંખે એ સાધકદેહને અગ્નિ સ્પર્શના આપી હતી . પલકવારમાં આગની જ્વાળાઓ ફેલાઈને ભડભડ કરતી ઉપર ઊઠી હતી . ધુમાડો આકાશને આંબવા માટે ઊર્ધ્વ દિશામાં ચોતરફ ફેલાઈ ગયો હતો .
ટિંબર માર્કેટમાં ચતુર્વિધ સંઘે દેવવંદન કર્યા હતા . પૂ. આ. શ્રીમદ્વિજય ચંદ્રગુપ્ત સૂરીશ્વરજી મહારાજાએ હિતશિક્ષા આપવાપૂર્વક ગુણાનુવાદ કર્યા હતા . પૂ. ગણિવર્ય શ્રી વૈરાગ્યરતિવિજયજી મ.ને એમણે સાચી આત્મીયતાથી સાંંત્વના આપી હતી .
———————
+ શ્રુતભવનના – સુ. ભરતભાઈ , સુ. સચિનભાઈ , સુ. મનોજભાઈ , સુ. આશુતોષભાઈ , સુ. રાજેન્દ્ર ભાઈ , સુ. લલિતભાઈ , સુ. ઓમજી ઓસવાલ , કીર્તિભાઈ , પ્રદીપ આદિ મહાનુભાવોએ ખૂબ લાગણીપૂર્વક સેવા કરી હતી અને ભરપૂર આશીર્વાદ મેળવ્યા હતા .
+ પૂના હોસ્પિટલના વ્યસ્થાપકો – સુ. દેવીચંદજી કેસરીમલજી જૈન , સુ . ડાહ્યાભાઈ શાહ , સુ. ભબુતમલજી જૈન તેમ જ ડોક્ટર્ ડૉ. વિનય થોરાત , ડૉ. અજિત તાંબોળકર , ડૉ. સંદીપ વાજૂલ , ડૉ. સંદીપ શાહ , ડૉ. રેખા ધનવાણી આદિએ અથ થી ઈતિ સુધીનું આરોગ્ય ઉપચારનું ધ્યાન રાખ્યું હતું .
+ અગ્નિ સંસ્કાર સંબંધી વ્યવસ્થાઓ , શ્રી મનમોહન પાર્શ્વનાથ જૈન સંઘ – ટિંબર માર્કેટ , શ્રી વાસુપૂજ્ય સ્વામી જૈન ટેમ્પલ ટ્રસ્ટ – કેંપ , શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ટેમ્પલ ટ્રસ્ટ – ભવાની પેઠ તેમ જ શ્રી શ્રુતભવન સંશોધન કેન્દ્ર – કાત્રજના કાર્યકર્તાઓએ કરી હતી .
————————–
ભાયાણી પરિવારની બે માતાઓ , જયાબેન સુરેશભાઈ ભાયાણી અને કોકિલાબેન અનિલભાઈ ભાયાણી , પોતપોતાનાં ઘરમાં , પરિવારની સાથે પૂનામાં જ રહે છે . બેય વચ્ચે સગી બહેનો જેવો આત્મીય ભાવ છે . જૈનધર્મ સાથે જોડાયા પૂર્વેના સુરેશભાઈ કેવા હતા તે આ દેરાણી જેઠાણીએ બહુ નજીકથી જોયું છે . તેમના ભરપૂર શોખ , અદમ્ય સાહસ , સુપર નોલેજ અને અન્ય બાબતોના કંઈકેટલાય કિસ્સા એમને યાદ છે . એમનાં પૂર્વજીવનની એ બધી વાતોનું સંકલન કરવામાં આવે તો એક નવું પુસ્તક તૈયાર થઈ જાય . હરિદાસભાઈના પુત્ર સુરેશભાઈ , પૂર્વજીવનમાં કેવા હતા અને પછી કેવી ઊંચાઈએ પહોંચી ગયા એનું ધન્ય સ્મરણ એમને અહોભાવિત બનાવી રાખે છે .
———————
એક ફોટો છે શ્રુતભવનનાં કલેક્શનમાં .
