Home » Blogs » ગ્રંથયાત્રા પુસ્તકનો પરિચય : એક પુસ્તકમાં એકત્રીસ વિષયોની જાણકારી

ગ્રંથયાત્રા પુસ્તકનો પરિચય : એક પુસ્તકમાં એકત્રીસ વિષયોની જાણકારી

by devardhiadmin
0 comments

સામાન્ય રીતે એક પુસ્તકમાં એક જ વિષય હોય છે . ગ્રંથયાત્રામાં અલગ અલગ એકત્રીસ વિષય પર અભ્યાસ પૂર્ણ લેખો રજૂ થયા છે. દરેકે દરેક લેખ પર દેવર્ધિ ગુરુદેવ સાત સાત દિવસ વ્યાખ્યાન આપી શકે છે. આનાથી તમને અંદાજ આવશે કે એક એક લેખની વિષય વસ્તુ કેટલી સમૃદ્ધ છે . 

+ ગ્રંથયાત્રાનો પ્રથમ લેખ શ્રુતસેવાની વાત કરે છે . શ્રુત સેવા વિષયક અગિયાર પોઈન્ટની ખૂબ જ સુંદર રજૂઆત આ લેખમાં છે . પર્યુષણના બીજા દિવસે આ લેખના આધારે અનેક ગુરુભગવંતો  વ્યાખ્યાન આપતા હોય છે . 

+ ગ્રંથયાત્રાનો બીજો લેખ ક્ષમાપનાની વાત કરે છે . અમેરિકા , જાપાન  , રશિયા , જર્મની આદિ દેશના સ્કોલર્સને  ગુરુદેવે બનારસની અલગ અલગ વર્કશોપમાં  ક્ષમાપનાનો જે ઈન્ટરનેશનલ કન્સેપ્ટ સમજાવ્યો હતો એનો સારાંશ આ લેખમાં વાંચવા મળે છે .

+ ગ્રંથયાત્રાનો  ત્રીજો લેખ વિષાદયોગની વાત કરે છે . જે ધર્મ આપણે કરી શકતા નથી , જે આરાધના આપણાથી થતી નથી એનો પસ્તાવો હૃદયમાં કેવી રીતે બનાવાય એની સુંદર રજૂઆત આ લેખમાં કરવામાં આવી છે . શ્રી પીયૂષભદ્રસૂરિજી મ.સા.નાં આમંત્રણથી આ લેખ લખવામાં આવ્યો છે .

+  ગ્રંથયાત્રાનો ચોથો લેખ  પરિવર્તનની વાત કરે છે . આપણાં જીવનમાં ત્રણ વળાંક કેવી રીતે આવી શકે છે તે આ લેખ વાંચવાથી સમજવા મળે છે . શ્રુત ભવન સંશોધન કેન્દ્ર પૂનાની વિનંતીથી આ લેખ લખવામાં આવ્યો હતો .

+ ગ્રંથયાત્રાના પાંચમા લેખમાં ગુરુદેવે પોતાના અભ્યાસ કાળની હૃદયસ્પર્શી વાતો લખી છે . શ્રી રત્નચંદ્ર સૂરિજી મ.સા.નાં આમંત્રણથી આ લેખ લખવામાં આવ્યો છે . 

+ ગ્રંથયાત્રાનો છટ્ઠો લેખ ઇકિગાઈની વાત કરે છે . ઇકિગાઈ જાપાનીઝ કન્સેપ્ટ છે . ઇતવારી શ્રી સંઘની લાઇબ્રેરીનું કામ ગુરુદેવનાં માર્ગદર્શનમાં ચાલુ હતું ત્યારે ઘણાં નવા ગુજરાતી પુસ્તકો મંગાવવામાં આવ્યાં એમાં એક ઇકિગાઈનું પુસ્તક પણ હતું . આ પુસ્તક વાંચીને ગુરુદેવે ઇતવારી શ્રી સંઘના ઉપાશ્રયમાં બેસીને જ આ લેખ લખ્યો હતો .

