સિદ્ધાર્થ રાજા અને ઋષભદત્ત બ્રાહ્મણ આજુબાજુમાં બેસીને વાતો કરતા હોય એવાં દૃશ્યની કલ્પના કરો . ત્રિશલા માતા અને દેવાનંદા માતા એકસાથે બેઠા હોય એવું દૃશ્ય કલ્પનામાં લાવી જુઓ . ક્ષત્રિયકુંડ અને લછવાડની વચ્ચે કુંડઘાટ છે : બહુવારિ નદીનો કિનારો . પ્રભુ વીરની જન્મ ભૂમિ પહાડની ઉપર છે . પહાડ પરથી નીચે ઉતરો ત્યાં નદી છે . પહાડની તળેટીમાં બે ધવલ દેવવિમાન ઊભા છે . એક છે ચ્યવન કલ્યાણક મંદિર . બીજું છે દીક્ષા કલ્યાણક મંદિર . પાલીતાણામાં જે રીતે અજિત શાંતિની દેરીઓ છે એ રીતે આ યુગ્મ ચૈત્ય .
આજનો દિવસ અલૌકિક . આજે પ્રભુ વીરની જન્મભૂમિની સ્પર્શના થઈ . જીવનના એકેએક શ્વાસ ઉપર જે પ્રભુનો હક છે એ પ્રભુએ આ ભૂમિ પર પ્રથમ શ્વાસ લીધો . જીવનની એકેએક ક્ષણ સાથે જે પ્રભુએ ચૈતન્ય જોડ્યું છે તે પ્રભુનાં જીવનની પ્રથમ ક્ષણ કલ્યાણક બનીને અહીં ઉગી . દેવાનંદાજીની કુક્ષિમાં કાયાનો પ્રથમ અંકુર ફૂટ્યો એ ક્ષણ એટલે ચ્યવન . ત્રિશલાજીની કુક્ષિએથી માનવલોકમાં પ્રથમ પહેલી વાર પગ મૂક્યો એ ક્ષણ તે જન્મ . એક ક્ષણમાં આપણે ખુદને પણ સુખ આપી શકતા નથી અને અન્ય કોઈને પણ નહીં . પ્રભુએ એક ક્ષણમાં ત્રણ લોકને સુખ આપી દીધું . જે આખી દુનિયાને સુખ આપી શકે એ સ્વયં કેટલોબધો સુખી હશે ? અને જે અવતરણની કે જન્મની પહેલી જ ક્ષણે આટલો બધો સુખી હોય તે આગળનાં જીવનમાં કેટલો મોટો સુખી થયો હશે ? સમજવાની વાત છે . ક્ષત્રિયકુંડની ભૂમિએ અનંત સુખની પ્રસ્તાવના તરીકે આર્હન્ત્યનું સુખ જોયું છે . આર્હન્ત્ય એટલે અપરિસીમ ઊર્જા . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ ઉર્જા છે . આર્હન્ત્ય એટલે પરમોત્કૃષ્ટ પવિત્રતા . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ પવિત્રતા છે . આર્હન્ત્ય એટલે અધધધધધધધ શક્તિ . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ શક્તિ છે . આર્હન્ત્ય એટલે સકલ વિશ્વવ્યાપિની કરૂણા . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ કરુણાનાં જીવંત સ્પંદન છે . આર્હન્ત્ય એટલે વિશ્વ ઉદ્ધારક બળ . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ બળ સિંચાએલું છે . આર્હન્ત્ય એટલે એવી અપરાજેય નિર્લેપતા જે રાગને અને દ્વેષને ખતમ કરીને જ જંપે છે . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ નિર્લેપતાની ઝાંખી છે . નંદન મુનિના ભવમાં એ આર્હન્ત્ય નિર્ધારિત થયું . આર્હન્ત્ય એટલે પાતાલલોક , માનવલોક અને દેવલોક પરનું આધિપત્ય . भूर्भुवस्स्वस्त्रयीशानम् , સકલાર્હત્ સ્તોત્ર ફરમાવે છે . ક્ષત્રિયકુંડની ભૂમિએ આધિપત્યનો પરમ સ્પર્શ મેળવ્યો છે . ક્ષત્રિયકુંડની ભૂમિ એ આર્હન્ત્યની ભૂમિ છે . આર્હન્ત્ય કાયા રૂપે અવતર્યું એ વર્ધમાન ભગવાન્ . એ કાયા જે ભૂમિને સ્પર્શે એ ભૂમિમાં અસંખ્ય તીર્થોનું ઘન તત્ત્વ અવતરે . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ ઘન તત્ત્વ વસે છે . આર્હન્ત્ય વાણી રૂપે અવતર્યું એ વર્ધમાન ભગવાનનો અમૃતનિ:સ્યંદી અવાજ . એ અવાજ જ્યાં ગુંજે ત્યાં પાવનતા પાંગરતી આવે . ક્ષત્રિયકુંડની હવામાં એ પાવનતાના અણુ પરમાણુ વસે છે . આર્હન્ત્ય ભાવના રૂપે સ્ફુરણા પામ્યું એ વર્ધમાન ભગવાનનો વૈરાગ્યવાહી વાત્સલ્ય ભાવ . એ વાત્સલ્ય જેમને જેમને મળે એનો આત્મા ધન્ય બની જાય . ક્ષત્રિયકુંડનાં વાતાવરણમાં એ વાત્સલ્ય આજે પણ અકબંધ જીવે છે . અહીં જે આવે તે ધન્ય બની જાય છે . આજે આર્હન્ત્યની આ ભૂમિને નજરથી નિહાળી , શ્વાસથી જુહારી , કાયાથી સ્પર્શી , આંગળીઓથી અડકી , લાગણીઓથી વધાવી . એમ લાગે છે આજે જીવનને અભિનવ અવતાર મળ્યો .
કષ્ટમય મનુષ્યલોકથી આનંદમય સ્વર્ગલોકની યાત્રાનો અનુભવ એટલે શિખરજીની યાત્રા
શિખરજીની યાત્રા . કષ્ટમય મનુષ્યલોકથી આનંદમય સ્વર્ગલોકની યાત્રાનો અનુભવ છે . મનુષ્ય લોકમાં ઘણી બધી તપસ્યા કરવાની , ઘણાં ઘણાં કષ્ટ સહન કરવાના . તપસ્યા અને કષ્ટ દ્વારા કર્મનિર્જરા થાય . એનાં ફળ સ્વરૂપે સ્વર્ગ મળે . એ સ્વર્ગનું નામ શિખરજીનું શિખર .
નવ કિલોમીટરનું આરોહણ સહેલું નથી . પગલે પગલે થાક વધે . ભીડ ઘણી રહે છે . કાનને કોલાહલ સતત ટકરાયા કરે . મોટાભાગના લોકો આધ્યાત્મિક ન હોય એવી જ વાતો કરતા હોય . આપણને પ્રભુના વિચાર કરવા હોય પણ એમની વાતો કાનોકાન અફળાતી હોય એટલે પ્રભુ સાથે મગન થવામાં અડચણ અનુભવાય . પહાડ જેટલો મોટો છે , માર્ગ જેટલો લાંબો છે એને મુકાબલે એ મારગનો પનો ટૂંકો છે . વારંવાર યુ-કટ વળાંક પણ આવે . એકસાથે ચાર લોકો ચાલે એટલામાં રસ્તો બ્લોક થઈ જાય . એમાં પાછા ડોલીવાળા . ચાર જણા ઊંચકે એવી ડોલી વધારે આવે . બે જણા ઊંચકે એવી ડોલી પણ આવે . આપણે ચડતા હોઈએ ત્યાં ખભાની વચ્ચે ડોળીના લાંબા વાંસડા ઘૂસી આવે . આપણે ચાલતા હોઈએ તો પગનાં ઘૂંટણની વચ્ચે એમની લાઠી ફસાય . પડતાં પડતાં માંડ બચીએ . એમનાં મોઢેથી બીડી અને દારૂની વાસ ગંધાતી હોય . સહન કરવી જ પડે . આગળ નીકળવાવાળા આપણને ધક્કો મારીને આગળ જાય . જેમનાથી આપણે આગળ નીકળીએ એ લોકોના ખભે આપણો ખભો ઘસાય . વિજાતીયના સંઘટ્ટાથી બચવું પડે . આપણને થાક ચડ્યો હોય એનાથી વધારે થાક અમુક બીજાઓને લાગ્યો છે એ પણ દેખાય . આપણે જેટલા થાક્યા છીએ એટલો થાક અમુક બીજાઓને નથી લાગ્યો એ પણ દેખાય . રસ્તો કાચો છે , પથરાળ છે , ઊંચો છે , અઘરો છે , લાંબો છે . ફિટનેસ ટેસ્ટ માંગી લે છે . કઠિન પહાડ પર જે ચડી ગયા તેને હાર્ટ પ્રોબ્લેમ નથી એ પાક્કું . હું હાંફતો રહ્યો પણ છેવટે આરોહણ સંપન્ન થયું . જાણે કાર્ડિયાક સ્ટ્રેસ ટેસ્ટ પૂરો થયો .
હવે નજર સામે કેવળ સ્વર્ગ હતું . ડાબા હાથે દૂર દેખાતી હતી પારસનાથજીની ટૂંક . જમણા હાથે દૂર હતી ચંદ્રપ્રભજીની ટૂંક , જે દેખાતી નહોતી . ત્રીસ ટૂંક છે એ જાણે ત્રીસ દેવવિમાન . ચોતરફ દિગંતમાં અનંત આકાશ . એમ જ લાગે કે માનવ લોક નીચે રહી ગયો છે અને આપણે ઉપર છીએ , ઉપરવાળાની એકદમ નજીકમાં . ઊર્ધ્વ દિશાએ અનંત અવકાશ છે , એના છેવાડે છે સિદ્ધશિલા . એમાં બેસેલા અનંત આત્માઓમાંથી કેટકેટલા આત્માઓ એવા છે જે શિખરજી પરથી જ સીધા ત્યાં પહોંચ્યા છે . એ પ્રત્યેક આત્માને , પરમ આત્માને વંદન કરવા માટે શિખરજીની યાત્રા કરવાની હોય છે . જે ભૂમિએ એ આત્માઓને સિદ્ધશિલાનો માર્ગ બનાવી આપ્યો એ ભૂમિની સ્પર્શના કરવી હતી .
