પૂનાનું મોટું ઘર અને નાનું ઘર ખાલી ખાલી . પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા સાથેની એક જ બેઠકમાં જયાબેને વિરોધનો વાવટો સંકેલી લીધો હતો એ વાત સાચી પણ એકીસાથે ત્રણ સભ્યો ઘરમાં હોય જ નહીં એ પરિસ્થિતિ જીરવવાનું સહેલું નહોતું . એક નવું વાતાવરણ ઊભું થયું હતું જે ગોઠી રહ્યું નહોતું . અમદાવાદમાં જે બેઠા હતા તે દુઃખી નહોતા બલ્કે આત્મ રંગે રાજી હતા એટલે એમને પૂનાની યાદ આવતી નહોતી . પરંતુ પૂનામાં તો ત્રણેયની યાદ બનેલી જ રહેતી , પરિવારજનોને હજી જૈન ધર્મ વિશેષ ગમ્યો નહોતો . વૈરાગ્યને સમજવાની એ લોકોની ભૂમિકા નહોતી . એટલું સમજાયેલું કે જે આચાર્યદેવ પાસે
એ રોકાયા છે એમની ઊંચાઈ અજબ છે , એમનો પ્રભાવ ઘણોમોટો છે , એમનું સત્ અખંડ છે . બસ , આ એક આશ્વાસનથી મન મનાવી લીધું હતું .
સુરેશભાઈને મુમુક્ષુ અવસ્થામાં એકાદ વરસ રહેવા મળ્યું . કેટલાય મુમુક્ષુઓ સાથે હતા : લલિતભાઈ , અમૃતભાઈ , પારસભાઈ , મહેશભાઈ , બે સુનીલભાઈ , ભરતભાઈ , હીરેનભાઈ , ભૂપેન્દ્ર ભાઈ , શૈલેષકુમાર , આશિષકુમાર અને અન્ય . નવા મુમુક્ષુઓ ઉમેરાતા પણ ખરા .
સવાર સાંજનું પ્રતિક્રમણ કરવાનું જ . વહેલી સવારે ગાથાઓ ગોખવાની . વ્યાખ્યાન , સામાયિક લઈને જ સાંભળવાનું . ત્રિકાળ પૂજામાં બાંધછોડ પણ નહીં અને ઉતાવળ પણ નહીં . ત્રીસ , ચાલીસ , પચાસ સાધુઓને રોજ વંદન કરવાના . બપોરે તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતભાષાના પાઠમાં બેસવાનું , ધ્યાનથી ભણવાનું . સૂવાનું સંથારા પર , તકિયો નહીં વાપરવાનો . રાત્રિભોજન સદંતર ત્યાગ . વિહારમાં પોતાનો સામાન જાતે ઉઠાવવાનો . પગમાં ચંપલ ન હોય તો સારું ગણાય . પર્વતિથિએ પૌષધ કરવાનો .
પૂનાથી ફોન આવતા ક્યારેક . લાગણીની લપેટમાં આવ્યા વિના વાત કરી લેતા . જેમ જેમ બાળકોમાં દીક્ષા માટેની ઉત્સુકતા વધતી ગઈ તેમ તેમ એમને દીક્ષાની કઠિનાઈઓ સમજાવવાનું વધારતા ગયા . બાળકો દીક્ષાથી ડરીને દીક્ષા લેવાની ના કહી દેશે તે ચાલશે પણ બાળકો કોઈ બાબતે અંધારામાં રહે એ બિલકુલ નહીં ચાલે , એવો સ્પષ્ટ મત હતો સુરેશભાઈનો . અમદાવાદ – શાંતિનગર ચાતુર્માસમાં બધા મુમુક્ષુઓએ લોચ કરાવ્યો તો પોતે પણ લોચ કરાવ્યો અને બાળકોનો પણ લોચ કરાવ્યો . લોચ એવું કષ્ટ છે જે સહન ન થાય તો દીક્ષાની કેળવણી અધૂરી રહી જાય . માથાના એક એક વાળને પકડીપકડીને ઉખેડવાનું કષ્ટ ભલભલાને ઢીલા પાડી દે છે . સુરેશભાઈએ પોતાની ઉપર અને બાળકોની ઉપર કડક થઈને લોચાનુભવ અથવા લોચાનંદ લીધો . શું કામ તો કે દીક્ષા લીધા બાદ દર છ મહિને લોચ કરવાનું પાકું જ છે , દીક્ષા લેતાં પહેલાં સમજી લો કે લોચ શું છે . પાછળથી એમ ન થાય કે આ તકલીફની ખબર જ નહોતી .
