અગ્નિભૂતિ અને વાયુભૂતિ ચરણ
આજે હું કારતક સુદ એકમની ભૂમિ ઉપર છું , બેસતાં વર્ષની ભૂમિ ઉપર . જ્યારથી ધર્મ સમજાયો છે ત્યારથી દર બેસતાં વર્ષે નવસ્મરણ સાંભળ્યા પછી શ્રી ગૌતમ સ્વામીજી મહારાજાનો રાસ સાંભળ્યો છે . બેસતાં વર્ષે રાસ શું કામ સાંભળવાનો આ પ્રશ્ન ગુરુ ભગવંતને પૂછ્યો હતો . જવાબ મળ્યો હતો કે કારતક સુદ એકમના દિવસે શ્રી ગૌતમ સ્વામીજી મહારાજાને કેવળજ્ઞાન થયું હતું એની યાદમાં રાસ વાંચવામાં આવે છે . બેસતાં વરસના દિવસે ગૌતમ રાસને લાખો લોકો સાંભળે છે . એમાંથી આખા વર્ષ દરમિયાન ફક્ત એક લાખ લોકો જ ગૌતમ સ્વામીજી મહારાજાની કેવળજ્ઞાનની ભૂમિ ઉપર આવે છે . સરેરાશ દર મહિને ૯૦૦૦ યાત્રાળુઓ . ગૌતમ રાસની આ પંક્તિઓ મનમાં રમતી હતી :
તિણ સમે એ ગોયમ ચિત્ત , રાગ વૈરાગે રાગ વાલિયો એ
આવતો એ જો ઉલ્લટ્ટ , રહિતો રાગે સાહિયો એ
કેવલ એ નાણ ઉપ્પન્ન , ગોયમ સહિજ ઉમાહિઓ એ
તિહુઅણ એ જયજયકાર , કેવલ મહિમા સુર કરે એ
ગણધરુ એ કરય વખાણ , ભવિયણ ભવ એમ નિસ્તરે એ
લછવાડની ભૂમિ એટલે મા ત્રિશલાની ભૂમિ . લિચ્છવી પાટક જૂનું નામ . ભારત દેશમાં અત્યારે ગણતંત્ર પ્રવર્તે છે . ભારત દેશ પર જ્યાં સુધી મુસ્લિમોએ રાજ કર્યું , ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રાજ્ય કર્યું અને બ્રિટિશની રાણીએ રાજ કર્યું ત્યાં સુધી ગણતંત્ર જેવું કશું હતું નહીં . ચેટક રાજાના જમાનામાં વૈશાલીમાં ગણતંત્ર મૌજૂદ હતું . ધૂમકેતુએ વૈશાલીની નવલકથામાં એ જમાનાની વોટિંગ સિસ્ટમનું વર્ણન કરેલું છે . ત્રિશલામાતા વૈશાલીના રાજાના પરિવારમાંથી આવેલા . ત્રિશલામાતાએ વૈશાલીની પ્રજાની સાથે આત્મીય સંબંધ બનાવેલો હતો . એટલે એમનામાં મિજાજ વૈશાલીના રાજા જેવો હતો અને સમર્પણ વૈશાલીની પ્રજા જેવું હતું .
ક્ષત્રિયકુંડનાં રાજ્યમાં વૈશાલી સંસ્કૃતિથી અલગ વાતાવરણ હતું . લછવાડની ભૂમિ પર વૈશાલી સંસ્કૃતિના વિચારો આવતા રહ્યા . અહીં જિનાલય પ્રાચીન છે . શિખરની રચના કંઈક અલગ જ છે .
સિદ્ધાર્થ રાજા અને ઋષભદત્ત બ્રાહ્મણ આજુબાજુમાં બેસીને વાતો કરતા હોય એવાં દૃશ્યની કલ્પના કરો . ત્રિશલા માતા અને દેવાનંદા માતા એકસાથે બેઠા હોય એવું દૃશ્ય કલ્પનામાં લાવી જુઓ . ક્ષત્રિયકુંડ અને લછવાડની વચ્ચે કુંડઘાટ છે : બહુવારિ નદીનો કિનારો . પ્રભુ વીરની જન્મ ભૂમિ પહાડની ઉપર છે . પહાડ પરથી નીચે ઉતરો ત્યાં નદી છે . પહાડની તળેટીમાં બે ધવલ દેવવિમાન ઊભા છે . એક છે ચ્યવન કલ્યાણક મંદિર . બીજું છે દીક્ષા કલ્યાણક મંદિર . પાલીતાણામાં જે રીતે અજિત શાંતિની દેરીઓ છે એ રીતે આ યુગ્મ ચૈત્ય .
