લેખક : મૃગેશ
મારાં ઘરેથી મેઈન રોડ પર આવતાં જ એક ખૂણે ફૂલની લારી છે, એક વૃદ્ધ દંપતી ફૂલો વેંચે છે. અવારનવાર દહેરાસર માટે હું ફૂલ એમની પાસેથી ખરીદતો હોઉં છું. હમણાં છેલ્લાં દોઢેક મહિનાથી નિયમિત ગૃહમંદિર માટે ફૂલોનો હાર એમની પાસેથી લઉં છું .
અહીં હું ફૂલોનો હાર ‘ખરીદું છું’ એટલે નથી લખતો કેમકે પહેલીવાર ફૂલોનો હાર રોજે બનાવવી આપવા માટે નક્કી કર્યું ત્યારે મને એમણે સ્પષ્ટ જ કહ્યુંતું કે તમે જેટલાં રૂપિયા આપશો તે ચાલશે. કેટલાંય સમયથી આવો છો એટલે અમે એક વસ્તુ જોઈ છે કે તમે પાક્કા વાણિયા છો, એકેએક ફૂલ જોઈ જોઈને લ્યો છો, કોઈ ફૂલની પાંખડી ના હોય એ ફૂલ લેતાં જ નથી.
અમે વર્ષોથી ફૂલો વેંચીએ છીએ. કોઈ હવે આમ સમય કાઢીને ફૂલો લેવાં રોકાતું નથી. ઘણાં તો ગાડીમાં બેઠાં હોય તો ગાડી ચાલું રાખીને બેઠાં બેઠાં જ ઓર્ડર કરે કે ફૂલો આપો. નીચે ઉતરવાની તસ્દી લેતાં નથી. તમે વારંવાર કહેતાં હોય છે કે ભગવાન માટે ફૂલો લઉં છું એટલે એ ઉત્તમ જ હોવાં જોઈએ એટલે એમાં કંઈ ભાવ તો હશે ને ! એટલે તમારાં ભગવાન્ એ અમારા ભગવાન્ .
હમણાં ઓફિસનાં કામનાં લીધે આ દોઢેક મહિનાનો નિત્યક્રમ તૂટ્યો ને ગઈકાલે વીક એન્ડમાં ફૂલોનો હાર લેવા હું ગયો ત્યારે મનેં પૂછ્યું : કેમ હમણાં વચ્ચે નહોતાં આવ્યાં ?
મેં કારણ જણાવ્યું તો તે કહે કે – ભાઈ , એવું હોય તો અમે ઘરે આપી જઈએ . સવારમાં બીજાને પણ આપીએ છીએ . પણ ભગવાનને ફૂલો તો ચઢાવો જ. આ બોલતાં હતાં ત્યારે એમનાં મોંઢા પરની ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી. એમાં કોઈ લાલચના ભાવો નહોતાં, બનાવટ નહોતી.
…ઝાઝું તો હું જાણતો નથી પણ એટલું વિશ્વાસથી કહી શકું કે ભગવાનને જે ફૂલો ચઢતાં હશે એમાંથી થોડુંઘણું પુણ્ય આવાં લોકોને પણ ચોક્કસ મળતું હશે.
પ્રકરણ નવ : દશ મહાન્ સ્વપ્ન
અને એક દિવસ ચોમાસું પૂરું થયું. દેવાર્યે વિહાર આરંભ્યો , ગ્રામજનો દૂર સુધી વળાવવા આવ્યા. એક સીમા પાસેથી ગ્રામજનો પાછા ફર્યા પરંતુ દેવાર્યે જોયું કે યક્ષ હજી દેવાર્યને વળાવવા સાથે ને સાથે ચાલી રહ્યો હતો. એક જગ્યાએ યક્ષ પ્રભુના પગે પડ્યો. એણે પાછા ફરવાનું હતું. તે વિરહપીડાથી દુઃખી થઈને બોલ્યો –
પ્રભુ, આપનો ઉપકાર યાદ રહેશે. આપે મને ક્લેશમાંથી ઉગાર્યો, પાપથી બચાવ્યો અને દુર્ગતિમાં જવાથી રોકી લીધો. મેં કેવળ અપકાર કર્યા. આપે કેવળ ઉપકાર કર્યા. પ્રભુ, પૂર્વભવમાં મારું મરણ, આ ભૂમિ પર થયેલું. રૂઢિપ્રયોગમાં બોલાય છે કે કાળજું ચીરાઈ ગયું. મારી છાતી સાચોસાચ ચીરાઈ હતી .