એમાં એક સંથારો બિછાવેલો દેખાય છે જેની પર સફેદ ઉત્તરપટ્ટાનું વસ્ત્ર છે . આ શય્યા ઉપર જ પૂ.મુનિરાજ શ્રી સંવેગરતિવિજયજી મ. શુભનિદ્રા સાથે વિશ્રામ કરતા રહેતા . ઉપકરણો પાથરેલા દેખાય છે . એક ઓઘો છે : પીળા રંગની જાડી દશીઓ ભરપૂર છે . ઓઘારિયું ઊનનું છે . દોરી વીંટાળીને ગાંઠ મારી છે તે ઉપરની તરફ . વચોવચ મોટી મુહપત્તી છે . આ ઓઘો મુહપત્તી એમના પ્રાણપ્રિય સંગાથી રહ્યા . એક ગડી વાળેલી લાલ પટ્ટીની ગરમ કાંબળી છે . એમણે કાયમ આવી જ કાંબળી વાપરી . સ્થાપનાજી છે જેની સમક્ષ આવશ્યક ક્રિયાઓ થતી . એમની આરાધના અને સાધનાનું ઊર્જાબળ આ સ્થાપનાજીમાં સંગૃહીત છે . બે ટોકસા , એક ટોકસી અને એક ચમચી છે . ગોચરી અને પાણી વાપરવાનું માધ્યમ આ પાત્રો બન્યા . એક નવકારવાળી છે જેની પર એમણે અપરંપાર જાપ કર્યો . એમની આંગળીનો સ્પર્શ એના મણકાઓમાં જીવંત છે . એક મોટી ફ્રેમના ચશ્મા છે . કેટલો બધો સ્વાધ્યાય થયો હશે આ ચશ્મા થકી ? હિસાબ ન થઈ શકે . બે પુસ્તક છે જેનો ઉપયોગ રોજીંદા સ્વાધ્યાયમાં થતો રહ્યો . સતત વપરાશને લીધે ઘસાઈને પીળા પડી ચૂકેલાં પાનાઓમાં એમનો આતમા વસેલો છે જાણે . પ્રચંડ કર્મનિર્જરાનું સર્જન સ્વાધ્યાય કરે અને એમના નિયમિત સ્વાધ્યાયને ટેકો આપે એવું કૌવત આ પુસ્તકોમાં . અને એક ગ્રંથ છે , નામ : संवेगरति . એમનાં નામને અમર બનાવતો એ ગ્રંથ એમની કથાને વર્ણવી શક્યો નથી . એ ગ્રંથમાં કેવળ ઉપદેશ છે જે એમણે સિંચ્યો હતો . પરંંતુ संंवेेगरति આ નામ – આગામી પેઢીઓને એમની એ કથા કહેતું રહેશે જેમાં જાહેર પ્રસંગો દેખાતા નથી પરંતુ અંતરંગ અનુભૂતિઓ અપરંપાર વર્તાય છે . ( સમાપ્ત )
સંઘ મહાજનની આ પરંપરા છે : મહાત્માઓના શ્વાસ વાતાવરણને પ્રાણવાન્ બનાવે છે , એ શ્વાસની ધારાનું પ્રાણની જેમ જતન થવું જોઈએ . મહાત્માઓની આંખો જેને જેને નિહાળે છે , તેઓ ધન્યતાનો સ્પર્શ પામે છે , એ આંખોનું તેજ દીપ્તિમંત રહેવું જોઈએ . મહાત્માઓનું વચન અને ઉદ્બોધન ચતુર્વિધ સંઘને ઊર્જા બક્ષે છે , એ વચન અને ઉદ્બોધનની ધારા અખંડ રહેવી જોઈએ . મહાત્માઓનું શરીર આ ધરતીના કણકણમાં પવિત્રતાનું સિંચન કરે છે , એ શરીરની સુખશાતા નિરાબાધ રહેવી જોઈએ . મહાત્માઓનું અસ્તિત્વ પ્રવર્તમાન સમયને ચેતનાથી ભરે છે , એ અસ્તિત્વ ચિરસ્થાયી , સુચિરસ્થાયી રહેવું જોઈએ . શ્રુતભવનના ટ્રસ્ટીઓએ આ પરંપરાનું શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું હતું . પૂ.મુનિરાજ શ્રી સંવેગરતિવિજયજી મહારાજાનું આરોગ્ય વિ.સં.૨૦૭૫ની સાલમાં એક મહાવ્યાધિનો સામનો કરી રહ્યું હતું . વ્યાધિ અને મહાવ્યાધિ વચ્ચે એક ફરક હોય છે . વ્યાધિ એ છે જે જાય છે અને એની છાપ શરીર પરથી ભૂંસાઈ પણ જાય છે . મહાવ્યાધિ એ હોય છે જે આવ્યા બાદ જાય નહીં , એ કદીક કમજોર પડે છે પરંતુ એની છાપ શરીર પરથી ભૂંસાતી નથી . કમળીમાંથી બહાર આવ્યા બાદ તેઓ સ્વસ્થ જણાતા હતા તે એમનું મક્કમ મનોબળ હતું . હકીકતમાં તેમનું શરીર થાક અનુભવી રહ્યું હતું . પૂના આવ્યા બાદ વારંવાર પૂના હોસ્પિટલમાં ભરતી થવું પડતું . પહેલીવાર સવા મહિના માટે