+ ગ્રંથયાત્રાનો સાતમો લેખ એક નવલકથાની વાત કરે છે . પ્રાચીન મૂર્તિ , મેન્યુસ્ક્રિપ્ટ આદિની ચોરી કોણ કરે છે , કેવી રીતે કરે છે અને એ ચોરાયેલી સામગ્રી ક્યાં જાય છે એની દિલધડક વાર્તા સિક્સટી ફોર સમરહીલ બુકમાં ધૈવત ત્રિવેદીએ લખેલી છે . ગુરુદેવે લેખમાં આ નવલકથાનો ખૂબ જ સુંદર પરિચય આપ્યો છે .

+  ગ્રંથયાત્રાનો આઠમો લેખ જૈન ચિત્રકલાની વાત કરે છે . પુરાતન જૈન આર્ટમાં ડ્રોઈંગ  , પેઇન્ટિંગની જે વિશેષતાઓ જોવા મળે છે એની ચર્ચા આ લેખમાં કરવામાં આવી છે . પ્રબુદ્ધ જીવન મેગેઝિનના જૈન ચિત્રકલા વિશેષાંક માટે આ લેખ લખાયો છે .

+  ગ્રંથયાત્રાનો નવમો લેખ શેત્રુંજી નદીની વાત કરે છે . આ લેખમાં ગુરુદેવે શેત્રુંજી નદી વિશે જે જાણકારી રજૂ કરી છે તે જૈનશાસનમાં ફર્સ્ટ ટાઈમ એવર રજૂ થઈ હતી . રોહીશાળા જિનમંદિરના પ્રેરક શ્રી હર્ષસાગરસૂરિજી મ. જેવા આચાર્યભગવંતો અને કેટલાય વિધિકારકો અને સ્પીકર્સ આ લેખ પર ફીદા ફીદા થઈ ગયા હતા .  

+ ગ્રંથયાત્રાનો દશમો લેખ પ્રવીણભાઈ દેસાઈની વાત કરે છે . ઓઘો છે અણમૂલો  , આ છે અણગાર અમારા જેવા સેંકડો ગીતોના રચયિતા પ્રવીણભાઈ દેસાઈ વિશે ગુરુદેવે જે લખ્યું છે તે કમાલ છે . પ્રવીણભાઈ દેસાઈ વિશે લખાયેલો આ સર્વશ્રેષ્ઠ લેખ છે. 

+ ગ્રંથયાત્રાનો અગિયારમો લેખ સમજાવે છે કે તીર્થંકર ભગવાનની કથા કેટલો મોટો ઉપકાર કરે છે . શંખેશ્વર પ્રવચનતીર્થના માર્ગદર્શક શ્રી પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ચોવીસ તીર્થંકર પુસ્તક લખ્યું છે એની પ્રસ્તાવના રૂપે આ લેખ લખાયો છે .

+ ગ્રંથયાત્રાના બારમા લેખમાં પૂ. આચાર્યશ્રી  રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા અને પૂ. પંન્યાસશ્રી  ભદ્રંકરવિજયજી મહારાજા વચ્ચેના આત્મીય પત્રવ્યવહારનો અમૃતભર્યો આસ્વાદ મળે છે . શ્રી હેમપ્રભસૂરિજી મ.ના આમંત્રણથી આ લેખ , પત્રગંગા પુસ્તકની પ્રસ્તાવના તરીકે લખાયો છે . 

+  ગ્રંથયાત્રાનો તેરમો લેખ શ્રી લક્ષ્મણસૂરીશ્વરજી મહારાજાની વાત કરે છે . આજથી સિત્તેર એંશી વરસ પહેલાં સાઉથ ઈન્ડિયામાં આચાર્ય ભગવંતે છ ચોમાસા કર્યાં . શેષકાળમાં એમણે ૨૬૧ ગામમાં વિહાર કર્યો . તે દરમિયાન અલગ અલગ સમયે કુલ મળીને પાંચ લાખ લોકોએ સૂરિ ભગવંતનું પ્રત્યક્ષ વ્યાખ્યાન સાંભળ્યું હતું . આ સૂરિ ભગવંત કેટલાં બધાં પ્રભાવશાળી હતા એનું વર્ણન દક્ષિણમાં દિવ્યપ્રકાશ પુસ્તકમાં કરવામાં આવ્યું છે . શ્રી લબ્ધિસૂરિજી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ શ્રી યશોવર્મસૂરિજી મ.સા.ની પ્રેરણાથી દેવર્ધિ સાહેબે આ પુસ્તકની પ્રલંબ પ્રસ્તાવના લખી છે . 