પ્રશિક્ષણદાતા હતા પૂ.મુનિરાજ શ્રી ગુણયશવિજયજી મ. , પૂ.મુનિરાજ શ્રી કીર્તિયશવિજયજી મ. . આખો દિવસ ભણવામાં જાય . બપોરે ઊંઘવાનું નહીં . કારણવગર વાતો નહીં કરવાની . હંસીમજાકથી દૂર રહેવાનું . સાધ્વીઓ અને બહેનો સાથે વાતો નહીં કરવાની . ખાવામાં , નહાવામાં અને કપડાં ધોવામાં લાંબો વખત ન વેડફાય . ઉકાળેલું પાણી ઠંડું જ જોઈએ એવો આગ્રહ ન ચાલે . એક દિવસમાં પાંચથી વધારે સામાયિક થવી જોઈએ . સવારે નવી ગાથા . બપોરે પાઠ અને પુનરાવર્તન . સાંજે ઢળતા સૂરજની સાખે સ્તવન , સજ્ઝાય અને સ્તુતિ શીખવાની . અંતરજામી સુણ અલવેસર , કડવાં ફળ છે ક્રોધનાં અને શંખેશ્વર પાસજી પૂજીએ-થી આગળ આગળ વધવાનું . ઈલેક્ટ્રિક લાઈટનાં અજવાળાનો ઉપયોગ નહીં કરવાનો . સાદગી અનિવાર્ય . વહેલાં સૂવાનું , વહેલાં ઊઠવાનું . રોજનો હિસાબ કિતાબ શ્રીમહોદયસૂરીશ્વરજી મહારાજાને આપવાનો હોય . એ જે પૂછે એનો સાચ્ચો જવાબ આપવાનો કેમકે એમની પાસે સાચ્ચા સમાચાર હોય જ . એમને મળીએ ત્યારે માતાની મમતા અને દાદાની આત્મીયતા વર્તાય . સૌથી મોટા સૂરિભગવંત સાથે , શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સાથે વાત કરવાનો મોકો ઓછો મળે . એમનો અવાજ અને ઉપદેશ વ્યાખ્યાનના એક કલાકમાં મળી જાય એનાથી આખોય દિવસ છલકાયેલો રહે . જોકે , વંદન કરવાના સમયે નામ લઈને બોલાવે , ખબરઅંતર પૂછે . એ અક્ષય વાત્સલ્યની ક્ષણો બની જતી . પૂનાવાળાઓની જાણકારી લે અથવા આપે . વાતવાતમાં એકાદ એવું ચોટદાર પ્રેરણાવાક્ય આપી દે કે સાંભળનાર ન્યાલ થઈ જાય . આ ગુરુદેવ હતા , આ તારણહાર હતા , આ રખવૈયા હતા , આ આત્માના ઉદ્ધારક હતા . એ સ્વીકૃતિ આપે નહીં ત્યારસુધી દીક્ષા મળી શકે નહીં . એમની એ ખાસિયત હતી કે મુુુમુક્ષુઓને દીક્ષા માટેની સ્વીકૃતિ આપવામાં એ લાંબો સમય લગાડી દેતા .
પૂનામાં સ્વજનોને આશા હતી કે થોડા દિવસમાં ત્રણેય કંટાળશે અથવા બે બાળકો કંટાળશે અને ઘરભેગા થઈ જશે . બાળકો છમાસી પરીક્ષા બાદ સ્કૂલમાં ગયા નહોતા , સ્વજનોએ વાર્ષિક પરીક્ષા ન આપનારા બાળકોનું પાસિંગ સર્ટિફિકેટ સ્કૂલથી મેળવીને અમદાવાદ મોકલ્યું હતું – એ ઉમ્મીદથી કે બાળકો પાછા આવી જાય તો એમને આગલા ધોરણમાં દાખલ કરી શકાય . શ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજાએ બાળકોને સર્ટિફિકેટ બતાવીને પૂછ્યું હતું કે ‘ જુઓ તમે નવમી અને સાતમીમાં વાર્ષિક પરીક્ષા આપ્યા વિના જ પાસ થઈ ગયા છો . જવું છે પૂના ? મમ્મી બોલાવે છે . ‘
‘ ના , નથી જવું . ‘ બાળકોએ પપ્પાની સામે જોયાવગર જ જવાબ આપી દીધો હતો .
સમય ઝડપભેર સરકી રહ્યો હતો . ( ક્રમશઃ)
મનોહર વચનથી જગાડી જનારા
સુવાસિત લખાણોમાં છલકી જનારા
સખા જેવા સુંદર , કવિ જેવા મીઠા
શ્રી પ્રદ્યુમ્ન સૂરિ બન્યા રે અદીઠા …૧
સરસ સ્મિત હતું આત્મ સંતોષવાળું ,
હતું હૈયું એનું હંમેશા કૃપાળુ .
લૂંછે સૌના આંસુ એવા એ દયાળુ ,
છબીમાં બંધાયેલ એને નિહાળું . ૨
ન કર્તૃત્વ રાખ્યું કર્યા ખૂબ કામ ,
એ વૈરાગી વાત્સલ્યના પુણ્યધામ
ઝલક એને આકાશની બહુ મળી’તી
એની લાગણી સાધનામાં ભળી’તી . ૩
એની ભવ્ય ભાષાનો જોટો જડે ના ,
એને શબ્દની ક્યાય ઓછપ નડે ના .