હોસ્પિટલમાં રહ્યા . બીજી વાર , શ્રુતભવનમાં પડી ગયા અને થાપાનું ઓપરેશન કરાવવું પડ્યું એને કારણે ફરીથી સવાએક મહિના માટે હોસ્પિટલમાં રહ્યા . ત્રીજીવારમાં એવું થયું કે લીવરનો રિપોર્ટ કઢાવવા હોસ્પિટલમાં ગયા હતા , એકાદ દિવસ જ રોકાવાનું હતું . પરંતુ લીવરમાં ગાંઠ દેખાઈ . ચોંકાવનારી વાત એ હતી કે તે કેન્સરની ગાંઠ હતી . એનો ઉપચાર સરખી રીતે થાય તે માટે સળંગ ત્રણ મહિના હોસ્પિટલમાં રહેવાનું થયું . આ વાત ગુપ્ત રાખવામાં આવી . સ્વયં એમને પણ જણાવ્યું નહોતું . કીમોથેરપી થઈ એનાથી રાહત દેખાઈ પરંતુ આરોગ્યની એક વધુ સમસ્યા ઊભી થઈ , તે સમસ્યાનું નામ હતું લીવર સોરીસીસ . ઉનાળુ તડકામાં ફૂલ કરમાય એમ આ રોગમાં લીવર કરમાતું હોય છે . ત્રણ મહિના બાદ તેઓ શ્રુતભવન આવ્યા , એ વખતે એમના સિવાય સૌને ખબર હતી કે પરિસ્થિતિ ગંભીર બની ચૂકી છે . વૈશાખ સુદ તેરસે લોહીના ઝાડા શરૂ થયા , ચૌદસે એ ચાલુ રહ્યા . તત્કાળ હોસ્પિટલમાં દાખલ કર્યા . એકદમ કમજોરી આવી ગઈ શરીરમાં . બોલવાનું પણ થાય નહીં એવી અવસ્થા આવી ઊભી . હોસ્પિટલમાં બે દિવસ ઠીક ગયા પછી આઈસીયુમાં દાખલ કરવા પડ્યા . એમને સમજાઈ ગયું કે હવે મારી પાસે વધારે સમય નથી . એમણે અંતિમ સમય માટેની તૈયારી શ્રુતભવનમાં જ કરી લીધી હતી .
૧ . ત્યાં તેઓ આરામના સમયમાં મનને એક વિષય આપતા વિચારવા માટે . એ વિષય પર મનમાં મંથન ચાલતું . આમાં ઘણો સમય વહી જતો . આરામમાંથી ઊઠ્યા બાદ તેઓ મનોમંથનના નિષ્કર્ષને પાનાઓ પર ટપકાવી દેતા . હાથમાં શાસ્ત્ર ન હોય , હોઠે સૂત્રોચ્ચાર ન હોય અને કાયા ક્રિયારત ન હોય એ સમયે પણ ધર્મચિંતન ચાલતું રહેવું જોઈએ , તેઓ આ ભૂમિકાએ પોતાની પર પ્રયોગ કરીને અખંડ ધારાએ ધર્મધ્યાનમાં નિમગ્ન રહેતા . આમ રોગની પીડામાં મનને સમાધિસ્થ રાખવાની કળા હસ્તગત થઈ ગઈ હતી .
૨ . સાધનાજીવનના ઉપકારીઓને અઢળક આદર સાથે યાદ કરતા રહેતા . ચાર ગચ્છાધિપતિભગવંતો , પૂ.આ.શ્રીમદ્વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા , પૂ.આ.શ્રીમદ્વિજય મહોદય સૂરીશ્વરજી મહારાજા , પૂ.આ.શ્રીમદ્વિજય હેમભૂષણ સૂરીશ્વરજી મહારાજા , પૂ.આ.શ્રીમદ્વિજય પુણ્યપાલ સૂરીશ્વરજી મહારાજાના ઉપકારોને , એમની સાથેના એકેક પ્રસંગને મનમાં ને મનમાં વાગોળતા . ખાસ કરીને તારણહાર ગુરુદેવ સાથેનો સૌભાગી સમય સતત નજર સામે તરવરતો રહેતો . પૂ.આ.શ્રીમદ્વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજા , પૂ.આ.શ્રીમદ્વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા , પૂ.આ.શ્રીમદ્વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજા , પૂ.આ.શ્રીમદ્વિજય ચંદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજા જેવા જ્ઞાનદાતાઓની વાણી , પ્રેરણા મનમાં આવ્યા કરતી . યોગાનુયોગ એવો થયો કે એમને ખાસ સુખશાતા પૂછવા માટે , ચંદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજા , એક દિવસ પગે વિહાર કરીને શ્રુતભવન પધારેલા . એમના આગમનથી એક અપૂર્વ આનંદોલ્લાસ છવાઈ ગયેલો તનમનમાં . એક એક ઉપકારીને યાદ કરતા રહ્યા હતા .