હું વૃષભ હતો. મારા નાક અને મોઢામાંથી લોહી ફૂટી નીકળ્યું હતું. મારા સ્વામી ધનદેવ શેઠ મારી હાલત જોઈ રોઈ પડ્યા હતા. એ તોં મારી સાથે અહીં જ રહેવા માંગતા હતા. પરંતુ સાર્થ મોટો હતો તેથી તેમને જવું પડ્યું. મારા સ્વામીએ આ ગ્રામજનોને ધન, ઘાસચારો, ઔષધ આપીને માંરું ધ્યાન રાખવાની જવાબદારી સોંપી હતી. આ ગ્રામજનોએ વૃષભનું જીવતે જીવત ધ્યાન ન રાખ્યું, વૃષભના મૃતકનું સન્માન પણ ન જાળવ્યું. આ બધું મને યક્ષગતિમાં આવ્યા બાદ સમજાયું. હું અજ્ઞાની છું. મારામાં ક્રોધનો દાવાનળ પ્રગટી ગયો. મેં કાળો કેર વર્તાવ્યો. કેટલાં મૃતકો મારા લીધે રઝળી પડ્યા હશે, હું નથી જાણતો. ટેકરી પર મંદિર બન્યું તેની નીચે અગણિત હાડપિંજરો ધરબાયા છે. એ મંદિરમાં પણ મે ઘણી કત્લેઆમ ચલાવી છે. હું આવો જ ક્રૂર રહેત.
પણ આપ આવ્યા, મારી પર ઉપકાર કરવા આપ પધાર્યા. મેં આપનેય ક્રૂર પીડાઓ આપી. મને આપની ત્રણ વિશેષતા આશ્ચર્યકારી લાગી. એક, આપને જે તકલીફ આપે તેની પર આપને ગુસ્સો આવતો નથી. બે, આપને તકલીફ પડે તેનાથી આપ દુઃખી થતા નથી. ત્રણ, આપ જૂની વાતોનો બદલો લેવાનું વલણ રાખતા નથી . આ ત્રણેય વિશેષતા અનન્ય સાધારણ છે. આ વિશેષતાઓ જોઈને હું આપનો ભક્ત બન્યો છું.
આપ આજે મને એકલવાયો છોડીને જઈ રહ્યા છો પ્રભુ. પણ આ વર્ધમાનક ગ્રામ આપની પ્રતીક્ષા કરશે, આ ટેકરી આપની પ્રતીક્ષા કરશે, આ શૂલપાણિ હરહંમેશ આપની પ્રતીક્ષામાં રહેશે. પ્રભુ, આપે દુશ્મનને ભક્ત બનાવ્યો છે. હવે આ ભક્તને આધાર આપે જ આપવાનો છે અને આ ભક્તનો ઉદ્ધાર પણ આપે જ કરવાનો છે.
મનેં મારી ત્રણ ભૂલ યાદ આવી રહી છે –
એક , મેં આપને પધારવાનું આમંત્રણ ન આપ્યું, પધારવાની વિનંતી ન કરી.
બે , મારે આપનું સ્વાગત કરવું જોઈતું હતું પરંતુ મેં આપનું અપમાન કર્યું.
ત્રણ , મારે આપની ભક્તિ કરવી જોઈતી હતી પરંતુ મેં આપને પીડા આપી. પ્રભુ મારી આવી અગણિત ભૂલો થઈ હશે. મને માફ કરી દેજો. ’
ગદ્ગદભાવે શૂલપાણિ યક્ષે પ્રભુને વિદાય આપી હતી. દેવાર્યનાં દીક્ષાજીવનનાં પ્રથમ વર્ષની કથા અહીં સમાપ્ત થઈ હતી .
વર્ધમાનક ગામની ટેકરી પર બે ઘટના એવી બની જે ઈતિહાસમાં અભૂતપૂર્વ હતી . એક , તીર્થંકરે નિદ્રામાં સ્વપ્ન જોયાં . બે તીર્થંકરે પોતાનાં સ્વપ્નની ભવિષ્યવાણી કરી . વર્ધમાનક ગામની , અસ્થિકગ્રામની આ આજીવન ધન્યતા હતી. (ક્રમશઃ)
પ્રકરણ ૯ . દશ મહાન્ સ્વપ્ન
દેવાર્યે મૌન રહેવાનો નિયમ લીધો હતો , ગૃહસ્થનો વિનય ન કરવાનો નિયમ લીધો હતો . દેવાર્ય શું કામ , ઉત્પલ સાથે વાત કરે ? અને શું કામ ઉત્પલની વિનંતીનો સ્વીકાર કરે ? પરંતુ દેવાર્ય કૃપાળુ હતા .