અલંકાર યોજે અને રસ જમાવે
કલમ એની વિદ્વજ્જનોને નમાવે . ૪
એને આજ મળશું એને કાલ મળશું
એવા સૌ વિચારો અધૂરા રહ્યા રે
એને નાથ સીમંધરે ત્યાં બોલાવ્યા
અહીં શોક જાગ્યો છે હૈયામાં ભારે . ૫
કર્યા કૈંક સંશોધનો નાનામોટા
યશોવાણીના એ પ્રચારક પનોતા
એ ઔષધ અને ફૂલના મર્મવેત્તા
એ સાહિત્યસર્જક હતા ધર્મવેત્તા . ૬
વિચારો અચાનક આ અટકી રહ્યા છે
અમારા સૂરિદેવ સ્વર્ગે ગયા છે .
ઉપર દેવતાઓે સભાને સજાવે
નીચે ભક્ત આંખેથી આંસુ વહાવે . ૭
તમે કેવી સુંદર કવિતાઓ ગાતા ?
તમે શ્લોક લલકારી બહુ રાજી થાતા
હવે કાવ્ય શ્લોકો તમારા લખાશે
તમારા વિના એ શી રીતે ગવાશે ?૮
અમે આપના સંગે જીવનને માણ્યું
હવે થઇ ગયું જાણે જીવન અજાણ્યું
અમે આપને રાતદિન યાદ કરશું
સદા આપની વાણીને ચિત્ત ધરશું . ૯
हम सब के लिए एक अकल्पनीय समयखंड चल रहा है . भक्तों के लिए भगवान के द्वार बंध हैं . हमें विश्वास है कि लाखों निराश भक्तों को इस गीत के शब्दों से आशावादी चिंतन प्राप्त होगा . एक दिन आएगा जब हमारे वर्तमान अंतराय टूट जाएंगे . सभी मंदिरों की , सभी संघों की एवं सभी तीर्थोंकी रौनक वापिस लौट आएगी . हमारी सारी धार्मिक इच्छाएं साकार होगी . आप अपने संघ के मूलनायकजी एवं अपने प्रिय तीर्थ के मूलनायकजी को याद करते हुए इस गीत को रोज गाइए और एक सुंदर सपना देखिए . प्रभु कृपा से आपका सपना अवश्य साकार होगा .
आपत्ति के ये दिन भी चले जाएंगे जरूर
एक दिन तेरे मंदिर में हम सब आएंगे जरूर
दरबार में जयकारा तेरा गाएंगे जरूर
एक दिन तेरे मंदिर में हम सब आएंगे जरूर
( प्रभु तेरी शक्ति है अपरंपार )
तुझे देखते ही आंख से आंसू बहाएंगे
दो हाथ से सोना रूपा मोती बिछाएंगे
भक्ति बहोत करेंगे और चामर झुलाएंगे
खुद नाचेंगे और सारे भक्तों को नचाएंगे
विजोग की सारी पीडा मिटाएंगे जरूर
एक दिन तेरे मंदिर में हम सब आएंगे जरूर
मंदिर में भीड़ भक्तों की फिर दिखने लगेगी
तीर्थो में देवलोक सम रौनक भी जगेगी
संघों में तपस्याएं और क्रियाएं बढेगी
घर घर के द्वार रोशनी की माला चढेगी
तेरी शक्ति से संकट को हम हराएंगे जरूर
एक दिन तेरे मंदिर में हम सब आएंगे जरूर
गाँव गाँव से विहार साधू साध्वी करेंगे
व्याख्यान सुनके हम भी अपने दोष हरेंगे
सब संघ को गुरूमुख से धर्म लाभ मिलेगा
जहां आज वेराना है वहां फूल खिलेगा
हमको हमारी गलती वो समझायेंगे जरूर
एक दिन तेरे मंदिर में हम सब आएंगे जरूर
तेरे ही चमत्कार ने हमें जिंदा बचाया
हमने कुछ अच्छा करने का संकल्प रचाया
हम को मिले जनमो जनम तेरा ही प्रभु साथ
रक्षा हमारी करना प्रभु छोडना मत हाथ
ज्योति तेरी देवर्धि की फैलाएंगे जरूर
एक दिन तेरे मंदिर में हम सब आएंगे जरूर
એક તરફ પરિવાર ત્રણ ભાગ્યશાળીઓની શોધખોળ કરી રહ્યો હતો , બીજી તરફ અફવાઓ બની રહી હતી . પોલીસ અમુક ભાઈના ઘેર તપાસ કરવા આવી અથવા ગુંડાઓને તપાસનું કામ સોંપાયું છે અથવા અમુક ભાઈના ઘરે જઈને ૪૦૦ લોકોએ તોફાન મચાવ્યું , એક પછી એક ખોટી સ્ટોરી બની રહી હતી . ત્રીજી તરફ સુરેશભાઈ , બે બાળકોને લઈને જુન્નરથી નીકળ્યા અને લાંબો પ્રવાસ ખેડીને ગુજરાતના કાવી તીર્થમાં પહોંચ્યા . અહીં પણ થોડો દિવસ રોકાયા અને પછી અમદાવાદ પહોંચ્યા .