પહાડ પર પહોંચ્યા બાદ આરામ કરવો હતો . સામે જ નવનિર્મિત ઉપાશ્રય હતો . એમાં વિશ્રામ કર્યો . તે દિવસે એકથી વધુ સંઘો આવ્યા હતા . પર્વતરાજ પર બે હજારથી વધુ ભક્તોની ભીડ ભેગી થઈ હતી . શ્રી ગૌતમ સ્વામીજીની ટૂંકમાં ભારે ધસારો હતો . આખું ચોગાન લોકોથી ઢંકાયેલું હતું . ઘણાઘણા ડોલીવાળા લાઈન લગાવીને બેસી ગયા હતા . ચાલવાની પણ જગ્યા નહોતી . દરેક દેરીએ ભક્તોનાં ટોળાં જામી પડ્યાં હતાં . મારે દરેક દેરીએ મૂળ જિનાલય જેવી શાંતિથી ચૈત્યવંદન કરવું હતું , સ્તવન ગાવું હતું અને જાપ કરવો હતો . આટલા ઊંચે આવ્યા પછી કોઈપણ દેરીએ ઉતાવળ કરીએ તે કેમ ચાલે ? વીસ પ્રભુનાં કલ્યાણકની દેરીઓમાંથી અઢાર દેરીઓ સાવ નાની છે . દેરી નાની છે એટલે સ્થાન નાનું છે , સ્થાન નાનું છે એટલે ઓછા સમયમાં પતાવી દેવાય એવી માનસિકતા બનતી હોય છે , જે ભૂલ ભરેલી હોય છે . દરેક નાની દેરીના નાનકડા ગુંબજની ઉપર છેક સિદ્ધશિલામાં એ જ ભગવાનનો સિદ્ધ આત્મા બિરાજમાન છે જેમના ચરણપાદુકા દેરીની ભીતરમાં જોવા મળે છે . તે તે પ્રભુ પોતાના સમયકાળના એકમાત્ર મૂળનાયક હતા . એમનાં કલ્યાણકોએ ત્રણ લોકના જીવોને સુખનું સ્પંદન આપ્યું હતું . એમના અભિષેક મેરુપર્વત પર થયા હતા . એમના સમવસરણમાં અગણિત જીવોના ઉદ્ધાર થયા હતા . એમનો શ્રમણ પરિવાર , શ્રમણી પરિવાર , શ્રાવક પરિવાર , શ્રાવિકા પરિવાર અને ભક્ત પરિવાર ઘણો જ વિશાળ હતો . તે તે પ્રભુ થકી ચિરસ્થાયી યુગપ્રવર્તન થયા હતા . તીર્થંકર એ તીર્થંકર હોય છે . કલ્યાણક એ કલ્યાણક હોય છે . તીર્થંકરની સાથે ઉતાવળ ન હોય , કલ્યાણક ભૂમિની સાથે હડબડી ન કરાય . મારે કોઈ તીર્થંકરની સ્પર્શના ઉતાવળમાં પતાવવી નહોતી . એક મોટા સંઘનાં મુખ્ય દેરાસરમાં બિરાજમાન મૂળનાયક ભગવાનને જેટલો સમય અપાય , જેટલો આદર અપાય એટલો સમેતશિખરજીની વીસેવીસ કલ્યાણક દેરીઓને આપવો જોઈએ . કોઈપણ દેરી બે મિનિટમાં પતાવી દેવાય નહીં . સૂત્ર ઉતાવળ કર્યા વગર જ બોલવાના . સ્તવન લંબાણપૂર્વક જ ગાવાના . જાપ નિરાંતે જ થવા જોઈએ . ભીડ ઘણી જ વધારે હતી એટલે કોઈ પણ દેરી પર આરામથી બેસી શકાય એવું લાગતું નહોતું . ઉપાશ્રયમાં વિસામો લીધો અને રાહ જોઈ . બપોરે બે વાગ્યા પછી ભીડ ઓછી થઈ અને યાત્રા શરૂ કરી .
સૌપ્રથમ શ્રી કુંથુનાથ ભગવાનની દેરી . ચરણપાદુકાની આસપાસ દિગંબરોએ ચડાવેલા ચોખાઓનો મોટો ઢગલો બનેલો હતો . ચોખા ચરણપાદુકા ઉપર પણ પથરાયા હતા . આશ્ચર્યની વાત એ હતી કે ચરણપાદુકાની ઉપર એક ખુલ્લી ચિઠ્ઠી પડી હતી . સંકોચપૂર્વક ચિઠ્ઠી ઉઠાવી અને વાંચી . કોઈએ ખરેખર ભગવાનને જ પત્ર લખ્યો હતો . શું લખ્યું હતું ? કાલે વાત ….
શિખરજીનો પહેલો બોધપાઠ : થાક લાગે તો થોડા સમય માટે અટકી શકાય , પણ કામ છોડી ન દેવાય
( અંગ્રેજી તારીખિયા અનુસાર બે હજાર પચ્ચીસનું વરસ આજે શરૂ થયું . આપણું બેસતું વરસ તો કાર્તિક સુદ એકમના દિવસે શરૂ થઈ ગયું છે . આજના દિવસથી એક નવી યાત્રા શરૂ થાય છે . રોજ મળશું . )
ઘણું અઘરું હતું . બધાએ જ કહ્યું હતું કે તમે આ પહાડ ચડી નહીં શકો . સીધું ચઢાણ છે . લાંબો રસ્તો છે . એક સરખા પગથિયાં નથી . એકસરખો સિમેન્ટ રોડ પણ નથી . એકસરખી ઉખડ બાખડ જમીન પણ નથી . એકસરખું બધું જ અઘરું છે એવું પણ નથી . એકસરખું સહેલું નથી એ વાત પાકી છે . જુવાનજોધ માણસના ફેફસાં પણ ફાટવા લાગે એવો મારગ છે . ચડવાનું અઘરું છે એને ઉતરવાનું પણ અઘરું જ છે . યાત્રા લાંબી છે એટલે સમય પણ ઘણો લાગી જાય છે . આથી થાક પણ ઘણો જ લાગતો હોય છે , એય પાછું અઘરું જ છે . એટલે યાત્રા કરવા માટે નીકળ્યો ત્યારે મનમાં ડર ભરેલો હતો . વિચારેલું કે જેટલું ચડાશે એટલું ચડીશ . પછી એમ લાગશે કે નથી ચડાતું તો ધીમે ધીમે પાછો ઊતરી જઈશ . ડોલીમાં બેસીને ચડવાનો વિચાર હતો નહીં . ચડવું તો પગેથી ચડવું એવી ધારણા હતી . આ ધારણાને લીધે ડર હતો કે – નહીં ચડાયું તો વિલે મોઢે પાછા જવું પડશે . પરંતુ વિક્રમ સંવત્ બે હજાર એક્યાસીની સાલમાં માગશર વદ દશમે મારી ડાયરીમાં આ શબ્દો લખાયા હતા : હું આજે સ્વર્ગનો સ્પર્શ અનુભવી શકું એવી ઊંચાઈ પર છું . હું સમેતશિખરના શૃંગે છું . આ તપોભૂમિ છે . વીશ વીશ તીર્થંકર ભગવાને અહીં અંતિમ ઉપવાસ એવા કર્યા જેનાં પારણાં થયાં જ નહીં . સમેતશિખરજીથી જે અણહારી અવસ્થાનો પ્રારંભ થયો તે અણહારી અવસ્થા આજે સિદ્ધશિલામાં પણ પ્રવર્તમાન છે . આઠ કર્મો સામેની લડાઇમાં ઘાતીકર્મનો નાશ થાય એ પહેલી જીત છે . એ જીત પછી કેવલ જ્ઞાન થતું હોય છે . કોઈ એક જ ભૂમિ પર વીશ વીશ તીર્થંકરને કેવલજ્ઞાન થયું નથી . આઠ કર્મો સામેની લડાઇમાં અઘાતીકર્મનો નાશ થાય એ આખરી જીત છે . એ આખરી જીત પછી મોક્ષ મળે છે . વીશ વીશ પ્રભુએ આખરી જીત આ પર્વતરાજ પરથી મેળવી છે . એને લીધે આ પર્વતને મહાતીર્થાધિરાજ તરીકેનું ગૌરવ મળે છે . આ ચમત્કાર કેવી રીતે થયો ? મને આજ સુધી સમજાયું નથી પણ હકીકત એ છે કે હું પોષ દશમીની ત્રણેય રાત સમેતશિખરજી મહાતીર્થના ખોળે સૂતો હતો . પહેલી રાત કલિકુંડ જિનાલય પાસેની ધર્મશાળામાં . બીજી અને ત્રીજી રાત જલમંદિરની પાસેની નાનકડી ઓરડીમાં .