૩ . મનને મમતામુક્ત બનાવવાનું ભગીરથ કાર્ય ક્યારનું શરૂ કરી દીધું હતું . સંસારી પક્ષે ધર્મપત્ની જયાબેન તેમ જ અન્ય પરિવારજનો સાથેના વાર્તાલાપમાં સાક્ષિભાવની ઝલક આવી ગઈ હતી . દવાઓ અને ઉપચારો પ્રત્યેનું વળગણ નહીંવત્ થઈ ગયું હતું . પુત્રમુનિવર શ્રી વૈરાગ્યરતિવિજયજી મ. સાથે શાસન , સમુદાય આદિ વિષયોની વાતો થતી રહેતી . એકવાર પોતાની બધી ઉપધિ અને અન્ય સામગ્રી મંગાવીને પુત્રમુનિવરને સોંપી દીધી અને કહ્યું : આ બધું હવે તું સંભાળજે . હું છુટ્ટો . નાગપુરમાં બિરાજીત પુત્રમુનિશ્રી પ્રશમરતિવિજયજીને યાદ કર્યા હતા . એ ચામડીના રોગનાં કારણે લાંબો વિહાર નહીં કરી શકે એ જાણ્યા બાદ કહેવડાવી દીધેલું કે ‘ મારી માટે તમે હેરાન થઈને આવતા નહીં . ‘ અમદાવાદમાં ખૂબ ખૂબ સેવા કરનારા યુવાનોને યાદ કરીને આશીર્વાદ પાઠવી દીધા હતા . ઘણાબધા સંઘો કે પરિવારો સાથે સંબંધ બનાવ્યા નહોતા . એક નાનું એવું વર્તુળ હતું એમનું . એમાંની દરેક વ્યક્તિ સાથેની રાગભાવનાને ધીમે ધીમે ખંખેરી નાંખી હતી .
હોસ્પિટલમાં એમને એમ કહેવાનું અઘરું હતું કે અંતિમ સમય આવી ગયો છે . શ્રી વૈરાગ્યરતિવિજયજી મ.એ એક પત્ર લખીને એમને પરિસ્થિતિની જાણકારી આપી હતી . એ વાંચ્યા બાદ એમની નિર્લેપતા ઔર વધી ગઈ હતી . વૈશાખ વદ ચોથના સવારે આશરે ૩.૩૦ની આસપાસ ડૉ.એ જણાવ્યું કે વી હેવ નો મોર ટાઈમ .
શ્રી વૈરાગ્યરતિવિજયજી મ. એમની પાસે આવ્યા હતા . એમના હાથને હાથમાં લઈને એમને સભાન કર્યા હતા . એમણે આંખો ખોલી હતી . હાથની આંગળીથી ઉપરની તરફ ઈશારો કરીને સંકેતરૂપે જણાવ્યું હતું કે જવાનો સમય આવી ગયો છે . આંખો ઝપકીને એવો પણ સંકેત આપ્યો કે મેં તૈયારી કરી લીધી છે .
શ્રી સંવેગરતિવિજયજી મ.ના કાન પાસે ઝૂકીને એમણે મહામંત્ર નવકાર તેમ જ અન્ય મંગલપાઠ સંભાળવાનું શરૂ કર્યું હતું એક ધનભાગી પિતા મુનિવર , પોતાના પુત્ર મુનિવરનાં શ્રીમુખે અંતિમ સમયની આરાધના સાંભળી રહ્યા હતા . મુનિવરે પંચ મહાવ્રતના પાઠ બોલવાનું શરૂ કર્યું ત્યારે હાર્ટબિટ્સ બતાવનારા મશીનના સ્ક્રીનમાં રેખાઓ ઉપર નીચે થઈ રહી હતી . એકવાર એમણે આંખ ખોલી . આજુબાજુ નજર ફેરવી . એમને પૂછ્યું કે શું થાય છે , તો જવાબ આપ્યા વિના એમણે આંખો બંધ કરી દીધી . મહાવ્રત પાઠનું પાંચમું પરિગ્રહ પરિત્યાગ સૂત્ર શરૂ થયું ત્યારે મશીનના સ્ક્રીન પર દેખાતી રેખા એકદમ સીધી થઈ ગઈ અને શાંત મશીનમાંથી અચાનક બીપબીપ બીપબીપનો બેબાકળો અવાજ નીકળવા લાગ્યો . ડૉ. આવ્યા . હાર્ટને પંપિંગ કર્યું . ડૉ . નો પ્રયત્ન નિષ્ફળ ગયો . એમનાં મોઢામાંથી થોડું પાણી નીકળી આવ્યું , એક હેડકી આવી અને શરીર સ્થિર થઈ ગયું. એક આત્મજ્ઞાની મહાત્માએ ભરપૂર આત્મશુદ્ધિ અને આત્મજાગૃતિ સાથે અલવિદા લીધી . દિવસ હતો : વૈશાખ વદ ચોથ , ૨૨.૫.૧૯ . સમય હતો : સવારે ૬.૩૭ .