અમદાવાદમાં શાંતિવન છે , લક્ષ્મીવર્ધક સોસાયટી છે ત્યાં પહોંચ્યા . અહીં જૈન ઉપાશ્રયમાં બિરાજમાન હતા એક મહામહિમ સૂરિભગવંત . એમણે પારખુ નજરે સુરેશભાઈને જોયા , બે બાળકોને જોયા . સુરેશભાઈ સૂરિભગવંતના ખોળામાં માથું મૂકીને રડી પડ્યા , ભીંજાયેલા સાદે એમણે સૂરિભગવંતને કહ્યું : આ બાળકોને આપનાં શરણમાં લાવ્યો છું , આપે આમને સંભાળવાના છે .
બેય બાળકોએ જિંદગીમાં પહેલીવાર આ સૂરિભગવંતને જોયા , જોતાવેંત જ પ્રેમ થઈ ગયો . સૂરિભગવંતે ખાસ વાત કરી નહીં પણ બેય બાળકોનાં માથે અસીમ વાત્સલ્યપૂર્વક હાથ મૂકી આશીર્વાદ આપ્યા . એમણે સુરેશભાઈને અન્ય મુમુક્ષુઓની સાથે રહેવાનું કહી દીધું . સૂરિભગવંતનાં સાંનિધ્યમાં પચાસથી વધુ સાધુભગવંત હતા , દશથી વધારે મુમુક્ષુ હતા . જે દીક્ષા લેવાની ભાવના રાખે છે પરંતુ જેની દીક્ષા લેવાની પાત્રતા હજી પુરવાર થઈ નથી એવા પુણ્યવાનને મુમુક્ષુ કહેવાય છે . એક કટોકટીમાંથી પાર ઉતરીને અહીં સુધી પહોંચેલા ત્રણેય પૂનાનિવાસીઓ મુમુક્ષુ રૂપે સૂરિભગવંતની છત્રછાયામાં ગોઠવાઈ ગયા . એ સૂરિભગવંતનું નામ હતું : પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા . થોડા દિવસ બાદ લક્ષ્મીવર્ધક સોસાયટીથી કાલુપુર વિહાર થયો , રોકાણ થયું શ્રી દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિરમાં .
જયાબેન થોડા દિવસ પહેલાં આ સૂરિભગવંતને મળવા આવી જ ગયા હતા . એ વખતે એમણે અને સાથે આવેલ સ્વજને સૂરિભગવંતને ધમકી જેવી ભાષામાં કહેલું કે મારા પતિ અને બાળકોને દીક્ષા આપવાની નથી .
એ વખતે સૂરિભગવંતે જવાબ આપ્યો હતો કે એ લોકો મારી પાસે આવશે તો હું તમને તરત જ બોલાવીશ . અત્યારે આવી ચિંતા કરવાની જરૂર નથી . એકવાર એ લોકોને અહીં આવી જવા દો .
હવે સુરેશભાઈ અને બાળકો અમદાવાદ આવી ગયા છે એવા સમાચાર સૂરિભગવંતના નિર્દેશ અનુસાર પૂના મોકલવામાં આવ્યા , જયાબેનને અમદાવાદ આવવાનું કહેણ પણ મોકલાયું . જયાબેન તરત જ અમદાવાદ આવી ગયા . પતિને અને પુત્રોને સંસારી વેશભૂષામાં જોઈને એ રાજી થયા . સૂરિભગવંતે એક માતાને વિશ્વાસ આપેલો તે એમણે સાર્થક કરી બતાવ્યો .
જયાબેનની દરેક ચિંતાઓ સૂરિ ભગવંતે સાંભળી . અને વચન આપતા હોય એ રીતે કહ્યું કે – તમારા બાળકોને હમણાં દીક્ષા આપવાની કોઈ જ વાત નથી . એ ભણવા માટે થોડો વખત અહીં રહેશે . એમનામાં દીક્ષા લેવાની પાત્રતા દેખાશે તો એમને આગળ વધારીશું . એમ લાગશે કે એ લોકોની પાત્રતા છે અને એમને ખરેખર દીક્ષા આપી શકાય એમ છે તો હું તમને પૂછીશ . તમારી રજા મળશે તો જ દીક્ષા આપશું . તમારી રજા વિના દીક્ષા નહીં થાય એ પાક્કું છે . અમને એમ લાગશે કે આમને દીક્ષા આપવા જેવી નથી તો આમને પાછા તમારી પાસે મોકલી આપશું .