આજનો દિવસ અલૌકિક . આજે પ્રભુ વીરની જન્મભૂમિની સ્પર્શના થઈ . જીવનના એકેએક શ્વાસ ઉપર જે પ્રભુનો હક છે એ પ્રભુએ આ ભૂમિ પર પ્રથમ શ્વાસ લીધો . જીવનની એકેએક ક્ષણ સાથે જે પ્રભુએ ચૈતન્ય જોડ્યું છે તે પ્રભુનાં જીવનની પ્રથમ ક્ષણ કલ્યાણક બનીને અહીં ઉગી . દેવાનંદાજીની કુક્ષિમાં કાયાનો પ્રથમ અંકુર ફૂટ્યો એ ક્ષણ એટલે ચ્યવન . ત્રિશલાજીની કુક્ષિએથી માનવલોકમાં પ્રથમ પહેલી વાર પગ મૂક્યો એ ક્ષણ તે જન્મ . એક ક્ષણમાં આપણે ખુદને પણ સુખ આપી શકતા નથી અને અન્ય કોઈને પણ નહીં . પ્રભુએ એક ક્ષણમાં ત્રણ લોકને સુખ આપી દીધું . જે આખી દુનિયાને સુખ આપી શકે એ સ્વયં કેટલોબધો સુખી હશે ? અને જે અવતરણની કે જન્મની પહેલી જ ક્ષણે આટલો બધો સુખી હોય તે આગળનાં જીવનમાં કેટલો મોટો સુખી થયો હશે ? સમજવાની વાત છે . ક્ષત્રિયકુંડની ભૂમિએ અનંત સુખની પ્રસ્તાવના તરીકે આર્હન્ત્યનું સુખ જોયું છે . આર્હન્ત્ય એટલે અપરિસીમ ઊર્જા . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ ઉર્જા છે . આર્હન્ત્ય એટલે પરમોત્કૃષ્ટ પવિત્રતા . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ પવિત્રતા છે . આર્હન્ત્ય એટલે અધધધધધધધ શક્તિ . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ શક્તિ છે . આર્હન્ત્ય એટલે સકલ વિશ્વવ્યાપિની કરૂણા . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ કરુણાનાં જીવંત સ્પંદન છે . આર્હન્ત્ય એટલે વિશ્વ ઉદ્ધારક બળ . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ બળ સિંચાએલું છે . આર્હન્ત્ય એટલે એવી અપરાજેય નિર્લેપતા જે રાગને અને દ્વેષને ખતમ કરીને જ જંપે છે . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ નિર્લેપતાની ઝાંખી છે . નંદન મુનિના ભવમાં એ આર્હન્ત્ય નિર્ધારિત થયું . આર્હન્ત્ય એટલે પાતાલલોક , માનવલોક અને દેવલોક પરનું આધિપત્ય . भूर्भुवस्स्वस्त्रयीशानम् , સકલાર્હત્ સ્તોત્ર ફરમાવે છે . ક્ષત્રિયકુંડની ભૂમિએ આધિપત્યનો પરમ સ્પર્શ મેળવ્યો છે . ક્ષત્રિયકુંડની ભૂમિ એ આર્હન્ત્યની ભૂમિ છે . આર્હન્ત્ય કાયા રૂપે અવતર્યું એ વર્ધમાન ભગવાન્ . એ કાયા જે ભૂમિને સ્પર્શે એ ભૂમિમાં અસંખ્ય તીર્થોનું ઘન તત્ત્વ અવતરે . ક્ષત્રિયકુંડની ભૂમિમાં એ ઘન તત્ત્વ વસે છે . આર્હન્ત્ય વાણી રૂપે અવતર્યું એ વર્ધમાન ભગવાનનો અમૃતનિ:સ્યંદી અવાજ . એ અવાજ જ્યાં ગુંજે ત્યાં પાવનતા પાંગરતી આવે . ક્ષત્રિયકુંડની હવામાં એ પાવનતાના અણુ પરમાણુ વસે છે . આર્હન્ત્ય ભાવના રૂપે સ્ફુરણા પામ્યું એ વર્ધમાન ભગવાનનો વૈરાગ્યવાહી વાત્સલ્ય ભાવ . એ વાત્સલ્ય જેમને જેમને મળે એનો આત્મા ધન્ય બની જાય . ક્ષત્રિયકુંડનાં વાતાવરણમાં એ વાત્સલ્ય આજે પણ અકબંધ જીવે છે . અહીં જે આવે તે ધન્ય બની જાય છે . આજે આર્હન્ત્યની આ ભૂમિને નજરથી નિહાળી , શ્વાસથી જુહારી , કાયાથી સ્પર્શી , આંગળીઓથી અડકી , લાગણીઓથી વધાવી . એમ લાગે છે આજે જીવનને અભિનવ અવતાર મળ્યો .
કષ્ટમય મનુષ્યલોકથી આનંદમય સ્વર્ગલોકની યાત્રાનો અનુભવ એટલે શિખરજીની યાત્રા
શિખરજીની યાત્રા . કષ્ટમય મનુષ્યલોકથી આનંદમય સ્વર્ગલોકની યાત્રાનો અનુભવ છે . મનુષ્ય લોકમાં ઘણી બધી તપસ્યા કરવાની , ઘણાં ઘણાં કષ્ટ સહન કરવાના . તપસ્યા અને કષ્ટ દ્વારા કર્મનિર્જરા થાય . એનાં ફળ સ્વરૂપે સ્વર્ગ મળે . એ સ્વર્ગનું નામ શિખરજીનું શિખર .
નવ કિલોમીટરનું આરોહણ સહેલું નથી . પગલે પગલે થાક વધે . ભીડ ઘણી રહે છે . કાનને કોલાહલ સતત ટકરાયા કરે . મોટાભાગના લોકો આધ્યાત્મિક ન હોય એવી જ વાતો કરતા હોય . આપણને પ્રભુના વિચાર કરવા હોય પણ એમની વાતો કાનોકાન અફળાતી હોય એટલે પ્રભુ સાથે મગન થવામાં અડચણ અનુભવાય . પહાડ જેટલો મોટો છે , માર્ગ જેટલો લાંબો છે એને મુકાબલે એ મારગનો પનો ટૂંકો છે . વારંવાર યુ-કટ વળાંક પણ આવે . એકસાથે ચાર લોકો ચાલે એટલામાં રસ્તો બ્લોક થઈ જાય . એમાં પાછા ડોલીવાળા . ચાર જણા ઊંચકે એવી ડોલી વધારે આવે . બે જણા ઊંચકે એવી ડોલી પણ આવે . આપણે ચડતા હોઈએ ત્યાં ખભાની વચ્ચે ડોળીના લાંબા વાંસડા ઘૂસી આવે . આપણે ચાલતા હોઈએ તો પગનાં ઘૂંટણની વચ્ચે એમની લાઠી ફસાય . પડતાં પડતાં માંડ બચીએ . એમનાં મોઢેથી બીડી અને દારૂની વાસ ગંધાતી હોય . સહન કરવી જ પડે . આગળ નીકળવાવાળા આપણને ધક્કો મારીને આગળ જાય . જેમનાથી આપણે આગળ નીકળીએ એ લોકોના ખભે આપણો ખભો ઘસાય . વિજાતીયના સંઘટ્ટાથી બચવું પડે . આપણને થાક ચડ્યો હોય એનાથી વધારે થાક અમુક બીજાઓને લાગ્યો છે એ પણ દેખાય . આપણે જેટલા થાક્યા છીએ એટલો થાક અમુક બીજાઓને નથી લાગ્યો એ પણ દેખાય . રસ્તો કાચો છે , પથરાળ છે , ઊંચો છે , અઘરો છે , લાંબો છે . ફિટનેસ ટેસ્ટ માંગી લે છે . કઠિન પહાડ પર જે ચડી ગયા તેને હાર્ટ પ્રોબ્લેમ નથી એ પાક્કું . હું હાંફતો રહ્યો પણ છેવટે આરોહણ સંપન્ન થયું . જાણે કાર્ડિયાક સ્ટ્રેસ ટેસ્ટ પૂરો થયો .