જીવનભર પોતાની જાતને લોકપ્રસિદ્ધિની ઝાકઝમાળથી એમણે દૂર રાખી . જ્ઞાનસારના શબ્દોમાં તેઓ लोकसंज्ञाविनिर्मुक्त યોગી હતા . એ ધારત તો હજારો , લાખોમાં પ્રસિદ્ધિ મેળવી શકત . એમણે એ દિશામાં વિચાર્યું જ નહીં . એમનું લક્ષ્ય હતું કેવળ સ્વ આત્મા . આજીવન આત્મામાં રમમાણ રહ્યા એટલે એમની અંતિમ ક્ષણો પૂર્ણતયા આત્મનિષ્ઠ , આત્મનિરત અને આત્માનંદી બની .
સ્વાધ્યાયની ઘણીબધી નોટબુક્સ લખી હતી . દરેક નોટબુક સોથી બસો પાનાની હોય . योगदृष्टिसमुच्चयની નવ નોટબુક્સ , योगशास्त्रની ત્રણ નોટબુક્સ , તારણહાર ગુરુદેવની ૩૪૨ વાચનાઓની કુલમળીને ૧૨ નોટબુક્સ , શ્રાવકધર્મવિધિની ત્રણ નોટબુક્સ , વિહારપ્રવચનોની બે નોટબુક્સ તથા ગુરુસંગે થયેલ વિધવિધ પ્રશ્નોત્તરની એક નોટબુક , ઉત્તરાધ્યયન , દશ વૈકાલિક , સાધુ સામાચારી , કલ્પસૂત્ર , અધ્યાત્મસાર , દર્શનશુદ્ધિ , યોગશતક , ધર્મબિંદુ , જ્ઞાનસાર , યોગવિંશિકા , અધ્યાત્મ ઉપનિષદ્ , ષોડશક , જીવવિચાર , નવતત્ત્વ , ભાષ્યત્રય , કર્મગ્રંથ , પુણ્યાનુબંધી પુણ્ય , ચૌદ ગુણસ્થાનક , આવશ્યકસૂત્રો , શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર , કષાયસ્વરૂપ , ધર્મસિદ્ધિ લિંગ , વ્યાખ્યાન યોગ અવરોધક દોષ , દાન ગ્રંથિ સ્વરૂપ , વિષય વૃક્ષ છાયા , ચૈત્યવંદના , અનેકાંતવાદ , ચતુર્થસ્તુતિનિર્ણય , જ્યોતિષ અને યોગવિધિની એકેક નોટબુક , લેશ્યાવિચારની પાંચ નોટબુક્સ , દ્રવ્યગુણપર્યાયનો રાસની ચાર નોટબુક્સ – આ રીતે અલગ અલગ વિષયોની દોઢસોથી વધુ નોટબુક્સ એમણે લખી હતી . દરેક નોટબુકના એકસો પાનાં ગણો તો આશરે ૧૫૦૦૦ પાનાં ભરીને એમણે લખ્યું હતું . દ્રવ્યગુણપર્યાયનો રાસ સાત વખત વાંચ્યો હતો . સન્મતિતર્ક ગ્રંથની વાદમહાર્ણવ ટીકાનો જે અત્યંત લાંબો હિંદી અનુવાદ , પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી જયસુંદરસૂરીશ્વરજી મહારાજાએ કર્યો છે એનો સંપૂર્ણ ગુજરાતી અનુવાદ તૈયાર કરીને સરસ રીતે લખ્યો . અટક્યા વિના સ્વાધ્યાય ચાલુ રાખ્યો હતો . સ્વાધ્યાય જ સત્ હતું , સ્વાધ્યાય જ ચિદ્ , સ્વાધ્યાય જ આનંદ . ‘ મનેેં બીજા બદ્ધાં વિના ચાલે પણ સ્વાધ્યાય વિના બિલકુલ ન ચાલે ‘ એમનું આ સ્વસંવેદન હતું . પરંંતુ લીવરની ભારેખમ તકલીફે આ સ્વાધ્યાયમાં નડતર ઊભું કર્યું. વારંવાર કમળો થઈ જતો. એમાંથી કમળી થઈ અને એમાં જ લીવર તદ્દન કમજોર