માગસર વદ નોમના દિવસે સવારે ઋજુવાલિકાથી વિહાર કર્યો હતો . મધુબનમાં શામળિયા પાર્શ્વનાથ ભગવાનના ભાવપૂર્વક દર્શન કર્યાં . બપોરે ચાર વાગે પહાડ પર આરોહણ શરૂ કર્યું . થોડીવારમાં જ કલિકુંડ જિનાલય આવી ગયું . સૂર્યાસ્ત પહેલાં પહોંચી જવાયું . નાની ધર્મશાળામાં રાતવાસો મળ્યો . પહાડ પરની રાત રોમાંચક હતી . શહેર દૂર હતું . વસતિ નહિવત્ . શિખરજી વિશે ઘણું વાંચ્યું છે , શાસ્ત્રોમાં , ઈતિહાસમાં , પુસ્તકોમાં . ઋજુવાલિકા – નંદપ્રભા સંકુલમાંથી , છેક ૧૮ કિલોમીટર દૂરથી આ પર્વતરાજનાં દર્શન થાય છે . આવા વિરાટ પહાડ પર ચડવાની લાગણી હંમેશા બનતી . દરવખતે , ડુંગરા દૂરથી રળિયામણા – એ કહેવત જ યાદ આવતી . દૂરથી જોવાનું સહેલું છે . નજીક આવીને ચડવાનું ઘણું અઘરું છે . જોકે ઘણાય યુવાનો ઝડપથી ચડી જાય છે . પણ એવા લોકોનેય જોયા છે જે ચડવાનું અધૂરું છોડીને પાછા નીચે ઉતરી ગયા . આવતીકાલે મારી હાલત પણ આ જ થવાની છે એવું લાગતું હતું . મનમાં ઘણી જ ખુશી હતી કે પર્વતરાજની ઉપર રાતનો સમય રોકાવા મળ્યું છે . જેમણે જેમણે વારંવાર યાત્રા કરી છે એમનાં મોઢે સાંભળ્યું હતું કે કલિકુંડ પછી થોડુંક ચાલવાનું છે અને એના પછી જ ખરેખર અઘરું ચડાણ શરૂ થાય છે . જેટલું ચડી ગયા એનો કોઈ આનંદ મનમાં હતો નહીં . જે ચડવાનું બાકી છે એનો ખૌફ જ મનમાં જાગી રહ્યો હતો . દેરાસરમાં ચૈત્યવંદન કર્યું હતું , જાપ કર્યો હતો . ઓરડીમાં બેસીને ધ્યાન કર્યું હતું અને સ્વાધ્યાય કર્યો હતો . હું પહાડ ઉપર છું એનો રોમાંચ ઘણો હતો . શિખરજીનાં સ્તવનો અને સ્તોત્રો ગાતાં આવ્યા છીએ . શિખરજી ઉપર અનશન સાધનારા તીર્થંકર ભગવંતો અને અન્ય સાધકોએ પણ રાત પહાડ ઉપર જ વિતાવી છે . એમની રાત નિદ્રા વિનાની હતી , પ્રમાદ વિનાની હતી , ભય વિનાની હતી . મને સમજાતું હતું કે મારી રાત એવી નથી , મારે નિદ્રા લેવાની છે , આરામ કરી લેવાનો છે , અન્યથા સવારે ચડવામાં થાક લાગશે . સભાનતાપૂર્વક નિદ્રા સાથે જોડાઈ જવાની કોશિશ કરી પરંતુ ઊંઘ ન આવે . પહેલું કારણ , યાત્રાભૂમિનો રોમાંચ . બીજું કારણ , કડકડતી ઠંડી . નીચે મકાનોની વચ્ચે હોઈએ ત્યારે ઠંડી હોય એના કરતાં લાગે ઓછી . ઉપર પહાડ પર હોઈએ ત્યારે ઠંડી હોય એના કરતાં લાગે વધારે . કંઈ ક્ષણે ઊંઘ આવી ખબર ના પડી . રાત્રે એક દોઢ વાગે કલિકુંડ કેમ્પસની બહાર , પહાડી રસ્તા ઉપરથી લાઠી ઠોકાવાના અવાજ આવવા લાગ્યા . સમજાયું કે લોકોએ આરોહણ શરૂ કરી દીધું છે . પહાડ પર ત્રણ પ્રકારના આરોહકો ચડે છે : શ્વેતાંબરો , દિગંબરો અને ઝારખંડીઓ . દિગંબરોની સંખ્યા પહાડ ઉપર ઘણી જ વધારે જોવા મળે છે . એ લોકો રાતે એક દોઢ વાગ્યાથી ચડવાનું શરુ કરી દેતા હોય છે . એમનો નિયમ બહુ પાકો હોય છે . એ લોકો આખા પહાડની યાત્રા કરશે . જ્યારે શ્વેતાંબરોનું નિયમ જુદો છે . શ્વેતાંબરો જલ મંદિર જઈને સંતૃપ્ત થઈ જાય છે . પછી ફાવે તો પારસનાથ જાય , મૂડ બને તો ચંદ્રપ્રભજી જાય . સૂર્યોદયના સમયે ચંદ્રપ્રભજી પહોંચી જનારા દિગંબરો ઘણા હોય છે . લાઠીની ઠકાઠકના અવાજ ચાલુ જ રહ્યા .
ઘણા લાંબા સમય પછી જ્યારે અમે ચડવાનું શરૂ કર્યું ત્યારે લાઠીવીરોની સંખ્યા ઘણી વધી ગઈ હતી . લાઠીનો અવાજ કરનારાઓમાં અમુક લોકો ડોલીવાળા હતા . કલિકુંડ પછી થોડુંક ચાલ્યા હોઈશું . ચઢાણ આવવા લાગ્યું . પગના ગોટલા પર એવું વજન લાગવા માંડ્યું કે જાણે કોઈએ પગ પર રેતીની થેલીઓ બાંધી હોય અને શ્વાસો એ રીતે ભારે થવા લાગ્યા કે જાણે કોઈએ મોઢાને નાકને જાડા કપડાથી બાંધી દીધું હોય . પગ ભારે અને શ્વાસો ભારે , આ પરિસ્થિતિ દસબાર મિનિટની હોય તો સહન થઈ જાય , અડધો પોણો કલાકની પણ હોય તો સહન થઈ જાય . પરંતુ સતત દોઢબે કલાક સુધી આ જ પરિસ્થિતિ રહેવાની હોય એ સહન કરવાનું ઘણું અઘરું છે . ચઢાણ અઘરું થતું ગયું એમ પોતાની જાતને હું સૂચના આપતો ગયો કે ધીમે ધીમે ચડવાનું છે , વચ્ચે બિલકુલ બેસવાનું નથી . કાચબા અને સસલાની રેસમાં કાચબો ધીમે ધીમે અટક્યા વગર ચાલતો રહ્યો એટલે જીતી ગયો અને સસલું ઉતાવળમાં ચાલતું ગયું પણ થોડી થોડી વારે અટકતું ગયું એમાં પાછળ રહી ગયું . મન મક્કમ રાખીને ચડવાનું ચાલુ રાખ્યું . રસ્તો ધીમે ધીમે કપાઈ રહ્યો છે એ સમજાતું હતું . થોડા સમય બાદ ચડાણ વધારે અઘરું થયું . હવે કાચબાસસલાની થિયરી કામની ના રહી . અગ્રેસિવ થવાને બદલે ડિફેન્સિવ થવાનો વખત હતો . ચડવાનો હોંસલો અખંડ હોવો જોઈએ એ વાત સાચી . પરંતુ એકસાથે એટલું બધું જોશ ન લગાવાય કે ચાલવાની કેપેસિટી જ ખતમ થઈ જાય . બીજા તબક્કામાં હું થોડું ચાલું અને થોડો ઊભો રહું . પછી ચઢાણ વધારે અઘરું થયું . હવે બીજી પોલિસી પણ કામની ન રહી . છાતી એવી ભારે થઈ જતી હતી કે ઉભા જ ન રહેવાય . ત્રીજા તબક્કે , પોલીસી થ્રી : થોડુંક ચાલો અને થોડુંક બેસો . એમ કરતાં આગળ વધવાનું ચાલુ રાખ્યું પછી એવું બન્યું કે બેસીને પણ થાક ઉતરે નહીં . હવે ? ચોથા તબક્કે , પોલિસી ફોર : થોડુંક ચાલો , થોડું લેટી જાઓ . થોડી થોડી વારે શ્વાસ ભરાય . થોડી થોડી વારે અટકવું પડે . અટકીએ ત્યારે આગળ વધવાનું છે તે યાદ રાખીને અટકીએ . અટકીએ ત્યારે કામ અધૂરેથી છોડી દેવું છે એવો વિચાર બનવા ના દઈએ . અટકીએ ત્યારે હવે મારાથી આ કામ નહીં થાય એવી લાગણી જાગવા ના દઈએ . શ્વાસ ચડ્યો હોય તો શ્વાસ હેઠો બેસે એની રાહ જોઈએ . પગ ભારે થઈ ગયા હોય તો પગ હળવા થાય એની રાહ જોઈએ . આ જ પોલિસી કામ આવે છે .
સમેતશિખરજીનો પહાડ સિદ્ધગિરિ કે ગિરનાર જેવો નથી . શિખરજીનો પહાડ આ બંને કરતાં વધારે કઠણ , વધારે ઊંચો , વધારે લાંબો છે આથી વધારે તાકાત અને વધારે ધીરજ લાગે છે યાત્રામાં . થાક લાગે તો થોડા સમય માટે અટકી શકાય , પણ કામ છોડી ન દેવાય . શિખરજીનો આ પહેલો બોધપાઠ હતો .
બ્રહ્મ ઈન્દ્ર , કૃષ્ણ રાજા અને રત્ન શ્રાવકની અનુમોદના કરવાનું ભૂલતા નહીં .
શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિનું નિર્માણ કરવાનો લાભ બ્રહ્મેન્દ્રને મળ્યો છે . શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા મનુષ્ય લોકમાં થઈ એનો લાભ કૃષ્ણ રાજાને મળ્યો છે . એ પછીનો ત્રીજો મહાન્ લાભ મળ્યો છે રત્ન શ્રાવકને . એ છ-રી પાલક સંઘ લઈને ગિરનાર આવ્યા હતા . ગિરનારની ટોચ પર જિનાલય હતું . એેમાં માનવનિર્મિત મૂર્તિ હતી , નેમિનાથ દાદાની . આ મૂર્તિની રચનામાં રેતીનો ઉપયોગ સવિશેષ થયેલો હતો . સંઘ ગિરનાર પહોંચ્યો તે પહેલાં રત્ન શ્રાવકને ગુરુ ભગવંત દ્વારા જાણ થઈ હતી કે જે દિવસે સંઘ પહોંચશે તે દિવસે તીર્થને મોટું નુકસાન થશે . એનું નિમિત્ત તમે બનશો . પરંતુ તે પછી તીર્થની પ્રચંડ ઉન્નતિનું નિમિત્ત પણ તમે જ થશો . રત્ન શ્રાવકને સમજાયું કે મને આશાતનાનો મોટો દોષ લાગશે . એ ભયભીત થયા . પરંતુ તે પછી જ તીર્થની મોટી ઉન્નતિ થશે એમ જાણીને આશ્ચર્ય પામ્યા .
સંઘ ગિરનારની ટોચે આવ્યો . સૌ આરાધકોએ જળપૂજા ઘણી કરી . મૂર્તિની રેતી એટલી બધી પીગળી ગઈ કે આખી મૂર્તિ બેસી ગઈ . મૂર્તિની જગ્યાએે માત્ર ભીની રેતીનો ઢગલો રહ્યો . રત્ન શ્રાવકને પ્રચંડ દુઃખ થયું . દુઃખના આવેશમાં એણે ઉપવાસ શરૂ કરી દીધા . એક મહિનાના ઉપવાસ થયા ત્યારે અંબિકાજી પ્રગટ થયા . બોલ્યા : જે રેતીનો ઢગલો છે એમાંથી નવી મૂર્તિ રચી લો .
રત્ન શ્રાવકે કહ્યું કે ના , રેતીની મૂર્તિ નહીં . ફરીથી જળપૂજાનો ભાર આવશે તો રેતીની મૂર્તિને ફરીથી નુકસાન થશે . આપ એવી મૂર્તિ આપો જે ખંડિત જ ન થાય .
અંબિકાજી અંતર્ધાન થઈ ગયા . રત્ન શ્રાવકે ઉપવાસ છોડ્યા નહીં . દેવીએ અદૃશ્ય રહીને ઘણા ઉપસર્ગ કર્યા . પરંતુ રત્ન શ્રાવક ચલિત ન થયા . આ જોઈને દેવી પ્રસન્ન થયા . પ્રગટ થઈને કહ્યું કે તારાં સત્ત્વને જોઈને મને ઘણો આનંદ થયો છે . હું તને પ્રાચીન પ્રતિમા આપું છું .
હિમાદ્રિ પર્વતની કંચનગિરિ ગુફામાં રત્ન શ્રાવકને દેવી લઈ ગયા . ત્યાં બિરાજીત અનેક અનેક દિવ્ય મૂર્તિઓ બતાવી . અને છેલ્લે બ્રહ્મલોકમાં નિર્મિત શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ લઈ જવા કહ્યું . દેવીએ જણાવ્યું કે આ મૂર્તિને લોઢું પથ્થર અગ્નિ જળ વીજળી તોફાન કોઈ નુકસાન કરી નહીં શકે . અરે , ઈન્દ્રનું વજ્ર પણ આ મૂર્તિને નુકસાન ના કરી શકે . આ મૂર્તિને કંતાનના તાંતણાથી બાંધી લો . તમે ચાલવા માંડશો એટલે મૂર્તિ તમારી પાછળ સરકતી સરકતી આવશે . તમારે પાછળ વળીને જોવાનું નથી . તમે જ્યાં પાછળ જોશો ત્યાં આ મૂર્તિ અટકી જશે . રત્ન શ્રાવક મૂર્તિને એ જ રીતે ગિરનારના મુખ્ય દેરાસ૨ પાસે લઈ આવ્યા . દરવાજે એ મૂર્તિ રાખીને એ દેરાસરના ગભારામાં આવ્યા .
ગભારામાં પહેલાની મૂર્તિની રેતીનો ઢગલો વેદિકા પર હતો તેને હટાવ્યો . બધી સ્વચ્છતા બનાવી . પછી મૂર્તિને લેવા દરવાજે આવ્યા . હવે મૂર્તિ હલે જ નહીં , હલે જ નહીં . રત્ન શ્રાવક વિસામણમાં પડ્યા અને ઉપવાસ પર ઉતર્યા . અંબિકાજી પ્રગટ થયા . બોલ્યાં : આ મૂર્તિ હલશે નહીં . તમે પશ્ચિમ સન્મુખ જિનાલય બનાવી એમાં બિરાજમાન કરો .
રત્ન શ્રાવકે એવું જ દેરાસર બનાવ્યું . ઠાઠમાઠથી પ્રભુની પ્રતિષ્ઠા થઈ . પ્રતિષ્ઠા પછી રત્ન શ્રાવક આનંદવિભોર થઈને પ્રભુ સમક્ષ પંચાંગ પ્રતિપાતથી ઝૂક્યા . એ વખતે અંબિકાજીએ રત્ન શ્રાવકના ગળામાં પારિજાતનાં ફૂલોની માળા પહેરાવી . રત્ન શ્રાવક ધન્ય થઈ ગયા . આજે ગિરનાર મહાતીર્થના મૂળનાયક તરીકે શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ બિરાજીત છે એનો મહાપવિત્ર લાભ રત્ન શ્રાવકને મળ્યો છે .
તમે ગિરનાર મહાતીર્થના મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનનાં દર્શન કરો તે વખતે બ્રહ્મ ઈન્દ્ર , કૃષ્ણ રાજા અને રત્ન શ્રાવકની અનુમોદના કરવાનું ભૂલતા નહીં .
મહાભારતનો જમાનો હતો ત્યારે દેવલોકના ભગવાન્ મનુષ્ય લોકમાં પધાર્યા હતા
મહાભારતના સમયમાં ભારત દેશે જે જોયું છે એ બીજા કોઈ યુગમાં નહીં જોયું હોય . પાંચ પાંડવોની ઘટના . સો કૌરવોનું રાજકારણ . ભીષ્મ પિતામહ . દ્રૌણ આચાર્ય . કર્ણ . કંસ , જરાસંઘ અને શિશુપાલ . આ બધાની ઉપર ભારે હતું એક નામ : કૃષ્ણ રાજા . કૃષ્ણ સમકિતી છે . કૃષ્ણ પ્રભુભક્ત છે . કૃષ્ણ વિષ્ટિકાર છે . શ્રી નેમિનાથ ભગવાનના પિતા સમુદ્રવિજય અને કૃષ્ણના પિતા વસુદેવ સગાભાઈ હતા . આમ શ્રી નેમિનાથ ભગવાન્ અને કૃષ્ણ રાજા વચ્ચે પારિવારિક સંબંધ હતો . પરંતુ કૃષ્ણ રાજા શ્રી નેમિનાથ ભગવાનના ભક્ત તરીકે જ વિશેષ પ્રસિદ્ધ થયા છે .
આશ્ચર્યની વાત એ છે કે દેવલોકમાં રહેલી નેમિનાથ ભગવાનની મૂર્તિની સાથે કૃષ્ણ રાજાનો સંબંધ કમાલ રીતે જોડાયો હતો . બન્યું હતું એવું કે ઈન્દ્રને ભગવાને કહ્યું કે દેવલોકમાં બિરાજમાન નેમિનાથ ભગવાનની મૂર્તિ દેવનિર્મિત છે . એના જવાબમાં ઇન્દ્ર મહારાજાએ કહ્યું કે અમે તો આ મૂર્તિને શાશ્વત સમજતા હતા . આજે ખબર પડી કે આ મૂર્તિ અશાશ્વત છે ?
આ વાતના પ્રતિભાવમાં ભગવાને કહ્યું કે હા , આ મૂર્તિ અશાશ્વત છે . યાદ રાખજો . દેવલોકનો નિયમ છે કે દેવલોકમાં અશાશ્વત મૂર્તિ બિરાજમાન રહી શકે નહીં . માટે આ મૂર્તિને મનુષ્ય લોકમાં બિરાજમાન કરવી જોઈએ .
દેવલોકવાસી ઈન્દ્ર ભગવાનને પૂછે છે કે પ્રભુ , આપનું વચન શિરોધાર્ય છે પરંતુ મનુષ્યલોકમાં આ મૂર્તિ કોને આપી શકાય ?
ભગવાન્ જવાબ આપે છે કે આ મૂર્તિ કૃષ્ણ રાજાને સોંપી દો .
શ્રી નેમિનાથ ભગવાનના કહેવાથી શ્રી નેમિનાથ ભગવાનની દેવલોક સ્થિત મૂર્તિ મનુષ્ય લોકમાં કૃષ્ણરાજાને અર્પિત કરવામાં આવી . કૃષ્ણ રાજા દ્વારા નૂતન જિનાલયમાં આ પ્રતિમા બિરાજમાન કરવામાં આવી . જોવાની વાત એ છે કે પ્રતિમાની પ્રતિષ્ઠાનો વાસક્ષેપ સ્વયં નેમિનાથ ભગવાન્ આપે , એવી વિનંતી કૃષ્ણરાજાએ કરી હતી . પ્રભુએ વિનંતીનો સ્વીકાર કરીને પ્રતિષ્ઠા માટેનો વાસક્ષેપ આપ્યો હતો . એ જ વાસક્ષેપ દ્વારા ગણધર ભગવંતોએ મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી . દેવતાઓએ અને મનુષ્યોએ સાથે મળીને ગિરનારના ગજપદકુંડનાં જળથી આ મૂર્તિનો અભિષેક કર્યો હતો . દેવલોકમાંથી પધારેલી મૂર્તિ મનુષ્યલોકમાં પ્રતિષ્ઠા પામી એની ખુશાલીમાં કૃષ્ણ રાજાએ હીરા મોતી માણેકની પ્રભાવના કરી હતી .