હવે નજર સામે કેવળ સ્વર્ગ હતું . ડાબા હાથે દૂર દેખાતી હતી પારસનાથજીની ટૂંક . જમણા હાથે દૂર હતી ચંદ્રપ્રભજીની ટૂંક , જે દેખાતી નહોતી . ત્રીસ ટૂંક છે એ જાણે ત્રીસ દેવવિમાન . ચોતરફ દિગંતમાં અનંત આકાશ . એમ જ લાગે કે માનવ લોક નીચે રહી ગયો છે અને આપણે ઉપર છીએ , ઉપરવાળાની એકદમ નજીકમાં . ઊર્ધ્વ દિશાએ અનંત અવકાશ છે , એના છેવાડે છે સિદ્ધશિલા . એમાં બેસેલા અનંત આત્માઓમાંથી કેટકેટલા આત્માઓ એવા છે જે શિખરજી પરથી જ સીધા ત્યાં પહોંચ્યા છે . એ પ્રત્યેક આત્માને , પરમ આત્માને વંદન કરવા માટે શિખરજીની યાત્રા કરવાની હોય છે . જે ભૂમિએ એ આત્માઓને સિદ્ધશિલાનો માર્ગ બનાવી આપ્યો એ ભૂમિની સ્પર્શના કરવી હતી .
પહાડ પર પહોંચ્યા બાદ આરામ કરવો હતો . સામે જ નવનિર્મિત ઉપાશ્રય હતો . એમાં વિશ્રામ કર્યો . તે દિવસે એકથી વધુ સંઘો આવ્યા હતા . પર્વતરાજ પર બે હજારથી વધુ ભક્તોની ભીડ ભેગી થઈ હતી . શ્રી ગૌતમ સ્વામીજીની ટૂંકમાં ભારે ધસારો હતો . આખું ચોગાન લોકોથી ઢંકાયેલું હતું . ઘણાઘણા ડોલીવાળા લાઈન લગાવીને બેસી ગયા હતા . ચાલવાની પણ જગ્યા નહોતી . દરેક દેરીએ ભક્તોનાં ટોળાં જામી પડ્યાં હતાં . મારે દરેક દેરીએ મૂળ જિનાલય જેવી શાંતિથી ચૈત્યવંદન કરવું હતું , સ્તવન ગાવું હતું અને જાપ કરવો હતો . આટલા ઊંચે આવ્યા પછી કોઈપણ દેરીએ ઉતાવળ કરીએ તે કેમ ચાલે ? વીસ પ્રભુનાં કલ્યાણકની દેરીઓમાંથી અઢાર દેરીઓ સાવ નાની છે . દેરી નાની છે એટલે સ્થાન નાનું છે , સ્થાન નાનું છે એટલે ઓછા સમયમાં પતાવી દેવાય એવી માનસિકતા બનતી હોય છે , જે ભૂલ ભરેલી હોય છે . દરેક નાની દેરીના નાનકડા ગુંબજની ઉપર છેક સિદ્ધશિલામાં એ જ ભગવાનનો સિદ્ધ આત્મા બિરાજમાન છે જેમના ચરણપાદુકા દેરીની ભીતરમાં જોવા મળે છે . તે તે પ્રભુ પોતાના સમયકાળના એકમાત્ર મૂળનાયક હતા . એમનાં કલ્યાણકોએ ત્રણ લોકના જીવોને સુખનું સ્પંદન આપ્યું હતું . એમના અભિષેક મેરુપર્વત પર થયા હતા . એમના સમવસરણમાં અગણિત જીવોના ઉદ્ધાર થયા હતા . એમનો શ્રમણ પરિવાર , શ્રમણી પરિવાર , શ્રાવક પરિવાર , શ્રાવિકા પરિવાર અને ભક્ત પરિવાર ઘણો જ વિશાળ હતો . તે તે પ્રભુ થકી ચિરસ્થાયી યુગપ્રવર્તન થયા હતા . તીર્થંકર એ તીર્થંકર હોય છે . કલ્યાણક એ કલ્યાણક હોય છે . તીર્થંકરની સાથે ઉતાવળ ન હોય , કલ્યાણક ભૂમિની સાથે હડબડી ન કરાય . મારે કોઈ તીર્થંકરની સ્પર્શના ઉતાવળમાં પતાવવી નહોતી . એક મોટા સંઘનાં મુખ્ય દેરાસરમાં બિરાજમાન મૂળનાયક ભગવાનને જેટલો સમય અપાય , જેટલો આદર અપાય એટલો સમેતશિખરજીની વીસેવીસ કલ્યાણક દેરીઓને આપવો જોઈએ . કોઈપણ દેરી બે મિનિટમાં પતાવી દેવાય નહીં . સૂત્ર ઉતાવળ કર્યા વગર જ બોલવાના . સ્તવન લંબાણપૂર્વક જ ગાવાના . જાપ નિરાંતે જ થવા જોઈએ . ભીડ ઘણી જ વધારે હતી એટલે કોઈ પણ દેરી પર આરામથી બેસી શકાય એવું લાગતું નહોતું . ઉપાશ્રયમાં વિસામો લીધો અને રાહ જોઈ . બપોરે બે વાગ્યા પછી ભીડ ઓછી થઈ અને યાત્રા શરૂ કરી .