પડી ગયું . એમનું શરીર એકદમ ઝંખવાઈ ગયું . અમદાવાદની સાલ હોસ્પિટલમાં ભરતી કર્યા . લીવર સંબંધી ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે એમનાં શરીરમાં બિલીરૂબિનનું લેવલ ૩૦ જેટલું હતું . આટલી માત્રામાં બિલીરૂબિન હોય તો આખાય શરીરનું લોહી પાણી બનવા માંડે છે . ( સામાન્ય આદમીનું બિલીરૂબિન લેવલ ૦.૩ જેટલું હોય છે , બિલીરૂબિન આટલા પ્રમાણમાં હોય તો આયુષ્ય પર જોખમ હોતું નથી . પણ ક્યાં 0.3 અને ક્યાં 30 ? આ સ્થિતિમાં ક્યારે પણ , કંઈ પણ થઈ શકે છે . ) લાંબો ઉપચાર જરૂરી હતો . સામાન્ય સંયોગોમાં એ કોઈની સેવા લેતા નહીં. લીવરની તકલીફમાં તેઓ સદંતર પરવશ થઈ ગયા . તેમને તુરંત પૂના લાવવામાં આવ્યા . ઘણાં વર્ષોથી પૂનાની ભૂમિ પુકારી રહી હતી . દીક્ષાના તેત્રીસમાં વર્ષે પૂના પધાર્યા . જ્ઞાનમંદિર – અમદાવાદ સાથેનો ઋણાનુબંધ આજીવન રહેશે એવું લાગતું હતું . તેઓ સ્વયં કેટલીય વાર મંગળ મજાક રૂપે કહી ચૂક્યા હતા કે મારી પાલખી જ્ઞાનમંદિરથી નીકળવાની છે . પરંતુ માદરેવતન પૂનાની ધરતીએ એમને અમદાવાદ છોડાવ્યું . પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય ચંદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજાની સાથે લાંબો પરામર્શ કર્યા બાદ આ નિર્ણય લેવાયો હતો . પૂના પધાર્યા . શ્રુત ભવન સંશોધન કેન્દ્રની ભવ્ય ઈમારતમાં એમનું પુણ્ય પદાર્પણ થયું . આ સંસ્થાના ટ્રસ્ટીઓ માટે આત્મસંતોષની વાત એ હતી કે શ્રુતભવન બન્યું તેના પાયામાં વિચાર એ જ હતો કે શ્રી સંવેગરતિવિજયજી મ. પૂના પધારે અને શ્રુતભવનમાં સ્થિરવાસ કરે .
વિ . સં . ૨૦૧૭ની સાલ હતી . માગસર સુદ ચૌદસ હતી . તારીખ હતી ૩ ડિસેમ્બર . દીક્ષા બાદ પહેલીવાર પૂના આગમન થયું હતું . શ્રુતભવનના પ્રેરણાસ્રોત પુત્રમુનિવર પૂ. ગણિવર્ય શ્રી વૈરાગ્યરતિ વિજયજી મ.ને એમની સેવાનો ભરપૂર લાભ મળ્યો હતો . તેઓ પૂના પહોંચ્યા ત્યારે બિલીરૂબિન ૨૯ હતું . તેમને પૂના હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા . સવા મહિને એમનું બિલીરૂબિન ૧૯ થયું હતું . એક તબક્કે એમની કંડિશન ડૉ.ના કંટ્રોલની બહાર હતી . પરંતુ શ્રેષ્ઠ ઉપચારોને કારણે તેઓ ફરી એકવાર મૂળ રંગમાં આવવા લાગ્યા . પોતે કમળીમાંથી અને લીવરની ભયાવહ તકલીફમાંથી ધીમેધીમે બહાર આવ્યા એને એમણે પ્રભુનો ચમત્કાર ગણાવ્યો હતો .