જયાબેનને આ જવાબે ઘણી રાહત આપી દીધી . એ તો કોઈપણ હિસાબે બેય બાળકોને પાછા લઈ જવા જ આવ્યા હતા . પણ સૂરિભગવંતની જાદુઈ વ્યક્તિમત્તાએ એવું કામ કર્યું કે તે પોતાના બાળકો સૂરિભગવંતના હાથમાં સોંપીને પૂના પાછા જતા રહ્યા . સુરેશભાઈ અને એમનાં બે બાળકો નિર્વિઘ્ને સૂરિભગવંતની નિશ્રામાં રહી શકે એવું વાતાવરણ બની ગયું . સૂરિભગવંતે આપેલ આશ્વાસનથી પતિને , પત્નીને અને પુત્રોને પોતપોતાની જગ્યાએ એકસરખી હિંમત મળી ગઈ . ( ક્રમશઃ)
દીક્ષા લેવાનું મન થાય એટલા માત્રથી દીક્ષા મળી જતી નથી . સમજો કે કોઈને ડોક્ટર બનવાનું મન થાય તો એ તરત ડોક્ટર બની શકતો નથી . એને થિયરિકલ ભણવું પડશે . એને પ્રેક્ટિકલ કરવું પડશે . ત્યાર બાદ એ પરીક્ષા આપશે . જો પરીક્ષામાં સારા ગુણાંક દેખાશે તો જ ડોક્ટરી મળશે . આમ કરવામાં ઘણો સમય જશે . ઉતાવળે આંબા પણ પાકતા નથી . ઉતાવળે ડોક્ટર પણ થવાતું નથી . એ રીતે ઉતાવળે દીક્ષા પણ અપાતી નથી . કોઈને દીક્ષા લેવાનું મન થઈ ગયું એટલે એને દીક્ષા મળી જ જાય એવું નથી હોતું . એણે ગુરુને કહેવાનું હોય છે કે મને દીક્ષા લેવાનું મન છે . આ નિવેદન પછી ગુરુ એને પ્રશિક્ષણ આપવાનું શરૂ કરે છે , એમાં એને કેટલો સમય લાગશે તે ગુરુ નક્કી કરે છે . પરીક્ષા અલગ અલગ રીતે લેવાય છે અને ગુરુ નાપાસ કરીને વાપિસ ઘરે મોકલી શકે છે . સુરેશભાઈને અને એમના બે બાળકોને દીક્ષા લેવાનું મન થયું હતું એનો અર્થ એ નહોતો એમને દીક્ષા મળી જ જશે . એમણે હજી સુધી કોઈ ગુરુભગવંત પાસે દીક્ષા લેવાની ભાવના વ્યક્ત કરી નહોતી . એમની એ ભાવનાને સ્વીકૃતિ મળશે કે તે પણ હજી સ્પષ્ટ નહોતું . અત્યારે આ ત્રણેય દીક્ષા – ઈચ્છુકો ગુરુ પાસે પહોંચવાનું વિચારી રહ્યા હતા . દીક્ષા બાબતે કોઈ નિર્ણય કર્યો નહોતો .
આ બધી વાતોથી તદ્દન અજાણ રહેલા પૂનાનિવાસી ભાયાણી પરિવાર અને મુંબઈનિવાસી પરિવારને એવું લાગ્યું કે ત્રણેય તુરંતમાં ક્યાંક જઈને દીક્ષા જ લઈ લેશે . એટલે એ લોકો બેબાકળા થઈને ત્રણેયની શોધ કરવા નીકળી પડ્યા . મહેન્દ્રભાઈનાં ઘરે , આદિનાથ સોસાયટી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. મહેન્દ્રભાઈએ પોતાનાં ઘરની તલાશી લેવા દેવાની તૈયારી બતાવી હતી . પણ ત્યાં ત્રણ ભાગ્યશાળીઓ નહોતા . કેમ્પમાં વિનોદભાઈનું ઘર , બુધવાર પેઠમાં ભીખુભાઈનું ઘર , કલ્યાણ સોસાયટીમાં રજનીભાઈનું ઘર , ભવાની પેઠમાં ભરતભાઈ કોફીવાળાનું ઘર . કેટલાય ઘર હતાં તપાસ કરવા માટે . બધે તપાસ કરી . ક્યાંય એ ત્રણ ન મળ્યા કે એમની ખબર ન મળી .
સુરેશભાઈ તરફથી પરિવારની સાથે સંપર્ક થયો હોત તો બીજો કોઈ ખુલાસો પરિવાર સાંભળવાનો નહોતો . એ લોકો સરનામું પૂછીને સીધા મળવા જ આવી જાત . બાળકોને પાછા લઈ જવાની જીદ્દ પકડત . એમને એ ખબર નહોતી કે ગુરુઓ તુરંત દીક્ષા આપતા નથી . એમને એમ લાગી રહ્યું હતું કે ગુરુઓ તો જે આવે એને તરત જ મુંડી નાંખતા હશે . એકવાર જો આપણા સ્વજન મુંડાયા તો પછી થઈ રહ્યું . ટેંશનનું ભૂત સૌના માથે સવાર થઈ રહ્યું હતું . ત્રણ ભાગ્યશાળીઓ પૂનામાં છે કે નથી ? પૂનામાં છે તો કઈ જગ્યાએ છે ? પૂનામાં નથી તો ક્યાં ગયા છે ? આ પ્રશ્નોના જવાબ તત્કાળ મળી રહ્યા નહોતા .