સૌપ્રથમ શ્રી કુંથુનાથ ભગવાનની દેરી . ચરણપાદુકાની આસપાસ દિગંબરોએ ચડાવેલા ચોખાઓનો મોટો ઢગલો બનેલો હતો . ચોખા ચરણપાદુકા ઉપર પણ પથરાયા હતા . આશ્ચર્યની વાત એ હતી કે ચરણપાદુકાની ઉપર એક ખુલ્લી ચિઠ્ઠી પડી હતી . સંકોચપૂર્વક ચિઠ્ઠી ઉઠાવી અને વાંચી . કોઈએ ખરેખર ભગવાનને જ પત્ર લખ્યો હતો . શું લખ્યું હતું ? કાલે વાત ….
શિખરજીનો પહેલો બોધપાઠ : થાક લાગે તો થોડા સમય માટે અટકી શકાય , પણ કામ છોડી ન દેવાય
( અંગ્રેજી તારીખિયા અનુસાર બે હજાર પચ્ચીસનું વરસ આજે શરૂ થયું . આપણું બેસતું વરસ તો કાર્તિક સુદ એકમના દિવસે શરૂ થઈ ગયું છે . આજના દિવસથી એક નવી યાત્રા શરૂ થાય છે . રોજ મળશું . )
ઘણું અઘરું હતું . બધાએ જ કહ્યું હતું કે તમે આ પહાડ ચડી નહીં શકો . સીધું ચઢાણ છે . લાંબો રસ્તો છે . એક સરખા પગથિયાં નથી . એકસરખો સિમેન્ટ રોડ પણ નથી . એકસરખી ઉખડ બાખડ જમીન પણ નથી . એકસરખું બધું જ અઘરું છે એવું પણ નથી . એકસરખું સહેલું નથી એ વાત પાકી છે . જુવાનજોધ માણસના ફેફસાં પણ ફાટવા લાગે એવો મારગ છે . ચડવાનું અઘરું છે એને ઉતરવાનું પણ અઘરું જ છે . યાત્રા લાંબી છે એટલે સમય પણ ઘણો લાગી જાય છે . આથી થાક પણ ઘણો જ લાગતો હોય છે , એય પાછું અઘરું જ છે . એટલે યાત્રા કરવા માટે નીકળ્યો ત્યારે મનમાં ડર ભરેલો હતો . વિચારેલું કે જેટલું ચડાશે એટલું ચડીશ . પછી એમ લાગશે કે નથી ચડાતું તો ધીમે ધીમે પાછો ઊતરી જઈશ . ડોલીમાં બેસીને ચડવાનો વિચાર હતો નહીં . ચડવું તો પગેથી ચડવું એવી ધારણા હતી . આ ધારણાને લીધે ડર હતો કે – નહીં ચડાયું તો વિલે મોઢે પાછા જવું પડશે . પરંતુ વિક્રમ સંવત્ બે હજાર એક્યાસીની સાલમાં માગશર વદ દશમે મારી ડાયરીમાં આ શબ્દો લખાયા હતા : હું આજે સ્વર્ગનો સ્પર્શ અનુભવી શકું એવી ઊંચાઈ પર છું . હું સમેતશિખરના શૃંગે છું . આ તપોભૂમિ છે . વીશ વીશ તીર્થંકર ભગવાને અહીં અંતિમ ઉપવાસ એવા કર્યા જેનાં પારણાં થયાં જ નહીં . સમેતશિખરજીથી જે અણહારી અવસ્થાનો પ્રારંભ થયો તે અણહારી અવસ્થા આજે સિદ્ધશિલામાં પણ પ્રવર્તમાન છે . આઠ કર્મો સામેની લડાઇમાં ઘાતીકર્મનો નાશ થાય એ પહેલી જીત છે . એ જીત પછી કેવલ જ્ઞાન થતું હોય છે . કોઈ એક જ ભૂમિ પર વીશ વીશ તીર્થંકરને કેવલજ્ઞાન થયું નથી . આઠ કર્મો સામેની લડાઇમાં અઘાતીકર્મનો નાશ થાય એ આખરી જીત છે . એ આખરી જીત પછી મોક્ષ મળે છે . વીશ વીશ પ્રભુએ આખરી જીત આ પર્વતરાજ પરથી મેળવી છે . એને લીધે આ પર્વતને મહાતીર્થાધિરાજ તરીકેનું ગૌરવ મળે છે . આ ચમત્કાર કેવી રીતે થયો ? મને આજ સુધી સમજાયું નથી પણ હકીકત એ છે કે હું પોષ દશમીની ત્રણેય રાત સમેતશિખરજી મહાતીર્થના ખોળે સૂતો હતો . પહેલી રાત કલિકુંડ જિનાલય પાસેની ધર્મશાળામાં . બીજી અને ત્રીજી રાત જલમંદિરની પાસેની નાનકડી ઓરડીમાં .