શ્રુતભવનને તેમનું સાંનિધ્ય ત્રણ વરસ સુધી મળ્યું. એમ સમજાતું હતું કે શ્રુતભવન સાથે એમની અપરિસીમ સાત્ત્વિક ઊર્જાનુું જોડાણ થઈ ગયું છે . પોતાના પુત્રમુનિશ્રી વૈરાગ્યરતિવિજયજી મ. ગણિપદે બિરાજીત હતા તે વખતે , પોતે પિતા હોવા છતાં તેઓ એમને કહેતા કે ‘ તમે પદવીધર છો . મારાથી તમારાં વંદન લેવાય નહીં . ‘
શ્રુતભવનમાં રહેવાની અનુકૂળતા રહે તે માટે જે રૂમમાં તેમને બિરાજમાન કરવામાં આવેલા એ રૂમમાં પૂર્વે વયોવૃદ્ધ મુનિવરશ્રી સંયમરતિવિજયજી મ.ની સ્થિરતા રહેતી . મારી માટે એ મહાત્માને એ રૂમમાંથી બીજે ખસેડવામાં આવ્યા છે એવી એમને ખબર પડી ત્યારે તેઓ બોલ્યા હતા કે ‘ મારાં કારણે આ મહાત્માને અગવડ પડી ગઈ . આવું શું કામ કર્યું ? હું તો ક્યાંય પણ ગોઠવાઈ જાત . એમને હેરાન નહોતા કરવા . ‘
બગડેલી તબિયત સુધારા પર આવવા લાગી એટલે તેમણે કહ્યું હતું કે ‘ ગાડી પાટે ચડી ગઈ છે . મારો સ્વાધ્યાય છૂટી ગયો છે તે ચાલુ કરાવી દો . ‘ વાંચવા માટે ગ્રંથો . લખવા માટે નોટપેન . બેસવા માટે ખુરશીટેબલ . પહેરવાના સ્પેસિફિક ચશ્મા . વિશ્રામ માટે પાટ . સૂવા માટે સંથારો . ઓઢવા માટે ધાબળો . ક્રિયા માટે સ્થાપનાજી . ઉપધિ અને પાતરા રાખવાની જગ્યા . પરઠવવાની વ્યવસ્થા . બધી ગોઠવણ પોતાની અનુકૂળતા અનુસાર કરી . તેઓ કહેતા : ‘ સામાન એવી રીતે ગોઠવેલો રાખવાનો કે અડધી રાતે સોંય જોઈતી હોય તો અંધારામાં પણ મળી જાય . ‘ શ્રુતભવનમાં એટલું સરસ ગોઠી ગયું કે લાંબો સમય જ્ઞાનમંદિરમાં રહેલા તેની યાદ કે ત્યાંની આદતનો અણસાર સુદ્ધાં ન વર્તાયો નહોતો .
અને પછી સ્વ અધ્યાયનાં કામે લાગી ગયા . રોગ જાણે થયો જ નહોતો . એમનું સદાસંગાથી રહેલ પુસ્તક સ્વાધ્યાય સાગરનાં પાનાઓ રોજેરોજ પલટાતા ગયાં . વહેલી સવારે શુક્રનો તારો અવશ્ય જુએ . સુદ બીજનાં ચંદ્રનું દર્શન કદી ન ચૂકે . સાંજે મોટેભાગે બે ઘડી કરે . સાંજનું અંધારું ઢળે તે પહેલાં પ્રતિક્રમણ શરૂ કરી દે . સૂત્ર મનમાં ન બોલતાં હોઠ ફફડાવીને બોલે જેથી ઉચ્ચારની અશુદ્ધિ ન આવે .
દોઢસો જેટલી નોટબુક્સ લખી ચૂક્યા હતા પણ હજી સંતોષ નહોતો . હવે ધર્મરત્ન પ્રકરણ ગ્રંથની ગાથાઓ કંઠસ્થ કરવાનું પુરુષાર્થ માંડ્યો . લેશ્યાવિષયની નોંધ ફરીથી શરૂ કરી . આરંભસિદ્ધિ અને હીરકલશનો તુલનાત્મક અભ્યાસ કરી એની નોંધપોથી બનાવવા લાગ્યા . સ્વાધ્યાયની ક્ષણોમાં એમના ચહેરા પર રોનક છવાયેલી રહેતી . એ રોનક જોઈને સમજાતું કે તેઓ દુનિયાદારીથી પર થઈને કેવળ આત્મા માટે જીવન જીવી રહ્યા છે . ( ક્રમશઃ )
હર ઘડી હર પળ આત્મચિંતન ચાલતું રહેતું : મારો ભૂતકાળ કેવો હતો ? કેવાકેવા ખેલ હું કરતો હતો ? મારી ભૂલોને હું સુધારત નહીં તો આજે મારી કેવી હાલત હોત ? ગુરુએ આવતાવેંત ચમત્કાર કરી દીધો હતો . આજે હું જે છું તે મારા ગુરુના પ્રતાપે છું . મારા પ્રભુનું માહાત્મ્ય મનેં ગુરુએ જ સમજાવ્યું છે . હવે હું પહેલાં જેવો નથી રહ્યો . ગુરુએ જાદુઈ છડી ફેરવી છે . પહેલાં હું સુખનો , સામગ્રીનો અને સંપત્તિનો દાસ હતો . આજે હું દેવ , ગુરુ અને ધર્મનો દાસ છું . હું હવે પ્રભુચરણોમાં સહીસલામત છું .
આ ચિંતનને અનુરૂપ સ્તવનો એમને બહુ ગમતા . એક સ્તવન એ ખૂબ ભાવપૂર્વક ગાતા : हुं तो पायो प्रभुजीना पाय के आण न लोपुं रे . આવું જ આત્મ ગર્હા ગર્ભિત બીજું પદ એમને ઘણું ગમતું : हुं नटडो थईने नाटक केवा नाच्यो हो जिनवरिया , આવાં પદો ગાતી વખતે અથવા સાંભળતી વખતે એમની આંખો પર ભીનાશ છવાઈ જતી . રાજીમતીના બારમાસાની સજ્ઝાય – सखी तोरण आवी कंथ गया निज मंदिरे , કંઠસ્થ હતી તે ગાતા અને હજી મને મોક્ષ મળ્યો નથી એવા ભાવ સાથે રિક્તતા અનુભવતા .