જોકે , શ્રી નેમિનાથ ભગવાને સ્પષ્ટ ભવિષ્યવાણી કરી હતી કે જ્યાં સુધી દ્વારકા નગરી અખંડ છે ત્યાં સુધી આ મૂર્તિ મનુષ્યો માટે ઉપલબ્ધ રહેશે . જે દિવસે દ્વારકા નહીં રહે એ દિવસે અંબિકાદેવી આ મૂર્તિને મનુષ્યલોક પાસેથી પાછી લઈ લેશે . ગિરનાર ઉપર કંચનગિરિ પહાડની ભીતરમાં એ મૂર્તિ બિરાજમાન થશે અને એની પૂજા દેવતાઓ કરશે .
ભગવાને જે કહ્યું હોય એ સાચું જ પડે . એક દિવસ દ્વારિકા નગરી નાશ પામી . નેમિનાથ ભગવાનની મૂર્તિ મનુષ્યલોક પાસેથી છીનવાઈ ગઈ અને દેવતાઓના હાથમાં જતી રહી . ગિરનારના ગહન ગુફાપ્રદેશમાં એ મૂર્તિ બિરાજમાન થઈ ગઈ .
——–
કથા આગળ વધે છે પણ મુદ્દા આપણે યાદ રાખવાના છે .
૧. દેવલોકમાં બિરાજમાન મૂર્તિ પ્રભુના કહેવાથી મનુષ્ય લોકમાં આવી .
૨ . એ મૂર્તિની પ્રતિષ્ઠાનો વાસક્ષેપ છે સ્વયં તીર્થંકર ભગવાને આપ્યો .
૩ . એ મૂર્તિની પ્રતિષ્ઠા ગણધર ભગવાને કરી .
૪ . એ મૂર્તિની પ્રતિષ્ઠાનો લાભ કૃષ્ણ રાજાને મળ્યો હતો .
૫ . લાંબા સમય સુધી મનુષ્યો આ મૂર્તિની પૂજા કરતા રહ્યા . તે પછી એક દિવસ એવો આવ્યો કે મૂર્તિ દેવતાઓના હાથમાં જતી રહી અને દેવતાઓ દ્વારા એને પૂજા થવા લાગી .
————
ગઈ ચોવીસીના ત્રીજા તીર્થંકર ભગવાનના સમયે દેવલોકમાં બનેલી મૂર્તિ વર્તમાન ચોવીસીના બાવીસમા તીર્થંકર ભગવાનના સમયે દેવલોકમાંથી મનુષ્યલોકમાં પધારે છે . એની પ્રતિષ્ઠા અને પૂજા કૃષ્ણ મહારાજા દ્વારા થાય છે . પ્રતિમાનો ઇતિહાસ કેવો ગજબનાક છે ?
( Copyrighted content )
બે પ્રશ્નમાંથી શ્રી નેમિનાથ દાદાની પ્રતિમાનું અવતરણ થયું છે : એ પ્રશ્ન તમારાં અંતરમાં પણ જાગવા જોઈએ .
તીર્થંકરની દેશના ચાલુ છે . મોક્ષ મળે નહીં ત્યાં સુધી આત્મસંતોષ માનવાનો નહીં એવી પ્રેરણા પ્રભુનાં મુખે મળી રહી છે . મોક્ષમાં કેવો આનંદ છે એની વાત સ્વયં ભગવાન્ સમજાવી રહ્યા છે . મોક્ષ મળવો દુર્લભ છે એનું કથન પણ ભગવાન્ દ્વારા થઈ રહ્યું છે . સભામાં બેસેલા પાંચમા દેવલોકના ઈન્દ્રને , બ્રહ્મઈન્દ્રને પ્રશ્ન થાય છે કે શું મને મોક્ષ મળશે ? મળશે તો ક્યારે મળશે ? કેવી રીતે મળશે ? ઈન્દ્ર તીર્થંકર ભગવાનને આ પ્રશ્ન પૂછે છે . આ પ્રશ્નમાંથી આપણા સૌનાં ભાગ્યનો ઉદય થયો .
ભગવાને આ પ્રશ્નનો જવાબ આપ્યો . કહ્યું કે વર્તમાન ચોવીસીના હજી ૨૧ તીર્થંકર થવાના છે . એમના પછી આવતી ચોવીસીના ૨૧ તીર્થંકર થવાના છે . આ ૪૨ તીર્થંકર થઈ જશે એ પછી આવતી ચોવીસીના બાવીસમા તીર્થંકર થશે . એમનું નામ હશે શ્રી નેમિનાથજી . એમના સમયમાં , એમના દ્વારા તમને મોક્ષ મળશે . તીર્થંકર ભગવાને ભવિષ્યવાણી કરી . મોક્ષ મળશે એમ પણ કહ્યું , મોક્ષ ક્યારે મળશે એ પણ કહ્યું અને મોક્ષ કોના દ્વારા મળશે એ પણ કહ્યું . પાંચમા દેવલોકના ઈન્દ્રના આનંદનો પાર ન રહ્યો . મને મોક્ષ મળશે એ સાંભળીને આનંદ અનુભવ્યો અને મને આવતી ચોવીસીના બાવીસમા તીર્થંકર ભગવાનને કારણે મોક્ષ મળશે એ જાણીને એ ભાવિ તીર્થંકર ભગવાન્ માટે અનેરો અહોભાવ જાગ્યો . એમને થયું કે જે ભગવાન્ મને મોક્ષ અપાવવાના છે એ ભગવાનની ભક્તિ માટે હું શું કરી શકું ? એમણે વર્તમાન ચોવીસીના ત્રીજા તીર્થંકર ભગવાનની વાણી સાંભળીને આવતી ચોવીસીના બાવીસમા તીર્થંકર ભગવાનની મૂર્તિ બનાવી . ગઈ ચોવીસીના ત્રીજા તીર્થંકરનું નામ હતું સાગર ભગવાન્ . એ તીર્થંકર ભગવાનની વાણીને લીધે વર્તમાન ચોવીસીના બાવીસમા તીર્થંકર ભગવાનની મૂર્તિ બની .
મૂર્તિ દેવલોકમાં બની . મૂર્તિ દેવ દ્વારા બની . મૂર્તિ દેવ દ્વારા પૂજાવા લાગી . ત્રણેય વાતો મોટી ગણાય . દેવલોકમાં કેવળ શાશ્વત મૂર્તિઓ જ હોય છે આ મૂર્તિ અંજનરત્ન દ્વારા નિર્મિત હતી . એનું ઓજ અકલ્પનીય હતું . જે ઈન્દ્રએ મૂર્તિ બનાવી હતી એનું આયુષ્ય પૂરું થઈ ગયું પરંતુ મૂર્તિ દેવલોકમાં બિરાજમાન રહી . લાંબો સમય વીત્યો . મૂર્તિ પૂજાતી જ રહી , પૂજાતી જ રહી . સામાન્ય રીતે દેવતાઓની સામે કોઈ વાત છૂપી રહેતી નથી . એમને અવધિજ્ઞાન દ્વારા ઘણીખરી વાતોની જાણ થઈ જતી હોય છે . આશ્ચર્યની વાત એ રહી કે દેવતાઓ જેવા દેવતાઓને પણ એવું લાગવા માંડ્યું કે આ મૂર્તિ શાશ્વત છે . શું એ મૂર્તિમાં તેજ ભર્યું હશે ? શું એ મૂર્તિમાં ઉર્જા બની હશે ? દેવલોકમાં નિર્માણ પામેલી એ મૂર્તિ અશાશ્વત હોવા છતાં શાશ્વત તરીકે પૂજાતી રહી .
ગઈ ચોવીસીના ત્રીજા તીર્થંકર ભગવાનના સમયે ભવિષ્યવાણી થઈ હતી . એ ચોવીસીના શેષ ૨૧ તીર્થંકર ભગવંતો થયા અને મોક્ષમાં ગયા . તે પછી વર્તમાન ચોવીશી શરૂ થઈ . એના પણ એકવીશ તીર્થંકર ભગવંતો થયા અને મોક્ષમાં ગયા . ત્યાર બાદ વર્તમાન ચોવીસીના બાવીસમા તીર્થંકર થયા . શ્રી નેમિનાથ ભગવાન્ . પ્રભુના એક ગણધર હતા શ્રી વરદત્તજી . એ ગણધર ભગવંતને જોઈને પંચમ દેવલોકના ઇન્દ્રએ શ્રીનેમિનાથ દાદાને પૂછ્યું કે આમણે એવું તે કયું પુણ્ય કર્યું કે તેઓ આપના ગણધર પદે બિરાજમાન થયા ?
શ્રી નેમિનાથ ભગવાને કહ્યું કે પંચમ દેવલોકમાં જે મારી મૂર્તિ બિરાજમાન છે એને પંચમ દેવલોકના જ એક ઈન્દ્રએ રચી હતી અને પંચમ દેવલોકમાં બિરાજમાન કરી હતી . એ ઇન્દ્રએ એ મૂર્તિની એટલાબધા આદરભાવ અને અહોભાવથી આરાધના કરી હતી કે એ પ્રભુભક્તિના પ્રભાવે એમનામાં ગણધર બનવાનું સામર્થ્ય પ્રગટી ગયું . એમણે દેવલોકમાં મૂર્તિ બનાવી અને જેમણે દેવલોકમાં એ મૂર્તિની ઉત્કૃષ્ટ ભક્તિ કરી એ ઈન્દ્ર જ પ્રભુભક્તિના પ્રભાવે અત્યારે વરદત્ત ગણધર બન્યા છે .