માગસર વદ નોમના દિવસે સવારે ઋજુવાલિકાથી વિહાર કર્યો હતો . મધુબનમાં શામળિયા પાર્શ્વનાથ ભગવાનના ભાવપૂર્વક દર્શન કર્યાં . બપોરે ચાર વાગે પહાડ પર આરોહણ શરૂ કર્યું . થોડીવારમાં જ કલિકુંડ જિનાલય આવી ગયું . સૂર્યાસ્ત પહેલાં પહોંચી જવાયું . નાની ધર્મશાળામાં રાતવાસો મળ્યો . પહાડ પરની રાત રોમાંચક હતી . શહેર દૂર હતું . વસતિ નહિવત્ . શિખરજી વિશે ઘણું વાંચ્યું છે , શાસ્ત્રોમાં , ઈતિહાસમાં , પુસ્તકોમાં . ઋજુવાલિકા – નંદપ્રભા સંકુલમાંથી , છેક ૧૮ કિલોમીટર દૂરથી આ પર્વતરાજનાં દર્શન થાય છે . આવા વિરાટ પહાડ પર ચડવાની લાગણી હંમેશા બનતી . દરવખતે , ડુંગરા દૂરથી રળિયામણા – એ કહેવત જ યાદ આવતી . દૂરથી જોવાનું સહેલું છે . નજીક આવીને ચડવાનું ઘણું અઘરું છે . જોકે ઘણાય યુવાનો ઝડપથી ચડી જાય છે . પણ એવા લોકોનેય જોયા છે જે ચડવાનું અધૂરું છોડીને પાછા નીચે ઉતરી ગયા . આવતીકાલે મારી હાલત પણ આ જ થવાની છે એવું લાગતું હતું . મનમાં ઘણી જ ખુશી હતી કે પર્વતરાજની ઉપર રાતનો સમય રોકાવા મળ્યું છે . જેમણે જેમણે વારંવાર યાત્રા કરી છે એમનાં મોઢે સાંભળ્યું હતું કે કલિકુંડ પછી થોડુંક ચાલવાનું છે અને એના પછી જ ખરેખર અઘરું ચડાણ શરૂ થાય છે . જેટલું ચડી ગયા એનો કોઈ આનંદ મનમાં હતો નહીં . જે ચડવાનું બાકી છે એનો ખૌફ જ મનમાં જાગી રહ્યો હતો . દેરાસરમાં ચૈત્યવંદન કર્યું હતું , જાપ કર્યો હતો . ઓરડીમાં બેસીને ધ્યાન કર્યું હતું અને સ્વાધ્યાય કર્યો હતો . હું પહાડ ઉપર છું એનો રોમાંચ ઘણો હતો . શિખરજીનાં સ્તવનો અને સ્તોત્રો ગાતાં આવ્યા છીએ . શિખરજી ઉપર અનશન સાધનારા તીર્થંકર ભગવંતો અને અન્ય સાધકોએ પણ રાત પહાડ ઉપર જ વિતાવી છે . એમની રાત નિદ્રા વિનાની હતી , પ્રમાદ વિનાની હતી , ભય વિનાની હતી . મને સમજાતું હતું કે મારી રાત એવી નથી , મારે નિદ્રા લેવાની છે , આરામ કરી લેવાનો છે , અન્યથા સવારે ચડવામાં થાક લાગશે . સભાનતાપૂર્વક નિદ્રા સાથે જોડાઈ જવાની કોશિશ કરી પરંતુ ઊંઘ ન આવે . પહેલું કારણ , યાત્રાભૂમિનો રોમાંચ . બીજું કારણ , કડકડતી ઠંડી . નીચે મકાનોની વચ્ચે હોઈએ ત્યારે ઠંડી હોય એના કરતાં લાગે ઓછી . ઉપર પહાડ પર હોઈએ ત્યારે ઠંડી હોય એના કરતાં લાગે વધારે . કંઈ ક્ષણે ઊંઘ આવી ખબર ના પડી . રાત્રે એક દોઢ વાગે કલિકુંડ કેમ્પસની બહાર , પહાડી રસ્તા ઉપરથી લાઠી ઠોકાવાના અવાજ આવવા લાગ્યા . સમજાયું કે લોકોએ આરોહણ શરૂ કરી દીધું છે . પહાડ પર ત્રણ પ્રકારના આરોહકો ચડે છે : શ્વેતાંબરો , દિગંબરો અને ઝારખંડીઓ . દિગંબરોની સંખ્યા પહાડ ઉપર ઘણી જ વધારે જોવા મળે છે . એ લોકો રાતે એક દોઢ વાગ્યાથી ચડવાનું શરુ કરી દેતા હોય છે . એમનો નિયમ બહુ પાકો હોય છે . એ લોકો આખા પહાડની યાત્રા કરશે . જ્યારે શ્વેતાંબરોનું નિયમ જુદો છે . શ્વેતાંબરો જલ મંદિર જઈને સંતૃપ્ત થઈ જાય છે . પછી ફાવે તો પારસનાથ જાય , મૂડ બને તો ચંદ્રપ્રભજી જાય . સૂર્યોદયના સમયે ચંદ્રપ્રભજી પહોંચી જનારા દિગંબરો ઘણા હોય છે . લાઠીની ઠકાઠકના અવાજ ચાલુ જ રહ્યા .