દીક્ષા કોણ આપવાનું છે ? એની તપાસ જયાબેને કરી . સંભવિત દીક્ષાદાતાને મળવા માટે પૂનાથી નીકળ્યા અને અમદાવાદ પહોંચ્યા . કમાલની વાત એ હતી કે ત્રણ ભાગ્યશાળી , અમદાવાદ પણ પહોંચ્યા નહોતા . ( ક્રમશ: )
સુરેશભાઈને સંબંધોમાંથી રસ ઉડી ગયો હતો . બે બાળકો , મારા દીકરા છે એ રીતે એ વિચારતા નહોતા . બે બાળકો દીક્ષાને લાયક જીવો છે એમ એ વિચારતા . આ બાળકોએ જૈન ધર્મ માટે આદર બનાવ્યો છે તો એમનાં મનમાં વસેલો એ આદર જે તોડી શકે છે એવી વ્યક્તિઓને બાળકોથી દૂર રાખવી જોઈએ , આ બાળકોએ દીક્ષા માટે મન બનાવ્યું છે તો એમનાં એ મનને બદલી શકે એવી વ્યક્તિઓને બાળકોથી દૂર રાખવી જોઈએ એવી તકેદારી એમણે લેવા માંડી હતી . ભાયાણી પરિવારમાં બાળકોના દાદાદાદી , મમ્મી , કાકાકાકી , ભાઈઓ અને બહેન હતા તે સૌ બાળકોને મળવાની ઈચ્છા વ્યક્ત કરતા . સુરેશભાઈ એમને સલામતીની સરહદ તૂટે નહીં એટલું જ મળવા દેતા . બાળકોનો કબજો પોતાના હાથમાં રાખવાની વૃત્તિ નહોતી , બાળકોના આત્માની ચિંતા હતી .
બાળકોના પાંચ મામાઓ તેમજ સુરેશભાઈના માસામાસી , ફોઈફુઆ અને નાની મુંબઈમાં રહેતા . સુરેશભાઈએ બાળકોને સ્કૂલમાંથી ઊઠાડી મૂક્યા છે એ સમાચાર જે જે સ્વજનોને મળ્યા તે સૌ ભડકી ઊઠ્યા હતા . જયાબેનનો પિયર પક્ષ એટલે ખીરૈયા પરિવાર . સુરેશભાઈ જયાબેનને છોડીને જઈ જ ન શકે આ બહુ મોટો મુદ્દો હતો . બાળકોનો મુદ્દો એનાથીય મોટો થઈ ગયો . પૂનાનો ભાયાણી પરિવાર , મુંબઈનો ખીરૈયા પરિવાર અને લોહાણા સમાજના આગેવાનો એકબીજાના સંપર્કમાં આવ્યા . સૌનો એક જ વિચાર બન્યો કે સુરેશભાઈને રોકવા જોઈએ અને એ ન રોકાય તો કમસેકમ બે બાળકોને બચાવી જ લેવા જોઈએ . યોજના એવી બની કે સુરેશભાઈને ખબર ન પડે એ રીતે બાળકોને ઊઠાવી લેવા , એકવાર બાળકો બાપથી છૂટા પડી જાય એટલે આ દીક્ષાની વાતો ખતમ જ થઈ જશે .
સુરેશભાઈને આ યોજનાની ગંધ આવી ગઈ . વિનોદભાઈના બંગલે મોટું ટોળું આવે , તોફાન મચાવે અને બાળકોને ઉપાડી જાય એવા ચાન્સીસ વધી ગયા હતા . એમણે વળી નવો પ્લાન બનાવ્યો . કોઈને કાંઈ સમજાય તે પૂર્વે તેઓ એક દિવસ વિનોદભાઈના બંગલેથી નીકળીને ગુપ્તરીતે ભીખુભાઈના પુત્ર અશોકભાઈનાં ઘરે પહોંચી ગયા . અહીંથી રાત્રે રવાના થઈ , કોઈ હોટેલમાં રાત રોકાયા . કોઈ પીછો કરતું આવે તો પકડાઈ ન જવાય તે માટે રજિસ્ટરમાં નકલી નામ લખાવ્યું . બીજા દિવસે બસમાં બેસી પૂનાથી રવાના થયા અને મંચર પહોંચી ગયા . થોડાદિવસનો નિવાસ કુમારપાળભાઈ સમદડિયાનાં ઘરે થયો . સમદડિયા પરિવારે ભરપૂર લાગણીપૂર્વક આગતાસ્વાગતા કરી અને પ્રાયવસી પણ જાળવી . ભાયાણી પરિવાર , ખીરૈયા પરિવાર અને લોહાણા સમાજના આગેવાનોમાંથી કોઈને ખબર ન પડે એ રીતે થોડા દિવસ રહ્યા બાદ જુન્નર આવી ગયા , જૈન બોર્ડિંગમાં રોકાયા .