દેવલોકમાં બિરાજમાન નેમિનાથ ભગવાનની મૂર્તિની વાત નેમિનાથ ભગવાનના જ શ્રીમુખે સાંભળીને અત્યંત પ્રભાવિત થઈ ગયા ઇન્દ્ર . એમણે ભગવાનને કહ્યું કે પ્રભુ અમે દેવલોકના દેવો તો આપની એ મૂર્તિને શાશ્વત મૂર્તિ માનીને જ પૂજતા આવ્યા છીએ . આજે પહેલી વાર ખબર પડી કે દેવલોકમાં બિરાજમાન આપની મૂર્તિ , એ ઈન્દ્રનિર્મિત પ્રતિમા છે અને શાશ્વત પ્રતિમા નથી .
———————–
આ કથા હજી ઘણી લાંબી ચાલશે પરંતુ અહીં અટકીને થોડુંક વિચારીએ .
૧ . પાંચમા દેવલોકના ઈન્દ્રનો જીવ ભવિષ્યમાં નેમિનાથ દાદા દ્વારા મોક્ષ પામશે , એવી ભવિષ્યવાણી ગઈ ચોવીસીના ત્રીજા તીર્થંકર ભગવાન્ કરે છે .
૨ . એ ભવિષ્યવાણીથી પ્રેરિત થઈને પાંચમા દેવલોકના ઇન્દ્ર દેવલોકમાં જ નેમિનાથ ભગવાનની ભવ્ય પ્રતિમા બનાવે છે .
૩ . માનવલોકમાં બે ચોવીસીના કુલ મળીને ૪૨ તીર્થંકર ભગવંતો થઈ ગયા ત્યાં સુધી શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા દેવલોકમાં પૂજાતી રહી . કેટલો લાંબો સમય ?
૪ . દેવલોકમાં બિરાજમાન શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાના પ્રભાવે ઇન્દ્રનો જીવ , ગણધર ભગવાન્ બનવા સુધીની ઊંચાઈ હાંસિલ કરી શક્યો .
૫ . શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ દેવલોકમાં બિરાજમાન છે એ વાત સ્વયં શ્રીનેમિનાથ ભગવાને પર્ષદાને જણાવી હતી .
૬ . પંચમ દેવલોકમાં બિરાજમાન શ્રી નેમિનાથ દાદાની મૂર્તિ એટલી બધી પ્રભાવશાળી હતી કે જો શ્રી નેમિનાથ ભગવાને સ્વમુખે મૂર્તિ નિર્માણની કથા જાહેર ન કરી હોત તો દેવલોકના દેવો એ ભગવાનની મૂર્તિને શાશ્વત મૂર્તિ જ માનતા રહ્યા હોત . દેવલોકમાં બિરાજમાન મૂર્તિનું કેવું અપ્રતિમ ઉર્જાબળ ?
૭ . શ્રી નેમિનાથ ભગવાન્ , ચ્યવન કલ્યાણક કે જન્મ કલ્યાણક રૂપે અવતરણ પામે તેના અગણિત વર્ષો પહેલાં શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ બની જાય છે એ કેવી આશ્ચર્યજનક બીના છે ? સામાન્ય નિયમ એવો છે કે ભગવાન્ તીર્થંકર બની જાય તે પછી એમની મૂર્તિ બને . આ પ્રભુના વિષયમાં તો એવું બન્યું કે ભગવાનનો જન્મ થયો એ પહેલાં ભગવાનની મૂર્તિ દેવલોકમાં બિરાજમાન થઈ ગઈ અને પૂજાવા પણ લાગી . શું પ્રતિમાનું પુણ્ય ?
આ સાત વાતો યાદ રાખજો .
શું મને મોક્ષ મળશે અને મને મોક્ષ કેવી રીતે મળશે ? આ બે પ્રશ્નમાંથી શ્રી નેમિનાથ દાદાની પ્રતિમાનું અવતરણ થયું છે . તમને પ્રભુના પ્રભાવે મોક્ષ મળશે , એવી પ્રભુવાણીમાંથી શ્રી નેમિનાથદાદાની પ્રતિમાનાં સર્જન થયાં છે . ભગવાનનો પ્રભાવ જાણીએ અને એ જાણવા દ્વારા ભગવાન્ માટેનો અહોભાવ વધારીએ એને ભક્તિ જ કહેવાય છે . કથા , જોકે હજી ઘણીબધી બાકી છે . આજે અહીં અટકીએ .
( content copyright is reserved )
ગિરનાર મહાતીર્થના અધિપતિ શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાની ત્રણ વિશેષતાઓ
આપણે લોકો વર્ષોથી દેરાસર આવીએ છીએ , પ્રભુમૂર્તિનાં દર્શન કરીએ છીએ . આપણે જે જે પ્રભુમૂર્તિનાં દર્શન કરતાં આવ્યા છીએ કે દરેક મૂર્તિની સાથે ત્રણ ત્રણ હકીકત જોડાયેલી રહી છે . એક એ જિનમૂર્તિ માનવનિર્મિત છે . બે , જિનમૂર્તિ માનવ પૂજીત છે . ત્રણ , એ જિનમૂર્તિ માનવ લોકમાં જ બિરાજમાન રહી છે . હવે વિચારો કે કોઈ જૈનમૂર્તિની સાથે ત્રણ હકીકત આ મુજબની જોડાઈ હોય : એ મૂર્તિ દેવનિર્મિત છે , એ મૂર્તિ દેવપૂજિત છે અને એ મૂર્તિ દેવલોકમાં બિરાજમાન રહી છે . આવી મૂર્તિનાં દર્શન કરવા મળે તો કેટલો આનંદ થાય ? આવી મૂર્તિની પૂજા કરવા મળે તો કેટલો આનંદ થાય ? આવી મૂર્તિની આરતી કરવા મળે તો કેટલો આનંદ થાય ?
આપણે લોકો આજની તારીખે જે જે પ્રભુમૂર્તિનાં દર્શન કરીએ છીએ એ પ્રભુમૂર્તિનાં નિર્માણ પાછળ કોઈ આચાર્ય ભગવંતની કે મુનિ ભગવંતની વાણીએ કામ કર્યું હોય છે . હવે વિચારો કે એક જિનમૂર્તિ એવી હોય જેનાં નિર્માણની પાછળ એક તીર્થંકર ભગવાનની વાણીએ કામ કર્યું હોય તો એ મૂર્તિનું માહાત્મ્ય કેટલું મોટું થઈ જાય ? આપણે લોકો આજે જે પ્રભુમૂર્તિનાં દર્શન કરીએ છીએ એ કોઈ શિલ્પીએ બનાવીને સંઘને કે લાભાર્થી પરિવારને સોંપી હોય છે અને સંઘ દ્વારા કે લાભાર્થી પરિવાર દ્વારા એની પ્રતિષ્ઠા સંપન્ન થઈ હોય છે . હવે વિચારો કે એક મૂર્તિ એવી હોય જે સ્વયં શાસનદેવીએ પ્રગટ થઈને માનવ લોકને સોંપી હોય તો એ મૂર્તિની ઉર્જા કેવી પ્રબળ હોય ?
ત્રણ વાતો યાદ રાખજો .
૧ . મૂર્તિ એવી છે જેનું નિર્માણ દેવતા દ્વારા થયું છે અને જેની પૂજા દેવતાઓએ કરી છે .
૨ . મૂર્તિ એવી છે જેના નિર્માણની પાછળ તીર્થંકર ભગવાનની વાણીએ કામ કર્યું છે .
૩ . મૂર્તિ એવી છે જેને શાસન દેવતાએ પ્રગટ કરીને મનુષ્ય લોકને સોંપી છે .
તમને એમ થશે કે આવી મૂર્તિ આજના સમયમાં કંઈ જગ્યાએ છે ? આપણે તરત જઈએ અને આ મૂર્તિનાં દર્શન કરીએ . જવાબ ધ્યાનથી વાંચજો . આ મૂર્તિ આજે ગિરનાર મહાતીર્થનાં મુખ્ય જિનાલયમાં મૂળનાયક તરીકે બિરાજમાન છે . પ્રભુનું નામ છે : મહાપ્રભાવશાળી ત્રિલોકદિવાકર સાક્ષાત્ ચૈતન્યવંત દેવાધિદેવ શ્રી નેમિનાથ ભગવાન્ .
૧ . પાંચમા દેવલોકના ઇન્દ્ર બ્રહ્મ ઇન્દ્રએ પ્રભુની પ્રતિમાનું નિર્માણ કર્યું છે . પાંચમા દેવલોકના અગણિત દેવોએ આ પ્રતિમાને શાશ્વત પ્રતિમા માનીને વર્ષો વર્ષો વર્ષો સુધી ઉપાસના કરી છે .
૨ . ગઈ ચોવીસીના ત્રીજા તીર્થંકર શ્રી સાગર ભગવાનની વાણીના પ્રભાવે પ્રભુની પ્રતિમાનું નિર્માણ થયું છે .
૩ . શાસનસુરી શ્રી અંબિકાદેવીએ આ મૂર્તિને અદૃશ્ય લોકમાંથી પ્રગટ કરીને એક તપસ્વી શ્રાવકને સમર્પિત કરી હતી .
ગિરનારના શ્રી નેમિનાથ ભગવાન્ સાથે પાંચમા દેવલોકના ઈન્દ્રનું વૈક્રિયબળ જોડાયેલું છે .
ગિરનારના શ્રી નેમિનાથ ભગવાન્ સાથે ગઈ ચોવીસીના ત્રીજા તીર્થંકર ભગવાનનું મહામંગલ વચન જોડાયેલું છે .
ગિરનારના શ્રી નેમિનાથ ભગવાન્ સાથે શાસનની અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવીનું જીવંત ઉર્જાબળ જોડાયેલું છે .