ઘણા લાંબા સમય પછી જ્યારે અમે ચડવાનું શરૂ કર્યું ત્યારે લાઠીવીરોની સંખ્યા ઘણી વધી ગઈ હતી . લાઠીનો અવાજ કરનારાઓમાં અમુક લોકો ડોલીવાળા હતા . કલિકુંડ પછી થોડુંક ચાલ્યા હોઈશું . ચઢાણ આવવા લાગ્યું . પગના ગોટલા પર એવું વજન લાગવા માંડ્યું કે જાણે કોઈએ પગ પર રેતીની થેલીઓ બાંધી હોય અને શ્વાસો એ રીતે ભારે થવા લાગ્યા કે જાણે કોઈએ મોઢાને નાકને જાડા કપડાથી બાંધી દીધું હોય . પગ ભારે અને શ્વાસો ભારે , આ પરિસ્થિતિ દસબાર મિનિટની હોય તો સહન થઈ જાય , અડધો પોણો કલાકની પણ હોય તો સહન થઈ જાય . પરંતુ સતત દોઢબે કલાક સુધી આ જ પરિસ્થિતિ રહેવાની હોય એ સહન કરવાનું ઘણું અઘરું છે . ચઢાણ અઘરું થતું ગયું એમ પોતાની જાતને હું સૂચના આપતો ગયો કે ધીમે ધીમે ચડવાનું છે , વચ્ચે બિલકુલ બેસવાનું નથી . કાચબા અને સસલાની રેસમાં કાચબો ધીમે ધીમે અટક્યા વગર ચાલતો રહ્યો એટલે જીતી ગયો અને સસલું ઉતાવળમાં ચાલતું ગયું પણ થોડી થોડી વારે અટકતું ગયું એમાં પાછળ રહી ગયું . મન મક્કમ રાખીને ચડવાનું ચાલુ રાખ્યું . રસ્તો ધીમે ધીમે કપાઈ રહ્યો છે એ સમજાતું હતું . થોડા સમય બાદ ચડાણ વધારે અઘરું થયું . હવે કાચબાસસલાની થિયરી કામની ના રહી . અગ્રેસિવ થવાને બદલે ડિફેન્સિવ થવાનો વખત હતો . ચડવાનો હોંસલો અખંડ હોવો જોઈએ એ વાત સાચી . પરંતુ એકસાથે એટલું બધું જોશ ન લગાવાય કે ચાલવાની કેપેસિટી જ ખતમ થઈ જાય . બીજા તબક્કામાં હું થોડું ચાલું અને થોડો ઊભો રહું . પછી ચઢાણ વધારે અઘરું થયું . હવે બીજી પોલિસી પણ કામની ન રહી . છાતી એવી ભારે થઈ જતી હતી કે ઉભા જ ન રહેવાય . ત્રીજા તબક્કે , પોલીસી થ્રી : થોડુંક ચાલો અને થોડુંક બેસો . એમ કરતાં આગળ વધવાનું ચાલુ રાખ્યું પછી એવું બન્યું કે બેસીને પણ થાક ઉતરે નહીં . હવે ? ચોથા તબક્કે , પોલિસી ફોર : થોડુંક ચાલો , થોડું લેટી જાઓ . થોડી થોડી વારે શ્વાસ ભરાય . થોડી થોડી વારે અટકવું પડે . અટકીએ ત્યારે આગળ વધવાનું છે તે યાદ રાખીને અટકીએ . અટકીએ ત્યારે કામ અધૂરેથી છોડી દેવું છે એવો વિચાર બનવા ના દઈએ . અટકીએ ત્યારે હવે મારાથી આ કામ નહીં થાય એવી લાગણી જાગવા ના દઈએ . શ્વાસ ચડ્યો હોય તો શ્વાસ હેઠો બેસે એની રાહ જોઈએ . પગ ભારે થઈ ગયા હોય તો પગ હળવા થાય એની રાહ જોઈએ . આ જ પોલિસી કામ આવે છે .
સમેતશિખરજીનો પહાડ સિદ્ધગિરિ કે ગિરનાર જેવો નથી . શિખરજીનો પહાડ આ બંને કરતાં વધારે કઠણ , વધારે ઊંચો , વધારે લાંબો છે આથી વધારે તાકાત અને વધારે ધીરજ લાગે છે યાત્રામાં . થાક લાગે તો થોડા સમય માટે અટકી શકાય , પણ કામ છોડી ન દેવાય . શિખરજીનો આ પહેલો બોધપાઠ હતો .
બ્રહ્મ ઈન્દ્ર , કૃષ્ણ રાજા અને રત્ન શ્રાવકની અનુમોદના કરવાનું ભૂલતા નહીં .
શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિનું નિર્માણ કરવાનો લાભ બ્રહ્મેન્દ્રને મળ્યો છે . શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા મનુષ્ય લોકમાં થઈ એનો લાભ કૃષ્ણ રાજાને મળ્યો છે . એ પછીનો ત્રીજો મહાન્ લાભ મળ્યો છે રત્ન શ્રાવકને . એ છ-રી પાલક સંઘ લઈને ગિરનાર આવ્યા હતા . ગિરનારની ટોચ પર જિનાલય હતું . એેમાં માનવનિર્મિત મૂર્તિ હતી , નેમિનાથ દાદાની . આ મૂર્તિની રચનામાં રેતીનો ઉપયોગ સવિશેષ થયેલો હતો . સંઘ ગિરનાર પહોંચ્યો તે પહેલાં રત્ન શ્રાવકને ગુરુ ભગવંત દ્વારા જાણ થઈ હતી કે જે દિવસે સંઘ પહોંચશે તે દિવસે તીર્થને મોટું નુકસાન થશે . એનું નિમિત્ત તમે બનશો . પરંતુ તે પછી તીર્થની પ્રચંડ ઉન્નતિનું નિમિત્ત પણ તમે જ થશો . રત્ન શ્રાવકને સમજાયું કે મને આશાતનાનો મોટો દોષ લાગશે . એ ભયભીત થયા . પરંતુ તે પછી જ તીર્થની મોટી ઉન્નતિ થશે એમ જાણીને આશ્ચર્ય પામ્યા .