દેવાર્યે ઉત્પલને ફરમાવ્યું કે
‘મેં સુગંધી ફૂલોની બે માળા ચોથા સપનામાં જોઈ. આ સપનું એમ સૂચવે છે કે હું બે પ્રકારના ધર્મનો ઉપદેશ આપીશ. એક, સાધુધર્મ એટલે કે મહાવ્રત પાલનનો ધર્મ . બે , શ્રાવકધર્મ એટલે કે અણુવ્રત પાલનનો ધર્મ . ʼ
દેવાર્યનો સુમધુર અવાજ હવામાં ગુંજતો રહ્યો. ગ્રામજનો અને ઉત્પલ એ સાંભળીને આનંદિત થઈ ગયા. ગ્રામજનો દેવાર્યને વંદી પોતાનાં ઘેર પાછા ફર્યા. દેવાર્ય યક્ષની ટેકરી પર , યક્ષનાં મંદિરમાં જ રોકાયા. દેવાર્યને લીધે હવે એ ટેકરી અને એ ગામમાં અભયભાવનું નિર્માણ થયું હતું. હવે યક્ષ કોઇને મારવાનું વિચારતો નહીં. હવે કોઈનાં મનમાં યક્ષની ભીતિ રહી નહીં. દેવાર્યનું પહેલું ચોમાસું ઉપદ્રવહારી બન્યું. યક્ષનો ક્લેશ ટળ્યો. ગ્રામજનોનો અકાળ મરણ સંબંધી ભય દૂર થયો.દેવાર્ય એ ટેકરી પર સાડા ત્રણ મહિના સુધી રોકાયા.
દેવાર્યના આહારગ્રહણનો નિયમ ભારે કડક હતો. દેવાર્ય પંદર દિવસના સળંગ ઉપવાસ કરતા. સોળમા દિવસે પારણું કરવાનું હોય. એમાંય કોઈ પૂર્વ તૈયારી ન રહેતી. દેવાર્ય કોઇનાં પણ ઘરે પધારી જતા. મધ્યાહ્ન વેળાની પછીનો સમય રહેતો. જે તૈયાર હોય તે લેતા. પારણું કરતી વખતે દેવાર્ય પાત્રનો ઉપયોગ કરતા નહીં. પારણું કરતી વખતે દેવાર્ય બે હાથ પસારીનો ખોબો ધરી દેતા. એમાં જે પડે તે નિરાગભાવે વાપરતા. વાપરતી વખતે બેસતા નહીં , ઊભા જ રહેતા . વાપરવામાં વધુ સમય લાગતો નહીં. સાધનામાં ખાવું અને પીવું એવા શબ્દો ન વપરાય. સાધનામાં આહાર ગ્રહણને અને જલગ્રહણને વાપરવું કહેવાય. વાપરવું એટલે આહાર લેવો. વાપરવું એટલે જળ લેવું. દેવાર્ય દેહનિર્વાહ માટે વાપરતા . દેવાર્ય આહારસંજ્ઞાથી મુક્ત જ રહેતા . વર્ધમાનકને , અસ્થિક ગ્રામને દેવાર્યની માયા લાગી ગઈ હતી . દેવાર્ય બોલતા નહીં , ઊંઘતા નહીં , બેસતા નહીં , લેટતા નહીં . દેવાર્ય પંદર પંદર દિવસના ઉપવાસ કરે છે અને સોળમા દિવસે પારણું આવે છે એવું કોઈને સમજાયું નહોતું . ખબર એટલી જ પડતી કે આજે દેવાર્ય ભિક્ષાવૃત્તિએ નીકળ્યા છે અથવા નથી નીકળ્યા . દેવાર્ય ભિક્ષાર્થે નીકળે ત્યારે આખું ગામ હેલે ચડતું . જાણે દેવાર્ય આ ગામના જ હોય એવો આત્મીય ભાવ બની ચૂૂૂૂક્યો હતો .
દેવાર્ય એક વાર બોલ્યા હતા – ઉત્પલને જવાબ આપવા માટે . જો દેવાર્ય એ વખતે બોલ્યા ન હોત તો ઉત્પલની વાત કોરી મજાક બનીને રહી જાત. દેવાર્ય ત્યારે બોલ્યા તેને લીધે ગ્રામજનોને સમજાયેલું કે હા, દેવાર્યે આપણાં ગામમાં પળભરની નિદ્રા પણ લીધી છે અને સ્વપ્ન દર્શન પણ કર્યું છે .