તમે ગિરનારના નેમિનાથ ભગવાનની સમક્ષ જ્યારે પણ ઉપસ્થિત થાઓ ત્યારે પ્રભુ સ્વરૂપ તીર્થંકર ભગવાનનાં દર્શન પણ કરજો અને પ્રભુમાં આ ત્રણ ત્રણ મહાન્ તત્ત્વનાં દર્શન પણ અવશ્ય કરજો . ત્રણ વિશેષતાઓની પાછળ જે જે વાર્તાઓ છે એને આપણે આગળ આગળ જોઈશું .
( content copyright is reserved )
ટાઈટેનિક લેસન ૪ : મોટા કામ કરતી વખતે અહંકારની છાયાથી મુક્ત રહેવું બહુ જરૂરી હોય છે
ઈગો મેનેજમેન્ટનું એક પુસ્તક વાંચ્યું હતું . એ પુસ્તક મારી પાસેથી ચોરાઈ ગયું . કોણ ક્યારે ચોરી ગયું ? ખબર જ ના પડી એટલે ફરીથી એ પુસ્તક વાંચવાનો મોકો મળ્યો નહીં . એકવાર વાંચ્યું હતું એમાં એક મુદ્દો યાદ રહી ગયો હતો . આપણને કુદરત કોઈ ને કોઈ શક્તિ જરૂર આપે છે . એવી શક્તિ જે બીજાની પાસે નથી અને આપણી પાસે છે . એવી શક્તિ જે બીજાની પાસે છે એના કરતાં વધારે સારી રીતે આપણી પાસે છે . આપણને મળેલી શક્તિ દ્વારા આપણે કોઈ કામ કરીએ છીએ અને કામ દ્વારા આપણે અહંકાર બનાવીએ છીએ . આવો ક્રમ ચાલતો રહે છે . એટલે કે આપણી શક્તિ આપણા અહંકારને પુષ્ટ કરવામાં વપરાતી રહે છે .
એ પુસ્તકમાં એવું લખ્યું હતું કે તમારી પાસે જે શક્તિ છે એનો ઉપયોગ કરવાની જવાબદારી તમારી છે . તમે તમારી શક્તિનો ઉપયોગ ન કરો એટલે તમે તમારી જવાબદારીને ચૂકો છો . પરંતુ તમારી શક્તિનો ઉપયોગ કર્યા પછી અહંકાર બનાવવાની જવાબદારી તમારી નથી . શક્તિનો ઉપયોગ કરીએ એ જવાબદારી છે . શક્તિનો અહંકાર બનાવીએ એ બેજવાબદારી છે . ઈગો મેનેજમેન્ટનો મુખ્ય મુદ્દો એ છે કે તમે જે પણ કામ કરો તે ફક્ત શક્તિનો ઉપયોગ કરવો છે એટલું જ યાદ રાખીને કરો . જે પણ કામ કરવું છે તે અહંકાર માટે કરવું છે એવો વિચાર બનવા જ ન દો .
એક કામ તમે અહંકારમુક્ત રહીને કરો છો અને એક કામ તમે અહંકારનાં પોષણ માટે કરો છો . બંનેમાં ફરક છે . તમે અહંકાર મુક્ત રહીને કામ કરો છો એનો ફાયદો એ છે કે કામની સાથે તનાવ જોડાતો નથી , હારજીત જોડાતી નથી , લોકોની ચિંતા જોડાતી નથી . અહંકાર મુક્ત મનથી જે કામ કરીએ એ કામમાં આનંદનો પણ અનુભવ થાય છે અને શાંતિનો અહેસાસ પણ મળે છે . અહંકારથી પ્રેરિત થઈને જે કામ કરીએ છીએ એમાં તનાવ આવે છે , હારજીતનો પ્રશ્ન આવે છે , લોકોની ચિંતા આવે છે . અહંકારપૂર્ણ મનથી જે કામ કરીએ એમાં સાત્ત્વિક આનંદ અને વાસ્તવિક શાંતિનો અહેસાસ બનતો નથી .
અહંકારની છાયાથી મુક્ત રહીને લેવાતો નિર્ણય બહુ સંતુલિત હોય છે . અહંકારપૂર્ણ મનથી લેવાતો નિર્ણય મોટેભાગે અસંતુલિત હોય છે . ટાઇટેનિક જહાજ દરિયા ઉપરથી દોડી રહ્યું હતું ત્યારે એની સ્પીડ જરૂર કરતાં ઘણી વધારે હતી . ટાઈટેનિક થોડુંક ધીમું દોડતું હોત તો હિમશિલાની પાસે પહોંચત નહીં . એ હિમશિલા કદાચ બાયપાસ થઈ જાત . ટાઇટેનિક ધીમું દોડતું હોત તો હિમશિલાથી બચવા માટેની કામગીરી કરવામાં આસાની રહેત . ટાઇટેનિક ધીમું દોડતું હોત તો પરિસ્થિતિ ઘણી જુદી હોત . પરંતુ ટાઈટેનિક વધારે પડતી સ્પીડથી ભાગી રહ્યું હતું . એ અહંકાર પ્રેરિત નિર્ણય હતો .
ટાઇટેનિકના કેપ્ટનને એવું લાગતું હતું કે ટાઇટેનિક સૌથી મોટું જહાજ છે આ એક રેકોર્ડ બની ગયો છે . ટાઇટેનિક સૌથી વધારે ઝડપથી દોડતું જહાજ છે એ પણ સાબિત થાય તો બીજો એક રેકોર્ડ બની જાય . વિશ્વનું સૌથી મોટું જહાજ પોતાના કદને કારણે ધીમું ધીમું આગળ વધ્યું એવા સમાચાર એમને મંજૂર નહોતા . ટાઇટેનિકના કેપ્ટનને સમાચાર એ બનાવવા હતા કે વિશ્વનું સૌથી મોટું જહાજ , વિશ્વનું સૌથી ઝડપી જહાજ છે . એક રીતે યશ તો મળી જ ગયો હતો પણ એમને બીજી રીતે પણ યશ જોઈતો હતો . આ મહત્ત્વાકાંક્ષા હતી . મહત્ત્વાકાંક્ષાથી લેવાયેલો નિર્ણય જોખમની પરવા કરતો નથી . મહત્ત્વાકાંક્ષાથી મુક્ત માનસ દ્વારા લેવાયેલો નિર્ણય જોખમને આવવા દેતો નથી . કેપ્ટન અહંકારમુક્ત હોત તો ટાઇટેનિક ધીમા વેગે આગળ વધતું હોત . કોઈ જાનહાનિ કે કોઈ નુકસાન થાત જ નહીં . કેપ્ટનના અહંકારે , કેપ્ટનની મહત્ત્વાકાંક્ષાએ જહાજનો અને પ્રવાસીઓનો ભોગ લઈ લીધો .
તમે કોઈ પણ કામ કરો ત્યારે ભીતરના અહંકારને સંતૃપ્ત કરવાની લાલચ ન રાખો . અહંકાર અને લાલચ ખોટા નિર્ણય કરાવશે . અહંકાર હશે નહીં , લાલચ હશે નહીં , તો ખોટા નિર્ણય થશે નહીં . જે કામ અહંકારને સંતૃપ્ત કરવા માટે થાય છે એ કામ માનસિક શાંતિ આપી શકતું નથી . જે કામ અહંકારથી મુક્ત રહીને થાય છે એ કામ માનસિક શાંતિ આપી શકે છે . તમારે અહંકાર પાળીને અશાંતિ સુધી પહોંચવું છે કે અહંકાર છોડીને શાંતિ સુધી પહોંચવું છે એ તમે નક્કી કરી લો . ધર્મશાસ્ત્રનો ઉપદેશ સ્પષ્ટ છે આશયશુદ્ધિ વિનાનો ધર્મ આત્મા માટે લાભકારી બનતો નથી .
અહંકાર પ્રેરિત પ્રવૃત્તિમાં આ માનસિકતા જોવા મળે છે : બીજા કોઈએ ન કર્યું હોય એવું બેસ્ટ કામ કરવું છે , દુનિયામાં આપણો ડંકો વાગવો જોઈએ , હું જે કરું એવું બીજા કોઈ ના કરી શકે , હવે પછી સૌથી વધારે પ્રશંસા આપણી જ થશે . અહંકારની છાયાથી મુક્ત પ્રવૃત્તિમાં આ માનસિકતા જોવા મળે છે : મારી પાસે જેટલી શક્તિ છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવો છે . દુનિયામાં મોટા કામ કરવાવાળા ઘણા બેઠા છે , આપણે નાના માણસ છીએ . જે કરવું છે એ બધું હમણાં જ કરી લેવું છે , પાછળથી કોઈ અફસોસ ના રહેવો જોઈએ . બેય માનસિકતામાં ફરક છે તે સમજાય છે . મોટા કામ કરતી વખતે અહંકારની છાયાથી મુક્ત રહેવું બહુ જરૂરી હોય છે . મોટા કામ કરવાનો મોકો બધાને મળતો નથી . જેને આ મોકો મળે છે એ નસીબદાર હોય છે . જેણે મોટું કામ અહંકાર મુક્ત રહીને કર્યું હશે એને મોટું કામ કરવાનો મોકો વારંવાર મળશે . જેણે મોટું કામ , અહંકાર ઉભો રાખીને કર્યું હશે એને મોટું કામ કરવાનો મોકો બીજી વાર મળશે નહીં .