એસ્કેપિઝમને એક થેરાપી અથવા થિયરી તરીકે જોવામાં આવે છે . તમારી અંદર તમારું એક અલગ જ વ્યક્તિત્વ વસે છે , રોજીંદુ વાતાવરણ તમને એક ઘરેડમાં બાંધી લે છે . તમારે થોડાક સમય માટે એ વાતાવરણ અને એ ઘરેડથી દૂર ભાગવાનું હોય . દૂર ભાગવું એટલે એની છાયામાંથી બહાર આવીને રહેવું . તમે ઘરેડની છાયામાંથી બહાર આવો છો એ તમારું એસ્કેપિંગ છે . પીઠ દેખાડીને ભાગવાની વાત નથી . પીઠ ફેરવ્યા વગર પાછા ફરવાની વાત છે . જુન્નર જૈન બોર્ડિંગમાં એકસો જેટલા જૈન વિદ્યાર્થીઓ રહેતા હતા . પરિવારને અને ઘરને ભૂલવાની તાલીમ લેવાની હતી . કોઈ સૂમસામ જગ્યાએ રોકાયા હોત તો એકલવાયાપણું ભારે પડી જાત . બોર્ડિંગના વિદ્યાર્થીઓને પૂનાના મહેમાનો સાથે મજા પડી ગઈ . પૂનાના ત્રણ મહેમાનો બોર્ડિંગના વિદ્યાર્થીઓના સંગમાં રહીને પૂનાને ભૂલી ગયા .
જોકે , ત્રણેયને ખબર હતી પૂના છોડ્યું એને લીધે ભાયાણી પરિવાર અને ખીરૈયા પરિવારમાં મોટો ભૂકંપ આવ્યો હશે . (ક્રમશઃ)
પરિવર્તનની યાત્રામાં રાજુ અને ટીનુ સાથે ન હોય એવી પરિસ્થિતિમાં સુરેશભાઈ વધારે અળખામણા થાય નહીં . પણ વાત બે બાળકોની હતી . બેય બાળકો સ્કૂલમાં શાર્પ સ્ટુડન્ટ હતા . દરવર્ષે પોતપોતાના ક્લાસનાં મોનિટર બનતા . સ્કૂલના મેધાવી છાત્રોની સૂચીમાં બેયનું નામ ટોપટેનમાં રહેતું . શિક્ષકોના લાડકા વિદ્યાર્થી હતા . સહાધ્યાયીઓના બેસ્ટ ફ્રેન્ડ્ઝ પણ ખરા . એ વખતે એસએસસીની એક્ઝામ સૌથી મોટી ગણાય . બેય જણા એસએસસી વખતે સ્કૂલનાં નામનો ડંકો વગાડશે એવી અપેક્ષા બહુ પહેલેથી રાખવામાં આવી રહી હતી . આવા હોનહાર વિદ્યાર્થીઓ સ્કૂલ છોડી દેશે એવી કલ્પના જ ન થાય . પરંતુ બેય વિદ્યાર્થીઓએ સ્કૂલ જવાનું છોડી દીધું . સ્કૂલના શિક્ષક શિક્ષિકાઓમાં આઘાત , આશ્ચર્યની લાગણી ફેલાઈ હતી .
બાળકોને જૈનધર્મ ગમે છે તેનો વાંધો નથી પરંતુ એસએસસી પાસ કર્યા પૂર્વે સ્કૂલ છોડાય જ નહીં એવો જયાબેનનો મત હતો . રાજુ નવમીમાં હતો , ટીનુ સાતમીમાં . એ ગુજરાતી સ્કૂલમાં નાઈન્થ સ્ટાન્ડર્ડ કે સેવન્થ સ્ટાન્ડર્ડ જેવા અંગરેજી શબ્દો ચલણી થયા નહોતા . એસેસસીને દસમી કહેતા .
શું કામ બાળકો સ્કૂલ છોડી રહ્યા હતા ?
સુરેશભાઈએ પોતાના આત્મા માટે દીક્ષા લેવાનું વિચારેલું . આ બે બાળકો વિના પણ એ દીક્ષા લઈ જ શકતા હતા . દીક્ષા લેવા માટે એમને બાળકોની કશી જ જરૂર નહોતી . બાળકોની દીક્ષાનો વિચાર એમને મિત્રો થકી મળ્યો હતો . વાચના દરમ્યાન બાળકો જે પ્રશ્નો પૂછતા એ જોયા બાદ , બે વાત સમજમાં આવી હતી . એક વાત એ કે બાળકો ધર્મમાં ઘણો વિકાસ સાધી શકે એમ છે . બીજી વાત એ કે બાળકો દીક્ષા સુધી પહોંચે તો એ ભવિષ્ય માટે ઘણું લાભકારી બની શકે છે . પૂર્વે એકલા જ દીક્ષા લેવાની ભાવના રાખનાર સુરેશભાઈ હવે બાળકોને દીક્ષા સુધી પહોંચાડવા તૈયાર થઈ ગયા .