 + ગ્રંથયાત્રાના ચૌદમા લેખમાં તપાગચ્છાધિરાજ શ્રી જગચ્ચંદ્ર સૂરીશ્વરજી મહારાજાની વાત ઈતિહાસદૃષ્ટિએ લખવામાં આવી છે . અખિલ ભારતીય તપાગચ્છ મહાસંઘના પ્રમુખ સંસ્થાપક ભૂષણભાઈ શાહે શ્રી જગચ્ચંદ્ર સૂરીશ્વરજી મહારાજા વિશે એક ઐતિહાસિક ગ્રંથ સંપાદિત કર્યો છે જે ટૂંક સમયમાં પ્રકાશિત થશે . આ ગ્રંથની પ્રસ્તાવના રૂપે આ વિશેષ લેખ લખવામાં આવ્યો છે. આ લેખના આધારે જ ઈતવારી શ્રી સંઘ નાગપુરમાં ગુરુદેવે સાત દિવસ પ્રવચન ફરમાવ્યા હતા .  

+ ગ્રંથયાત્રાના પંદરમા લેખમાં અકબર રાજાની વાત ઈતિહાસદૃષ્ટિએ લખવામાં આવી છે . આપણે અકબર રાજા વિશે જે વાતો નથી જાણતા એ બધી વાતો આ લેખમાં વિસ્તૃત રીતે વાંચવા મળે છે . અકબર રાજા વિશે આપણે ઘણી અતિશયોક્તિ કરતા આવ્યા છીએ . આ લેખ આપણને અકબર રાજાની સચ્ચાઈ બતાવે છે .

+ ગ્રંથયાત્રાના સોળમા લેખમાં શ્રીહીરસૂરીશ્વરજી મહારાજાની વાત ઈતિહાસદૃષ્ટિએ લખવામાં આવી છે . કવિ ઋષભદાસ વિરચિત શ્રીહીરસૂરીશ્વરજી રાસનો કથાસાર આ લેખમાં રજૂ થયો છે . શ્રીહીરસૂરીશ્વરજી મહારાજાના ગુણાનુવાદ કરવા હોય તો આ લેખ ભરપૂર સામગ્રી પૂરી પાડે છે .

+ ગ્રંથયાત્રાના સત્તરમા લેખમાં શાલિભદ્રજીની કથા મુદ્દાસર લખવામાં આવી છે . કવિવર શ્રીજિનવિજયજી  વિરચિત શ્રીધન્નાશાલિભદ્ર રાસનો એક કથાસાર આ લેખમાં રજૂ થયો છે . આ લેખ બે વરસ પૂર્વે નાસિકની એક દીક્ષામાં લાંબી ચિત્રકથા રૂપે , ધન્નાજીની હવેલીની વિરાટ પ્રતિકૃતિમાં મૂકવામાં આવ્યો હતો . હજારો લોકોએ આ લેખ વારંવાર વાંચ્યો હતો . 

+ ગ્રંથયાત્રાના અઢારમા લેખમાં શાલિભદ્રજીની કથા મુદ્દાસર લખવામાં આવી છે . કવિવર શ્રીજિનવિજયજી વિરચિત શ્રીધન્નાશાલિભદ્ર રાસનો એક કથાસાર આ લેખમાં રજૂ થયો છે . આ લેખ બે વરસ પૂર્વે નાસિકની એક દીક્ષામાં લાંબી ચિત્રકથા રૂપે , શાલિભદ્રજીની હવેલીની વિરાટ પ્રતિકૃતિમાં મૂકવામાં આવ્યો હતો . હજારો લોકોએ આ લેખ વારંવાર વાંચ્યો હતો . 