યક્ષનાં મંદિરમાં આવરોજાવરો દેવાર્યને લીધે જ વધી ગયો હતો. દેવાર્ય મૌન રહેતા. દેવાર્યનાં દર્શન કરનારા ટેકરી ચડવાનું શરૂ કરે ત્યારથી મૌન રહેતા. દેવાર્યનાં ધ્યાનને ખલેલ ન પડવી જોઈએને . ટેકરી ઉતરતી વખતે પણ બધા મૌન રાખતા. દેવાર્યે સૌને શાંતિપૂર્ણ મૌન શીખવી દીધું હતું. એ ટેકરી પર દેવાર્યનાં શાંતિમય સ્પંદનો રોજેરોજ પસરતા જ રહ્યાં. એ ટેકરી જાણે કે શ્રી દેવાર્ય તીર્થમ્ બની ગઈ હતી . (ક્રમશઃ)
પ્રકરણ ૯ . દશ મહાન્ સ્વપ્ન
સૂરજના તડકામાં , માણસનાં શરીરનો પડછાયો જમીન પર પથરાય છે . પડછાયાને લાઠી મારવાથી માણસને પીડા પહોંચતી નથી . શું આવું જ દેવાર્ય શરીર અને આત્મા અંગે વિચારતા હશે ? દેવાર્યનાં શરીરને પીડા થતી તે શું દેવાર્યના આત્માને પ્રભાવિત નહીં કરતી હોય ? દેવાર્યનું ઉપયોગ મન ચોક્કસ શારીરિક ઘટનાઓની છાયામાં આવતું નહીં આવતું હોય શું ? કાયાનાં સ્તરે જે બન્યું હોય તે પરાયું લાગતું હશે ? માથા પરના વાળ જેમ શરીર પર હોવા છતાં શરીરથી અલગ રહે છે તેમ આ કષ્ટો શરીર પર હોવા છતાં દેવાર્ય તેને પારકા બનાવી રાખતા હશે કે શું ?
આ ગજબનાક બાબત હતી . દેવાર્ય એમ ને એમ જ મહાસાધક બન્યા નહોતા . એમની સહનશક્તિ અલૌકિક હતી . દેવાર્યનું દેહબળ અકલ્પનીય હતું . દેવાર્યનું મનોબળ અનન્ય સાધારણ હતું . દેવાર્યનું આત્મબળ અપરિસીમ હતું . મનની અને આત્માની સીમા નથી હોતી . દેહની એક સીમા હોય છે . શૂલપાણિએ આપેલી પીડાથી દેહની સીમા આવી ગઈ હશે . શ્રમ ચડ્યો હતો દેવાર્યને . કાઉસગ્ગમાં ઊભા ઊભા જ પળવાર માટે નિદ્રા આવી અને એ જતી પણ રહી.
રાત વીતી અને પ્રભાત થયું . અજવાળું થયું . તે સાથે જ ગ્રામજનો ટેકરી પર આવી પહોંચ્યા. દેવાર્ય કાઉસગ્ગ મુદ્રામાં ઊભા હતા તે જોઈ ગ્રામજનોએ જયજયકાર ગજવી દીધો. ગ્રામજનોએ દેવાર્યને ધૂપ, ચોખા અને ફૂલથી વધાવ્યા. શૂલપાાણિને દેવાર્યે હરાવી જ દીધો હોય એવો હર્ષોલ્લાસ મનાવ્યો સૌએ .
સાથે ઉત્પલ નામનો નિમિત્તશાસ્ત્રી પણ હતો. તેણે દેવાર્યને જોયા, દેવાર્યની આંખોમાં કાંઈક ભાળ્યું. એ બોલ્યો –
‘પ્રભુ, આપે પ્રભાતકાળે નિદ્રાવસ્થામાં દશ સપનાં જોયાં છે. આપનું પુણ્ય અલૌકિક છે, આપનું તેજ અપૂર્વ છે. આપે નિહાળેલ સપનાની વાતડી મારે માંડવી છે. આપ તો વધુ બોલતા નથી. આપ મારી વાત સાંભળશો એ જ મારી ધન્યતા છે.’