સંઘ ગિરનારની ટોચે આવ્યો . સૌ આરાધકોએ જળપૂજા ઘણી કરી . મૂર્તિની રેતી એટલી બધી પીગળી ગઈ કે આખી મૂર્તિ બેસી ગઈ . મૂર્તિની જગ્યાએે માત્ર ભીની રેતીનો ઢગલો રહ્યો . રત્ન શ્રાવકને પ્રચંડ દુઃખ થયું . દુઃખના આવેશમાં એણે ઉપવાસ શરૂ કરી દીધા . એક મહિનાના ઉપવાસ થયા ત્યારે અંબિકાજી પ્રગટ થયા . બોલ્યા : જે રેતીનો ઢગલો છે એમાંથી નવી મૂર્તિ રચી લો .
રત્ન શ્રાવકે કહ્યું કે ના , રેતીની મૂર્તિ નહીં . ફરીથી જળપૂજાનો ભાર આવશે તો રેતીની મૂર્તિને ફરીથી નુકસાન થશે . આપ એવી મૂર્તિ આપો જે ખંડિત જ ન થાય .
અંબિકાજી અંતર્ધાન થઈ ગયા . રત્ન શ્રાવકે ઉપવાસ છોડ્યા નહીં . દેવીએ અદૃશ્ય રહીને ઘણા ઉપસર્ગ કર્યા . પરંતુ રત્ન શ્રાવક ચલિત ન થયા . આ જોઈને દેવી પ્રસન્ન થયા . પ્રગટ થઈને કહ્યું કે તારાં સત્ત્વને જોઈને મને ઘણો આનંદ થયો છે . હું તને પ્રાચીન પ્રતિમા આપું છું .
હિમાદ્રિ પર્વતની કંચનગિરિ ગુફામાં રત્ન શ્રાવકને દેવી લઈ ગયા . ત્યાં બિરાજીત અનેક અનેક દિવ્ય મૂર્તિઓ બતાવી . અને છેલ્લે બ્રહ્મલોકમાં નિર્મિત શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ લઈ જવા કહ્યું . દેવીએ જણાવ્યું કે આ મૂર્તિને લોઢું પથ્થર અગ્નિ જળ વીજળી તોફાન કોઈ નુકસાન કરી નહીં શકે . અરે , ઈન્દ્રનું વજ્ર પણ આ મૂર્તિને નુકસાન ના કરી શકે . આ મૂર્તિને કંતાનના તાંતણાથી બાંધી લો . તમે ચાલવા માંડશો એટલે મૂર્તિ તમારી પાછળ સરકતી સરકતી આવશે . તમારે પાછળ વળીને જોવાનું નથી . તમે જ્યાં પાછળ જોશો ત્યાં આ મૂર્તિ અટકી જશે . રત્ન શ્રાવક મૂર્તિને એ જ રીતે ગિરનારના મુખ્ય દેરાસ૨ પાસે લઈ આવ્યા . દરવાજે એ મૂર્તિ રાખીને એ દેરાસરના ગભારામાં આવ્યા .
ગભારામાં પહેલાની મૂર્તિની રેતીનો ઢગલો વેદિકા પર હતો તેને હટાવ્યો . બધી સ્વચ્છતા બનાવી . પછી મૂર્તિને લેવા દરવાજે આવ્યા . હવે મૂર્તિ હલે જ નહીં , હલે જ નહીં . રત્ન શ્રાવક વિસામણમાં પડ્યા અને ઉપવાસ પર ઉતર્યા . અંબિકાજી પ્રગટ થયા . બોલ્યાં : આ મૂર્તિ હલશે નહીં . તમે પશ્ચિમ સન્મુખ જિનાલય બનાવી એમાં બિરાજમાન કરો .
રત્ન શ્રાવકે એવું જ દેરાસર બનાવ્યું . ઠાઠમાઠથી પ્રભુની પ્રતિષ્ઠા થઈ . પ્રતિષ્ઠા પછી રત્ન શ્રાવક આનંદવિભોર થઈને પ્રભુ સમક્ષ પંચાંગ પ્રતિપાતથી ઝૂક્યા . એ વખતે અંબિકાજીએ રત્ન શ્રાવકના ગળામાં પારિજાતનાં ફૂલોની માળા પહેરાવી . રત્ન શ્રાવક ધન્ય થઈ ગયા . આજે ગિરનાર મહાતીર્થના મૂળનાયક તરીકે શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ બિરાજીત છે એનો મહાપવિત્ર લાભ રત્ન શ્રાવકને મળ્યો છે .
તમે ગિરનાર મહાતીર્થના મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનનાં દર્શન કરો તે વખતે બ્રહ્મ ઈન્દ્ર , કૃષ્ણ રાજા અને રત્ન શ્રાવકની અનુમોદના કરવાનું ભૂલતા નહીં .
મહાભારતનો જમાનો હતો ત્યારે દેવલોકના ભગવાન્ મનુષ્ય લોકમાં પધાર્યા હતા
મહાભારતના સમયમાં ભારત દેશે જે જોયું છે એ બીજા કોઈ યુગમાં નહીં જોયું હોય . પાંચ પાંડવોની ઘટના . સો કૌરવોનું રાજકારણ . ભીષ્મ પિતામહ . દ્રૌણ આચાર્ય . કર્ણ . કંસ , જરાસંઘ અને શિશુપાલ . આ બધાની ઉપર ભારે હતું એક નામ : કૃષ્ણ રાજા . કૃષ્ણ સમકિતી છે . કૃષ્ણ પ્રભુભક્ત છે . કૃષ્ણ વિષ્ટિકાર છે . શ્રી નેમિનાથ ભગવાનના પિતા સમુદ્રવિજય અને કૃષ્ણના પિતા વસુદેવ સગાભાઈ હતા . આમ શ્રી નેમિનાથ ભગવાન્ અને કૃષ્ણ રાજા વચ્ચે પારિવારિક સંબંધ હતો . પરંતુ કૃષ્ણ રાજા શ્રી નેમિનાથ ભગવાનના ભક્ત તરીકે જ વિશેષ પ્રસિદ્ધ થયા છે .