+ ગ્રંથયાત્રાનો ઓગણીસમો લેખ પ્રભુદાસ બેચરદાસ પારેખ દ્વારા લિખિત પ્રાકૃત ભાષા વ્યાકરણની પ્રસ્તાવના રૂપે લખવામાં આવ્યો છે .

+ ગ્રંથયાત્રાનો વીસમો લેખ શ્રી આદિનાથ ભગવાનની ઓગણીસ અદ્ભુત વિશેષતાઓની વાત કરે છે . ઋષભાયન પ્રોજેક્ટ માટે આ લેખ , શ્રી લબ્ધિસૂરિજી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ શ્રી યશોવર્મસૂરિજી મ.સા.ની પ્રેરણાથી લખવામાં આવ્યો છે . 

+  ગ્રંથયાત્રાનો એકવીસમો લેખ સમાધિનાં આઠ સૂત્રની વાત કરે છે . મારો પ્રિય શ્લોક પુસ્તક માટે શ્રી વૈરાગ્યરતિવિજયજી મ.નાં આમંત્રણથી આ લેખ લખવામાં આવ્યો છે . 

+  ગ્રંથયાત્રાનો બાવીસમો લેખ તત્ત્વાર્થ સૂત્રનો પરિચય કરાવે છે . મારો પ્રિય ગ્રંથ પુસ્તક માટે શ્રી વૈરાગ્યરતિવિજયજી મ.નાં આમંત્રણથી આ લેખ લખવામાં આવ્યો છે . 

+  ગ્રંથયાત્રાનો ત્રેવીસમો લેખ આગમ ગ્રંથ વિપાકસૂત્રની વાત કરે છે . અમાસનું અજવાળું – પુસ્તકની પ્રસ્તાવના રૂપે શ્રી મહાબોધિસૂરિજી મ.નાં આમંત્રણથી આ લેખ લખવામાં આવ્યો છે . 

+ ગ્રંથયાત્રાનો ચોવીસમો લેખ શ્રી ગૌતમ સ્વામીજી દ્વારા વિરચિત પખ્ખી સૂત્રની અંતર્યાત્રા કરાવે છે . મારું પ્રિય શાસ્ત્ર – પુસ્તક માટે શ્રી હર્ષસાગરસૂરિજી મ.નાં આમંત્રણથી આ લેખ લખવામાં આવ્યો છે . 

+ ગ્રંથયાત્રાનો પચીસમો લેખ શ્રી ભદ્રબાહુસૂરિજી દ્વારા વિરચિત શ્રી બારસાસૂત્રનો પરિચય કરાવે છે . શ્રી ચંદ્રભૂષણસૂરિજી મ.ના આગ્રહથી બારસાસૂત્ર ગ્રંથની પ્રસ્તાવના રૂપે આ લેખ લખવામાં આવ્યો છે . 

+ ગ્રંથયાત્રાનો છવીસમો લેખ મંત્રીવર્ય વસ્તુપાલ દ્વારા વિરચિત શ્રી નરનારાયણાનંદ મહાકાવ્યનો રસાસ્વાદ આપે છે . અતિશય કઠિન એવા નરનારાયણાનંદ મહાકાવ્યની પ્રસ્તાવના રૂપે આ લેખ લખવામાં આવ્યો છે . 

+  ગ્રંથયાત્રાનો સત્યાવીસમો લેખ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય દ્વારા વિરચિત કાવ્યાનુશાસન ગ્રંથનો સુરેખ પરિચય આપે છે . મુનિશ્રી ક્ષેમરત્નવિજયજી મ.સા. કૃત કાવ્યાનુશાસન ગુજરાતી અનુવાદ પુસ્તકની પ્રસ્તાવના રૂપે આ લેખ લખવામાં આવ્યો છે . 

+ ગ્રંથયાત્રાનો અઠ્યાવીસમો લેખ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય દ્વારા વિરચિત યોગશાસ્ત્ર ગ્રંથનો સુરેખ પરિચય આપે છે . રાણકપુર તીર્થના પ્રતિષ્ઠાચાર્ય શ્રી સોમસુંદરસૂરિજી કૃત બાલાવબોધની પ્રસ્તાવના રૂપે આ લેખ લખવામાં આવ્યો છે . 