આખું ગામ ભેગું થયું હતું. સૌ ઉત્સુક ભાવે સાંભળતા રહ્યા. ઉત્પલે કહ્યું –
પ્રભુ, આપે પ્રથમ સપનામાં એક ઊંચો પિશાચ જોયો અને એનો નાશ કર્યો. આ સપનું એમ સૂચવે છે કે આપ ટૂંક સમયમાં મોહનીય કર્મનો નાશ કરશો.’
‘પ્રભુ, આપે બીજા સપનામાં સફેદ પક્ષી જોયું. આ સપનું એમ સૂચવે છે કે આપ નજીકના સમયમાં ઉત્કૃષ્ટ શુકલ ધ્યાનને ધારણ કરશો.’
‘પ્રભુ, આપે ત્રીજા સપનામાં ચિત્ર રંગી કોયલ જોઈ. આ સપનું એમ સૂચવે છે કે આપના દ્વારા દ્વાદશાંગીની રચના થશે.’
‘પ્રભુ, આપે ચોથા સપનામાં સુગંધી ફૂલોની બે માળા જોઈ. આ સપનું શું સૂચવે છે તે મને સમજાયું નથી.’
‘પ્રભુ, આપે પાંચમા સપનામાં આપની આસપાસ વીંટળાઈને ઊભી રહેલી ઘણી બધી ગાયો જોઈ . આ સપનું એમ સૂચવે છે કે આપના હાથે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સ્વરૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના થશે.’
‘પ્રભુ, આપે છટ્ઠા સપનામાં પદ્મ સરોવર જોયું. આ સપનું એમ સૂચવે છે કે આપની સેવામાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક એમ ચારેય નિકાયના દેવતાઓ ઉપસ્થિત રહેશે.’
‘પ્રભુ, આપે સાતમા સપનામાં જોયું કે આપ વિશાળ દરિયો તરી ગયા છો. આ સપનું એમ સૂચવે છે કે આપ શીઘ્ર સંસારથી પાર ઉતરી જશો.’
‘પ્રભુ, આપે આઠમા સપનામાં દેદીપ્યમાન સૂરજ જોયો. આ સપનું એમ સૂચવે છે કે આપને નજીકના સમયમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થશે.’
‘પ્રભુ, આપે નવમા સપનામાં જોયું કે આપે પોતાના આંતરડાઓથી માનુષોત્તર પર્વતને ઘેરી લીધો. આ સપનું એમ સૂચવે છે કે આપનો યશ અને પ્રભાવ ત્રણેય લોકમાં વિસ્તરશે.’
‘પ્રભુ, આપે દશમા સપનામાં પોતાને મેરૂપર્વતના શિખરે બિરાજમાન થયેલા જોયા. આ સપનું એમ સૂચવે છે કે સમવસરણના મધ્યભાગે બિરાજીત થઈને આપ ધર્મદેશનાઓ ફરમાવશો.’
ઉત્પલની વાતો સાંભળી ગ્રામજનો એકદમ અહોભાવિત થઈ ગયા. દેવાર્ય સમાધિલીન હતા. ઉત્પલે પ્રશ્ન કર્યો : પ્રભુ , આ ચોથું સપનું શું સૂચવે છે તે મનેેં સમજાતું નથી. આપ સમજાવવાની કૃપા કરશોજી. ( ક્રમશ: )
જય જય શાંતિનાથ વિશ્વ આનંદન
શત શત વંદન શાંતિનાથ
કર્મ નિકંદન શાંતિનાથ
જય જય શાંતિનાથ વિશ્વસેન નંદન
જય જય શાંતિનાથ વિશ્વ આનંદન
શાંતિવિધાતા શાંતિનાથ
શિવસુખદાતા શાંતિનાથ
વત્સલ માતા શાંતિનાથ
દે સુખશાતા શાંતિનાથ
સન્મતિ આપે શાંતિનાથ
દુર્ગતિ કાપે શાંતિનાથ
ધર્મમાં થાપે શાંતિનાથ
દેતાં ન માપે શાંતિનાથ
પરમ ઉપકારી શાંતિનાથ
નમે નરનારી શાંતિનાથ
છે અવિકારી શાંતિનાથ
મહિમા છે ભારી શાંતિનાથ
પ્રકરણ ૮ . શૂલપાણિ વ્યંતર