આશ્ચર્યની વાત એ છે કે દેવલોકમાં રહેલી નેમિનાથ ભગવાનની મૂર્તિની સાથે કૃષ્ણ રાજાનો સંબંધ કમાલ રીતે જોડાયો હતો . બન્યું હતું એવું કે ઈન્દ્રને ભગવાને કહ્યું કે દેવલોકમાં બિરાજમાન નેમિનાથ ભગવાનની મૂર્તિ દેવનિર્મિત છે . એના જવાબમાં ઇન્દ્ર મહારાજાએ કહ્યું કે અમે તો આ મૂર્તિને શાશ્વત સમજતા હતા . આજે ખબર પડી કે આ મૂર્તિ અશાશ્વત છે ?
આ વાતના પ્રતિભાવમાં ભગવાને કહ્યું કે હા , આ મૂર્તિ અશાશ્વત છે . યાદ રાખજો . દેવલોકનો નિયમ છે કે દેવલોકમાં અશાશ્વત મૂર્તિ બિરાજમાન રહી શકે નહીં . માટે આ મૂર્તિને મનુષ્ય લોકમાં બિરાજમાન કરવી જોઈએ .
દેવલોકવાસી ઈન્દ્ર ભગવાનને પૂછે છે કે પ્રભુ , આપનું વચન શિરોધાર્ય છે પરંતુ મનુષ્યલોકમાં આ મૂર્તિ કોને આપી શકાય ?
ભગવાન્ જવાબ આપે છે કે આ મૂર્તિ કૃષ્ણ રાજાને સોંપી દો .
શ્રી નેમિનાથ ભગવાનના કહેવાથી શ્રી નેમિનાથ ભગવાનની દેવલોક સ્થિત મૂર્તિ મનુષ્ય લોકમાં કૃષ્ણરાજાને અર્પિત કરવામાં આવી . કૃષ્ણ રાજા દ્વારા નૂતન જિનાલયમાં આ પ્રતિમા બિરાજમાન કરવામાં આવી . જોવાની વાત એ છે કે પ્રતિમાની પ્રતિષ્ઠાનો વાસક્ષેપ સ્વયં નેમિનાથ ભગવાન્ આપે , એવી વિનંતી કૃષ્ણરાજાએ કરી હતી . પ્રભુએ વિનંતીનો સ્વીકાર કરીને પ્રતિષ્ઠા માટેનો વાસક્ષેપ આપ્યો હતો . એ જ વાસક્ષેપ દ્વારા ગણધર ભગવંતોએ મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી . દેવતાઓએ અને મનુષ્યોએ સાથે મળીને ગિરનારના ગજપદકુંડનાં જળથી આ મૂર્તિનો અભિષેક કર્યો હતો . દેવલોકમાંથી પધારેલી મૂર્તિ મનુષ્યલોકમાં પ્રતિષ્ઠા પામી એની ખુશાલીમાં કૃષ્ણ રાજાએ હીરા મોતી માણેકની પ્રભાવના કરી હતી .
જોકે , શ્રી નેમિનાથ ભગવાને સ્પષ્ટ ભવિષ્યવાણી કરી હતી કે જ્યાં સુધી દ્વારકા નગરી અખંડ છે ત્યાં સુધી આ મૂર્તિ મનુષ્યો માટે ઉપલબ્ધ રહેશે . જે દિવસે દ્વારકા નહીં રહે એ દિવસે અંબિકાદેવી આ મૂર્તિને મનુષ્યલોક પાસેથી પાછી લઈ લેશે . ગિરનાર ઉપર કંચનગિરિ પહાડની ભીતરમાં એ મૂર્તિ બિરાજમાન થશે અને એની પૂજા દેવતાઓ કરશે .
ભગવાને જે કહ્યું હોય એ સાચું જ પડે . એક દિવસ દ્વારિકા નગરી નાશ પામી . નેમિનાથ ભગવાનની મૂર્તિ મનુષ્યલોક પાસેથી છીનવાઈ ગઈ અને દેવતાઓના હાથમાં જતી રહી . ગિરનારના ગહન ગુફાપ્રદેશમાં એ મૂર્તિ બિરાજમાન થઈ ગઈ .
——–
કથા આગળ વધે છે પણ મુદ્દા આપણે યાદ રાખવાના છે .
૧. દેવલોકમાં બિરાજમાન મૂર્તિ પ્રભુના કહેવાથી મનુષ્ય લોકમાં આવી .
૨ . એ મૂર્તિની પ્રતિષ્ઠાનો વાસક્ષેપ છે સ્વયં તીર્થંકર ભગવાને આપ્યો .
૩ . એ મૂર્તિની પ્રતિષ્ઠા ગણધર ભગવાને કરી .
૪ . એ મૂર્તિની પ્રતિષ્ઠાનો લાભ કૃષ્ણ રાજાને મળ્યો હતો .
૫ . લાંબા સમય સુધી મનુષ્યો આ મૂર્તિની પૂજા કરતા રહ્યા . તે પછી એક દિવસ એવો આવ્યો કે મૂર્તિ દેવતાઓના હાથમાં જતી રહી અને દેવતાઓ દ્વારા એને પૂજા થવા લાગી .
————
ગઈ ચોવીસીના ત્રીજા તીર્થંકર ભગવાનના સમયે દેવલોકમાં બનેલી મૂર્તિ વર્તમાન ચોવીસીના બાવીસમા તીર્થંકર ભગવાનના સમયે દેવલોકમાંથી મનુષ્યલોકમાં પધારે છે . એની પ્રતિષ્ઠા અને પૂજા કૃષ્ણ મહારાજા દ્વારા થાય છે . પ્રતિમાનો ઇતિહાસ કેવો ગજબનાક છે ?
( Copyrighted content )