ભૂલ થાય તે પછી ભૂલમાંથી શીખવાનું હોય . ભૂલ ન થાય એ સર્વશ્રેષ્ઠ . માનો કે ભૂલ થઈ , હવે શું ? ભૂલનું પરિણામ ભોગવવાનું અને પછી ભૂલમાંથી કંઈક શીખવાનું . ટાઇટેનિકના કિસ્સામાં જેમણે ભૂલનું પરિણામ ભોગવ્યું એ જીવતાં ન બચ્યા . જે બચ્યા હતા એ ભીષણ ત્રાસદીને લીધે સૂનમૂન થઈ ગયા હતા . સમાચારો આખી દુનિયામાં ફેલાયા . ચાર વરસ પહેલાં દૈનિક ભાસ્કરમાં પદ્મનાભ લખે છે કે टाइटैनिक पर 64 जीवनरक्षक नौकाएं आ सकती थीं, लेकिन जहाज़ पर सिर्फ़ 20 नौकाएं थीं। इनमें से कई नौकाओं में पूरी क्षमता से लोग नहीं बिठाए गए थे। पहली नौका में 28 लोग थे, जबकि जगह उसमें 65 लोगों की थी । કોઈ મોટી ઘટના થઈ જાય એ પછી એનું વિશ્લેષણ કરવામાં આવે છે . દારૂણ ઘટનાઓમાંથી ઘણા બોધપાઠ મળતા હોય છે .
એક ભ્રમણા પાળી લેવામાં આવી હતી કે Titanic ડૂબવાનું જ નથી . જેમ એક જૂઠ દસ જૂઠને ખેંચી લાવે છે એમ એક ભ્રમણા દસ ભ્રમણાઓને ખેંચી લાવે છે . દરિયાવાટે નીકળેલું જહાજ ડૂબવાનું હોય ત્યારે બચાવ માટે લાઈફ બોટ રાખવામાં આવે છે . મોટા જહાજમાં જેટલા યાત્રાળુ હોય એ દરેકને નાની નાની લાઈફ બોટમાં લઈ જઈ શકાય એવી વ્યવસ્થા કોઈ પણ જહાજ પર હોય જ છે . આ એટલી કોમન વાત છે કે આ વ્યવસ્થા ટાઇટેનિક પર હતી નહીં એ માનવામાં આવે જ નહીં . પણ મુખ્ય વાત ભ્રમણાની છે . લાઈફ બોટની જરૂર ક્યારે પડે ? જહાજ ડૂબવાનું હોય ત્યારે . ટાઈટેનિક થોડી ડૂબે ? ટાઇટેનિક ડૂબવાનું જ નથી એ ધારણાને લીધે લાઈફબોટ્સ ઓછી લેવામાં આવી હતી . રાખવી જોઈતી હતી ૬૪ . રાખી હતી ૨૦ . એક સર્વ સામાન્ય વ્યવસ્થા પણ ટાળી દેવામાં આવી હતી .
ધ્રુવ રાઠી જણાવે છે કે ટાઈટેનિક ડૂબી ના શકે આ માન્યતા જડબેસલાક રીતે પ્રવાસીઓનાં મનમાં ફીટ થઈ ગઈ હતી . જહાજ હિમખંડને ટકરાયું એ પછી પણ ઘણાખરા લોકો એમ જ માનતા હતા કે ભલે અકસ્માત્ થયો પણ જહાજ તો ડૂબવાનું જ નથી . ૨૦ લાઇફ બોટમાંથી પહેલી લાઈફ બોટ પાણીમાં ઉતરી ત્યારે એમાં ૬૫ લોકો બેસી શકતા હતા એને બદલે ફક્ત ૨૮ લોકો જ બેઠા . જહાજના સંચાલકોની બેદરકારી જુઓ . તેમને ખબર હતી કે જહાજ ડૂબી રહ્યું છે તેમ છતાં તેમણે બોટને અડધોઅડધ ખાલી રહેવા દીધી . એ બોટમાં ફક્ત શ્રીમંતોએ જ બેસવાનું હતું એવો પણ વિચાર હતો અને ઘણાખરા પ્રવાસીઓને લાગતું હતું કે જહાજને કાંઈ જ થવાનું નથી એવી ભ્રમણા પણ હતી .
બેદરકારી શબ્દ આપણે નાનપણથી શીખેલા છીએ . જે કામ આપણે કરી શકતા હોઈએ એ કામ ધરારથી ના કરીએ . જે કામ કરવું જરૂરી હોય છે એ કામ ન કરવાનું બહાનું શોધી કાઢીએ . ઉપેક્ષાવૃત્તિ માણસનાં મનમાં ક્યાંથી પ્રગટ થતી હશે , સમજાતું નથી . કોઈ કામ આપણે ભૂલી જઈએ એ અલગ સમસ્યા છે . પરંતુ કોઈક કામ એવા હોય છે , એ આપણે ભૂલતા નથી પરંતુ જાણી જોઈને એ કામ કરવાનું ટાળી દેતા હોઈએ છીએ .
આજે આઠમ છે યાદ હોય છે . હું ઉપવાસ કરી શકું છું , યાદ હોય છે . છતાં ઉપવાસ કરવાનું ટાળી દઈએ છીએ . ઉપેક્ષા . પ્રતિક્રમણ ઊભા ઊભા કરવું જોઈએ ખબર હોય છે . તબિયત સારી હોય છે . એમ છતાં પ્રતિક્રમણ બેઠા બેઠા કરી લઈએ છીએ . ઉપેક્ષા . સવારે સમયસર ઉઠી જઈએ છીએ . પૂજા કરવા જઈ શકીએ એટલો સમય હોય છે આપણી પાસે . તેમ છતાં ટીવી કે મોબાઇલમાં સમય પસાર કરી દઈએ છીએ . ઉપેક્ષા . મારી પાસે જાપ કરવાનો સમય છે ખબર હોય છે છતાં આપણે નવકારનો જાપ કરતા નથી . ઉપેક્ષા . આપણી પાસે પૈસા હોય છે . કોઈ એક સારું કામ કરી શકીએ એવો મોકો પણ મળતો હોય છે . પરંતુ આપણે પૈસા પોતાની પાસે જ રહેવા દઈએ છીએ . ઉપેક્ષા . તમે જ્યારે કોઈ ઉપેક્ષા કરો છો ત્યારે તરત જ એ ઉપેક્ષા તમને નડે છે એવું બનતું નથી . ઉપેક્ષા કરી ત્યારે તો એમ જ લાગે છે કે કોઈ ફરક ના પડ્યો . Titanic નીકળ્યું ત્યારે એમ જ લાગ્યું હતું કે કોઈ ફરક નથી પડતો . જહાજ ડૂબવાનું જ નથી .
પરંતુ જ્યારે કોઈ આફત આવે છે ત્યારે સમજાય છે કે જેની ઉપેક્ષા કરી છે એની ઉપેક્ષા કરવા જેવી નહોતી . આપણે પડોશીઓનું ઉપેક્ષા કરીએ છીએ . પરિણામે સંકટના સમયે એકલા પડી જઈએ છીએ . આપણે સંઘની ઉપેક્ષા કરીએ છીએ પરિણામે મોટી આરાધનાઓથી અને સામૂહિક આરાધનાઓથી વંચિત રહી જઈએ છીએ . આપણે તપની ઉપેક્ષા કરીએ છીએ પરિણામે જે કર્મો ખપી શકતા હતા એ કર્મો ખપાવવાના રહી જ જાય છે . આપણે સારા સમાચારની ઉપેક્ષા કરીએ છીએ , પરિણામે મોટી મોટી અનુમોદનાઓથી વંચિત રહીએ છીએ .
કોઈપણ પ્રવૃત્તિ સાથે જોડાયા હોઈએ ત્યારે એ પ્રવૃત્તિની સાથે જો નાનામોટા એકસો કામ જોડાયેલા હોય છે તો એ એકસોએ એકસો કામ પૂરા કરી લેવા જોઈએ . ૯૧ કે ૯૨ કામ કરીને અટકી ગયા તો તરત કોઈ નડતર દેખાશે નહીં . પરંતુ કોઈ બીજો માણસ એ જ પ્રવૃત્તિ કરશે અને એ પ્રવૃત્તિ સાથે જોડાયેલા સોએ સો કામને એ પૂરા કરી લેશે ત્યારે તમે પાછળ રહી જશો અને એ આગળ નીકળી જશે . તમે કરેલી ઉપેક્ષા તમને જ ભારે પડશે . તમારામાં જે જે કામ કરવાની આવડત છે એ દરેક આવડતનો કોઈને કોઈ ઉપયોગ કરતા રહેજો . ક્યારે કંઈ આવડત કંઈ રીતે ઉપયોગી બનશે એના તમને અંદાજ નથી . જે આવડત વપરાતી રહે છે એ આવડતને ઉપેક્ષાનો ઘસારો લાગતો નથી . જે આવડત વપરાતી નથી એને ઉપેક્ષાનો ઘસારો લાગે છે . આપણી આવડત આપણી પોતાની ઉપેક્ષાને કારણે જ નકામી બની જાય એવું શું કામ કરવું ? લખતાં આવડે છે તો લખો . ગાતાં આવડે છે તો ગાઓ . ભક્તિ કરતાં આવડે છે તો કરો ભક્તિ . ગાથા ગોખતાં આવડે છે તો ગોખો ગાથા . લખવાની ઉપેક્ષા કરશો તો લખવાનો મોકો આવશે ત્યારે લખવાનું સૂઝશે નહીં . ગાવાની ઉપેક્ષા કરશો તો ગાવાનો અવસર આવશે ત્યારે ગાવાનું ફાવશે નહીં . તમે જેની ઉપેક્ષા કરો છો એને કુદરત તમારાથી દૂર લઈ જાય છે . તમે જેની ઉપેક્ષા નથી કરતા એને કુદરત તમારી સાથે રાખે છે . તમને કોઈ વસ્તુ ન મળી હોય એ ગરીબી છે . તમને મળેલી વસ્તુની તમે ઉપેક્ષા કરતા રહો એ બેદરકારી છે .
ટાઈટેનિક લેસન થ્રી કહે છે કે ગરીબી ગુનો નથી . બેદરકારી ગુનો છે . તમને મળેલી તકની ઉપેક્ષા નહીં કરતા . એ તક બીજીવાર ન પણ મળે . ઉપેક્ષા કરનારો પાછળથી બહુ પસ્તાય છે અને એ પસ્તાવો સહન કરવાનું ખૂબ અઘરું પડે છે .