શૂલપાણિ પરાસ્ત થયો હતો . એ ભક્ત બન્યો નહોતો . એને લાગ્યું દેવાર્યને ચલિત કરવાનું અસંભવ છે અને એમાં જ એ ચારો ખાને ચિત થઈ ગયો હતો . શક્તિશાળીને જ અપાય એવું સન્માન એ દેવાર્યને આપવા માંગતો હતો . પહેલાં એણે માફી માંગી હતી . પછી એ દેવાર્યની તારીફ કરવા લાગ્યો :
‘ અરે , આપ કંઈ માટીના બન્યા છો ? મેં આવી ઉત્કૃષ્ટ સહનશક્તિ પણ જોઈ નથી , આવું પ્રચંડ સત્ત્વ પણ જોયું નથી અને આવું ઉત્કટ સૌંદર્ય પણ જોયું નથી . તમે આવું દૈવત લાવ્યા ક્યાંથી ? મેં આપને આટઆટલી તકલીફો આપી , આટલો ત્રાસ આપ્યો છતાં આપે કોઈ જ નારાજગી ન બતાવી .ʼ
હજી શૂલપાણિ આગળ બોલે એટલામાં સિદ્ધાર્થ દેવ આવી લાગ્યો હતો . એણે શૂલપાણિની વાત સાંભળી હતી . એ શૂલપાણિ પર ગુસ્સે ભરાયો હતો . એણે ઊંચા અવાજે શૂલપાણિને ધમકાવવાનું શરૂ કર્યું હતું . એના હોંકારા પડકારા જેવા અવાજના પડઘમ ગામનાં ઘરો સુધી પહોંચ્યા હતા . ગામમાં ફફડાટ ફેલાયો હતો . એ વખતે ગ્રામજનોને ખબર નહોતી કે શૂલપાણિ થાકીને હારી ગયો છે .
સિદ્ધાર્થ નામનો દેવ , દેવાર્યની તરફદારી કરી રહ્યો હતો એ બાબત શૂલપાણિ માટે એકદમ આશ્ચર્યકારી હતી , એ સાવ ડઘાઈ જ ગયો . સિદ્ધાર્થ ગુસ્સામાં બોલ્યો : ` આ તે શું કર્યું ? તેં દેવાર્યને હેરાન કર્યા ? તને ખબર છે ખરું કે આ દેવાર્ય કોણ છે ? અરે , બેવકૂફ , ચોસઠે ચોસઠ દેવેન્દ્રો આ દેવાર્યના પરમ ભક્ત છે . એક ઈન્દ્રને પણ ખબર પડી કે તેં આવી નીચ પ્રવૃત્તિ કરી છે તો તારી દશા એવી ભૂંડી થશે કે તું કલ્પના પણ નહીં કરી શકે . ʼ
આ સાંભળીને શૂલપાણિ ભયભીત થઈ ગયો .
` માફી માંગી લે દેવાર્યની . નહીં તો તું હેરાન પરેશાન થઈ જશે . ʼ સિદ્ધાર્થ બરાડો પાડીને બોલ્યો . શૂલપાણિના પગ ઢીલા પડી ગયા . એ દેવાર્યના પગમાં પડ્યો . ફફડતાં હૈયે એણે દેવાર્યની વારંવાર માફી માંગી હતી . દેવાર્યે ન નારાજગી બતાવી હતી , ન ગુસ્સો . એટલે દેવાર્યે અલગથી સ્મિત આપીને માફી આપી , એવું કશું જોવા મળ્યું નહીં . દેવાર્ય જે રીતે પહેલાં પ્રસન્ન દેખાતા હતા અદ્દલ એવી જ રીતે પ્રસન્ન મુદ્રાપૂર્વક ઊભા રહ્યા . દેવાર્યને વિશેષ રીતે રાજી કરવા માટે , શૂલપાણિએ સુગંધી ફૂલો વરસાવ્યા , વાજીંત્ર વગાડવા લાગ્યો , નાચવા લાગ્યો . તેને એમ લાગ્યું કે આ
રીતે પ્રીતિ પ્રદર્શિત કરવાથી દેવાર્ય રાજી થશે .
દેવાર્ય નિર્લેપ હતા . દેવાર્યને શૂલપાણિ સાથે લેવાદેવા હતા જ નહીં . શૂલપાણિ ઉપદ્રવ કરે કે ગીતનૃત્ય બતાવે , દેવાર્ય તટસ્થ હતા . પણ દેવાર્યને શ્રમ ચડ્યો હતો . પહેલીવાર આટલાં કષ્ટો એકીસાથે દેવાર્યનાં શરીરે જોયા હતા . દેવાર્યની આંખો પર ભાર વર્તાયો હતો . ( ક્રમશ: )