સંસ્કરણના બે માર્ગ છે : મનમાં નવા વિચારોનું સિંચન કરો અને જીવનને નવું વાતાવરણ આપો . વિચારોનું સિંચન મહેન્દ્રભાઈ દ્વારા થઈ રહ્યું હતું અને નવું વાતાવરણ મળે તે માટે ઘરથી દૂર રહેવાની વ્યવસ્થા ગોઠવાઈ હતી .
બાળકોનાં માનસ પર લાંબું કામ થયું હતું . બાળકોને જૈન ધર્મ અનુસારનું મુનિ જીવન , શ્રાવક જીવન અને ગૃહસ્થ જીવન શું છે એનો સરળ બોધ આપવામાં આવ્યો હતો . મોક્ષનું જે સ્વરૂપવર્ણન સુરેશભાઈને આવર્જિત કરી ગયું તે જ સ્વરૂપવર્ણન બાળકો સમક્ષ થયું હતું . બાળકો પિતાની જેમ જ આવર્જિત થયા હતા . આ મોક્ષને પામવાનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ મુનિજીવનમાં થઈ શકે છે એવી સમજણ બાળકોમાં ઉંમર અનુસાર જાગી હતી . આ તબક્કા સુધી પહોંચવા માટે બાળકોએ સારો એવો સમય લીધો હતો . એકવાર આટલું ઘડતર થયું એ પછી જ સ્કૂલે ન જવાનો નિર્ણય લેવાયો હતો . આ નિર્ણય બાળકો પર ઠોકી બેસાડેલો એવું પણ નહોતુું . બાળકોની ઈચ્છા અને રુચિને ચકાસી લીધા બાદ આ નિર્ણય લીધો હતો .
આના વિરોધમાં જયાબેને , અનિલભાઈએ સુરેશભાઈને સમજાવવાની ઘણી કોશિશ કરી હતી . સુરેશભાઈએ એમને ખાસ દાદ આપી નહીં . આખરે હરિદાસભાઈ , વિનોદભાઈના બંગલે આવ્યા હતા . બાપદીકરા વચ્ચે લાંબો સંવાદ થયો હતો . સુરેશભાઈ શું કામ દીક્ષા લેવા માંગે છે અને બે બાળકોને શીદ દીક્ષા અપાવવા માંગે છે ? આ બાબતે ઘણી વાતો થઈ . હરિદાસભાઈએ સુરેશભાઈને ઘણું સમજાવ્યા . સુરેશભાઈ ટસના મસ ન થયા . છેવટે હરિદાસભાઈએ બાળકોને દીક્ષા ન આપવી જોઈએ એવી જીદ્દ પકડી . સંયમપૂર્વક રકઝક ચાલી . છેલ્લે હરિદાસભાઈને લાગ્યું કે ‘ સુરેશ માનવા તૈયાર જ નથી . ‘ તો એમણે નિરાશાના આવેશમાં બંગલાની દીવાલ પર જોરથી માથું અફાળ્યું . એમના કપાળની ચામડી ફાટી , લોહીની ધાર નીકળી આવી . દીવાલ પર એ લોહીનો ધબ્બો પડી ગયો . હરિદાસભાઈના નાક પર , આઈબ્રો પર અને ચશ્મા પર લોહીના રેલા ઉતરી આવ્યા . સુરેશભાઈ આ ક્ષણે પીગળી જાય એવું બની શકતું હતું . એ અંદરથી હચમચી પણ ગયા પરંતુ એ પોતાની વાતમાંથી ડગ્યા નહીં . જિંદગીમાં પહેલીવાર આવું બન્યું હશે કે દીકરાની સામે પિતાએ માથું પછાડીને લોહી કાઢ્યું હોય . પારાવાર માનસિક સંતાપ સાથે હરિદાસભાઈ કેમ્પના એ બંગલેથી કપાળનું લોહી લૂંછ્યા વગર નીકળી ગયા . આવું કશુંક બનશે એવો અંદાજ હતો એટલે સુરેશભાઈએ આ બેઠકથી બાળકોને દૂર રાખ્યા હતા . જોકે , પોતાની નજર સમક્ષ પોતાના પિતાને માથું પટકીને લોહી કાઢતા જોયા બાદ એમનો વૈરાગ્ય વિચલિત થઈ શકતો હતો , પણ થયો નહોતો . પિતાને થયેલી પીડા બદલ ઘણો જ અફસોસ થયો . અલબત્ , વૈરાગ્ય સાથે બાંધછોડ કરવાનો વિચાર તો ન જ બન્યો . ( ક્રમશઃ )