+ ગ્રંથયાત્રાનો ઓગણત્રીસમો લેખ  શ્રી શ્રીચંદ્રસૂરિજી દ્વારા વિરચિત બૃહત્ સંગ્રહણીનો સાંગોપાંગ પરિચય કરાવે છે . શ્રી રત્નાચલસૂરિજી મ. દ્વારા નિર્મિત બૃહત્ સંગ્રહણી ગુજરાતી  વિવેચનગ્રંથની પ્રસ્તાવના રૂપે આ લાંબો લેખ લખાયો છે . 

+ ગ્રંથયાત્રાનો ત્રીસમો લેખ શ્રી શાંતિનાથ ચરિતમ્ ગ્રંથની પ્રસ્તાવના રૂપે લખવામાં આવ્યો છે . શ્રી શાંતિનાથ ચરિતમ્ સાતસો વરસ પ્રાચીન ગ્રંથ છે . આજસુધી આ ગ્રંથ પ્રકાશિત નહોતો . શ્રીતીર્થભદ્રસૂરિજીમ.ની પ્રેરણાથી આ ગ્રંથ સૌ પ્રથમવાર મુદ્રણ પામ્યો . સૂરિ ભગવંતના શિષ્યપરિવારની વિનંતીથી ગુરુદેવે આ સુવિસ્તૃત પ્રસ્તાવના લખી છે .

+ ગ્રંથયાત્રાનો એકત્રીસમો લેખ એકદમ અલગ છે . પ્રાચીન હસ્તલિખિત ગ્રંથને પ્રામાણિક પુસ્તક રૂપે મુદ્રિત કરતીવખતે કેટલા નીતિનિયમોનું પાલન થવું જોઈએ એની ઝીણવટભરી માહિતી આ લેખમાં વાંચવા મળે છે . આ લેખ જેવો લેખ લખી શકે એવા સશક્ત લેખક આજે બહુ ઓછા છે . મુનિવરશ્રી વૈરાગ્યરતિવિજયજી મ. દ્વારા સંપાદિત અષ્ટ સહસ્રી તાત્પર્ય વિવરણમ્ ગ્રંથ માટે આ લેખ લખવામાં આવ્યો છે . 

આપણે લોકો પુસ્તકમાં મોટેભાગે Bond કે Maplitho વાપરતા હોઈએ છીએ . ગ્રંથયાત્રા પુસ્તક Texture paperમાં તૈયાર થયું છે . પુસ્તકોની દુનિયામાં ઉપદેશના પુસ્તકો સો દોઢસો પાનાનાં હોય તો સારું લાગે છે પરંતુ સ્ટડીબુક્સ કે રિસર્ચબુક્સ ત્રણસો કે ચારસો પાનાની હોય તો જ સારી લાગે છે . ગ્રંથયાત્રા પુસ્તક અભ્યાસ ગ્રંથ છે. આથી એના પાનાં ત્રણસોથી વધુ હોય એમાં જ એની શોભા છે . ગ્રંથયાત્રા કુલ ત્રણસો અઠ્ઠાવીસ પાનાનું પુસ્તક છે પરંતુ લાઈટવેઇટ પેપર છે તેથી આટલું જાડું પુસ્તક હાથમાં લો તો પણ વજન લાગતું નથી .

આમ તો ગુરુદેવે અન્ય પ્રસ્તાવનાલેખ અનેક લખ્યા છે . ગ્રંથયાત્રામાં ચુનંદા લેખો સંગૃહીત છે . પ્રસ્તાવના લેખન સરળ કાર્ય નથી . પ્રસ્તાવના તે તે પુસ્તકનું ગૌરવ વધારે છે , પુસ્તકના લેખકનું ગૌરવ વધારે છે . જે પ્રસ્તાવના લખે છે તેનું ગૌરવ ઘણુંમોટું હોય છે . પચાસથી અધિક પુસ્તકોમાં જેમણે સશક્ત પ્રસ્તાવના લખી છે એવા દેવર્ધિ સાહેબને વંદના . 

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.