સાધકે બે બાબત સતત યાદ રાખવાની છે . પહેલી વાત એ કે હું ભૂતકાળમાં સારો માણસ નહોતો . નિરાશા બનાવ્યા વિના ભૂતકાળને યાદ કરીએ તો ભૂતકાળ ઘણોમોટો બોધપાઠ આપી શકે છે . બીજી વાત એ છે કે મારું ભવિષ્ય સારું બને એની માટે મારે પવિત્ર ટેન્શનનો થોડો દબાવ મારી જાત પર રાખવાનો હોય . મારે સાધનામાં હજી શું કરવાનું બાકી છે તેનું અવિરત સ્મરણ મનમાં રાખવું જોઈએ . ભવિષ્ય અંગેની સ્પષ્ટ કલ્પના જે કરી શકે છે તેને આળસ કે અન્ય કમજોરીઓ એક મુકામ પર અટકાવી શકતી નથી . મોક્ષ , તેરમું ગુણસ્થાનક અને છઠ્ઠાસાતમા ગુણઠાણાની ઊંચાઈને શાસ્ત્રોએ જે વર્ણવી છે તેનો સ્પર્શ મને ક્યારે થશે એની કલ્પનાત્મક ચિંતાઓ એ કરતા જ રહેતા .
તેમનામાં આ બેય ચિંતન અખંડભાવે ઝળહળતા હતા . એટલી હદે એ જાગૃત હતા કે એમનું એક મહાન્ સન્માન પણ એમણે સ્વીકાર્યું નહીં . બનેલું એવું કે એમનું નામ ઈતિહાસમાં નોંધાયેલું રહે એવી ભાવનાથી એમના પુત્રમુનિ શ્રી પ્રશમરતિ વિજયજી મ.એ સંસ્કૃત ભાષામાં એક ઉપદેશગ્રંથ લખ્યો . એ ગ્રંથનું નામ રાખ્યું : संवेगरति . એક પુત્ર પોતાના પિતાનાં નામ પર ગ્રંથ લખે એવું ઇતિહાસમાં પ્રથમવાર બન્યું હતું . આ ગ્રંથની પ્રથમ કોપી અમદાવાદના ઉમંગભાઈ શાહે એમના હાથમાં મૂકી , સરપ્રાઈઝ રૂપે . ઉમ્મીદ એવી હોય કે પોતાનાં નામ પર ગ્રંથ રચાયો એનાથી એ રાજી થાય પરંતુ તેઓ રાજી થવાને બદલે નારાજ થઈ ગયા . મારાં નામનો ગ્રંથ બનાવવાની શું જરૂર ? આ પ્રશ્ન એમના અતલ ઊંડાણમાંથી આવ્યો હતો . એમણે ગ્રંથ જોયો , શ્લોકો વાંચ્યા અને કહ્યું : મારામાં એવું શું છે કે મારાં નામે ગ્રંથ લખવો પડે ? આ એમનો સવાલ હતો . કમાલની વાત એ બની કે શ્રી સંવેગરતિવિજયજી મહારાજાએ , संवेगरति ગ્રંથ લખવા બદલ એના રચયિતાને મોટો ઠપકો આપ્યો હતો .
પોતપોતાના કાર્યક્રમોના મોટામોટા સમાચાર બનાવવાનું અને ફેલાવવાનું આજે સર્વસામાન્ય થઈ છે . આવા સમયમાં એમનાં નામનો ડંકો વાગી જાય એવું એક કાર્ય એમની જાણબહાર સંપન્ન થઈ ગયું હતું . એનાથી એ હરખાયા નહીં , બલ્કે એમણે સંકોચ અનુભવ્યો . પોતાના માન કષાયને પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ નહીં , આ હતું એ મહાન્ સાધકનું ગણિત . મારું નામ ચમકાવવાનો મને કોઈ અભરખો નથી , તમારે પણ એવા અભરખા રાખવાના નહીં , એમણે પુત્રમુનિને કડક ભાષામાં સમજાવી દીધું હતું .
આપણું નામ એકાદ છાપામાં એકાદ વાર છપાય તો પણ આપણે એનું પેપરકટિંગ જિંદગીભર સાચવી રાખીશું . આપણે એવા નામનાપ્રેમી છીએ . એમનાં નામ પર તો એક આખો સંસ્કૃત ગ્રંથ લખાઈ ગયો હતો છતાં એમણે એ ગ્રંથને પોતાનો અહમ્ પોસવાનું માધ્યમ ન બનવા દીધો . ( ક્રમશઃ )
